સૌરાષ્ટ્રની 7 બેઠકઃ 3 પર કોંગ્રેસ મજબૂત, 2 પર ભાજપનું જોર અને 2માં કાંટાની ટક્કર

PC: catchnews.com
સૌરાષ્ટ્રમાં 2014માં કોંગ્રેસ કરતા 23 ટકા વધુ મતો સાથે ભાજપે સાતે સાત બેઠક જીતી હતી. પરંતુ 2017 સુધીમાં ભાજપનું વિધાનસભામાં ધોવાણ થયું હતું. 2017માં ભાજપને 46.8 ટકા અને કોંગ્રેસને 46.3 ટકા મત મળ્યા હતા. તેથી વિધાનસભાના 49 ધારાસભ્યોમાંથી 30 ધારાસભ્યો કોંગ્રેસના જીત્યા હતા. ભાજપે માત્ર 19 ધારાસભ્યો મેળવ્યા હતા. ઓછા મત આપીને સૌરાષ્ટ્રની પ્રજાએ કોંગ્રેસને વધું બેઠકો આપી હતી.
 
રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી એમ 7 લોકસભા બેઠકમાંથી આ વખતે કોંગ્રેસ પણ જોર કરી રહી છે. જેમાં રાજકોટ અને જામનગર બેઠક પર ભાજપ અને અમરેલી, જૂનાગઢ, પોરબંદર બેઠક પર કોંગ્રેસ પ્રમાણમાં મજબૂત જોવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર અને ભાવનગર બેઠક પર બન્ને પક્ષની ટક્કર ચાલી રહી છે.
 
પક્ષાંતર, મગફળી કૌભાંડ, ભ્રષ્ટાચાર, સૌની યોજના અને નર્મદા યોજના પૂરી ન થવી, ખેત પેદાશોના ઓછા ભાવ, કૃષિ પાક વીમો, પાણીની તંગી જેવા કારણે ભાજપ જામનગર, પોરબંદર અને જૂનાગઢ બેઠક પર મુશ્કેલી પડે તેવી શક્યતા છે.
 
પોરબંદરમાં ભાજપના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ ખારવા સમાજ સામે કરેલા નિવેદન અને પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, ધોરાજડી, ગોંડલ અને જેતપુરમાં ગુંડાઓને છુટો દૌર આપી દેવામાં આવ્યો હોવાથી પ્રજા ત્રસ્ત છે. ભાજપના ઉમેદવાર આ ગુંડા લોકો સાથે જોડાયેલા હોવાના આરોપો મૂકવામાં આવી રહ્યાં છે.
 
અમરેલી અને ભાવનગર બેઠક ડુંગળીના ઓછા ભાવ, દુષ્કાળ, કૃષિ વીમો, મગફળી કૌભાંડ, ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ રાજપુતો સામે કરેલા નિવેદનો, ગ્રામ્ય પ્રજા માટે ઓરમાયુ વર્તનનો આરોપ ભાજપ માટે સમસ્યારૂપ માનવામાં આવે છે. અહીં રાજપુત અને કોળી સમાજ પણ ખુશ નથી.
 
સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજના પીઢ નેતા સુરેન્દ્ર ગાંડા પટેલને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. સુરેન્દ્રનગરમાં ભાજપે જે રીતે પક્ષપલટાનું રાજકારણ અને ટિકિટો આપવામાં રૂ.9 કરોડ લીધા હોવાના ભાજપના જ રાજપુત નેતાએ જાહેરમાં કરેલા આક્ષેપો કર્યા છે. ખેડૂતોનો અહીં સૌથી મોટો પ્રશ્ન છે. અહીં નર્મદા નહેર નિકળતી હોવા છતાં ખેડૂતોને પાણી આપવામા આવતું નથી. રૂ.25 હજાર કરોડનો કોલસો કાઢી લેવાનું કૌભાંડ છેલ્લાં 15 વર્ષમાં થયું હોવાનું બહાર આવ્યું હતુ.
 
કોંગ્રેસે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં અને અમરેલીમાં 5 MLA મેદાનમાં ઉતાર્યા છે. 7માંથી ભાજપે 5 સાંસદોને ફરીથી ટિકિટ આપી છે. બેને કૌભાંડો તથા નબળા કારણોને લીધી ટિકિટ આપી નથી.
 
આ બધા કારણોથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાયરફાઇટિંગ માટે સભા કરવી પડી છે. તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીની નેતાગીરીથી ખુશ હોય એવું લાગતું નથી.
 
(દિલીપ પટેલ)
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp