ગડકરીએ કેમ કહ્યું- જ્યાં સુધી હું મંત્રી છું ત્યાં સુધી આ કાર ભારતમાં નહીં આવે

PC: abplive.com

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં ડ્રાઈવર વિનાની કે ઓટોનોમસ કાર લોન્ચ કરવામાં આવશે નહીં. IIM નાગપુર દ્વારા આયોજિત 'ઝીરો માઈલ' ઈવેન્ટ દરમિયાન બોલતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી હું મંત્રી છું ત્યાં સુધી ભારતમાં ડ્રાઈવર વિનાની કારને લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.'

ઇવેન્ટ દરમિયાન, નીતિન ગડકરીએ ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ફેરફારો પર ભાર મૂક્યો હતો, જેમ કે કારમાં છ એરબેગ્સનો સમાવેશ, રસ્તા પરના બ્લેક સ્પોટ ઘટાડવા અને મોટર વ્હીકલ એક્ટ દ્વારા દંડ વધારવો વગેરે. તેમણે કહ્યું, 'અમે મોટર વ્હીકલ એક્ટ દ્વારા દંડ વધાર્યો છે, એમ્બ્યુલન્સ અને ક્રેન્સ મૂકી છે, જેથી કરીને અહીંથી વસ્તુઓ સારી થાય, અમે દર વર્ષે જાગૃતિ પણ વધારીએ છીએ.'

મીડિયા સૂત્રએ પૂછેલા એક પ્રશ્ન પર નીતિન ગડકરીએ કહ્યું હતું કે, 'હું ક્યારેય ડ્રાઈવર વિનાની કારને ભારતમાં આવવાની મંજૂરી આપીશ નહીં, કારણ કે ઘણા ડ્રાઈવરો તેમની નોકરી ગુમાવશે અને હું આવું થવા દઈશ નહીં.' તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ટેસ્લાનું ભારતમાં સ્વાગત છે, પરંતુ ચીનમાં ઉત્પાદન કરી ભારતમાં વેચાણ માટે સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું, 'અમે ટેસ્લાને ભારતમાં આવવાની મંજૂરી આપીશું પરંતુ તેઓ તેને ચીનમાં બનાવી શકશે નહીં અને ભારતમાં વેચી શકશે નહીં. આવું થવું અશક્ય છે.'

માર્ગ અકસ્માતો વિશે બોલતા નીતિન ગડકરીએ કહ્યું કે, 'દેશમાં દર વર્ષે 5 લાખ અકસ્માતો થાય છે, જેમાં લગભગ 1.5 લોકો મૃત્યુ પામે છે. આ અકસ્માતોને કારણે GDPના 3.8 ટકા નુકસાન થાય છે. આ માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓમાં 60 ટકા યુવાનો છે, મૃત્યુમાં 10 ટકા અને અકસ્માતોમાં 12 ટકાનો વધારો થયો છે... આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આમાં મુખ્ય ચાર બાબતો છે, એક ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બીજી રોડ એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ અને એજ્યુકેશન.'

આ અંગે ખુલાસો કરતાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે, 'અમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ઘણો સુધારો કર્યો છે, કારમાં 6 એરબેગ્સ લાવ્યા છે. રોડ એન્જિનિયરિંગમાં બ્લેકસ્પોટ્સ સુધારવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. અમલીકરણ અને દંડમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાવ્યા છીએ. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડમાં વધારો કરવામાં આવ્યો છે. ઈમરજન્સી સેવાઓ માટે એમ્બ્યુલન્સ અને ક્રેનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને છેલ્લું શિક્ષણ, તેના માટે અમે સતત લોકોને જાગૃત કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ એવો છે કે, અમે 2030 પહેલા માર્ગ અકસ્માતમાં 50 ટકા ઘટાડો થાય તેવો પ્રયાસ કરી રહ્યા છીએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp