ભૂપેન્દ્ર પટેલ બદલાય તો દક્ષિણ ગુજરાતથી આ નેતા મુખ્ય પ્રધાન બની શકે?

PC: twitter.com

(Dilip Patel) રખેવાળ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂન 2024માં વડાપ્રધાન પદ માટે બંધારણને વફાદાર રહેવાના સોગંદ લેશે. તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે. તેમના પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી આ વખતે 5 નહીં પણ 3 પ્રધાનો હોઈ શકે છે. જેમાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને સી આર પાટીલ પ્રધાન હોઈ શકે છે.

સી આર પાટીલનો ભાજપના વડા તરીકેનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. તેમના સ્થાને બીજા પ્રદેશ પ્રમુખ આવી શકે છે. દેશ સાથે ગુજરાતમાં પણ પ્રધાન મંડળમાં ફેરફાર થઈ શકે છે. બની શકે કે મુખ્ય પ્રધાન પણ બદલવામાં આવે. તો આમ થાય તો આ વખતે દક્ષિણ ગુજરાતથી કોઈ મુખ્ય પ્રધાન હોઈ શકે છે.

આમેય ભાજપ 30 વર્ષથી ગુજરાતમાં સત્તા સ્થાને છે. ભાજપના કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન તરીકે કામ કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના બે, કચ્છથી એક, અમદાવાદથી 3 મુખ્ય પ્રધાન રહ્યા છે. મધ્ય ગુજરાતના અમદાવાદના ત્રણયે મુખ્ય પ્રધાનો મૂળ ઉત્તર ગુજરાતના છે. તેથી હવે દક્ષિણ ગુજરાતથી કોઈ મુખ્ય પ્રધાન બનાવવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.

આમેય દક્ષિણ ગુજરાતમાંથી ભાજપને 30 વર્ષમાં સૌથી વધારે મદદ મળી છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે ઓલપાડથી હિતેન્દ્ર દેસાઈ, મુંબઈ રાજ્યમાં મોરારજી દેસાઈ અને 1985માં આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીને મુખ્ય પ્રધાન બનાવ્યા પછી દક્ષિણ ગુજરાતમાંથી કોઈ મુખ્ય પ્રધાન બન્યા નથી.

અમદાવાદમાંથી અત્યાર સુધી કુલ 7 મુખ્ય પ્રધાન બન્યા છે. જેમાં ભાજપ અને તેના કુળના 4 છે. મધ્ય ગુજરાતથી ચીમનભાઈ પટેલ અને માધવસિંહ મુખ્ય પ્રધાન બન્યા હતા.

2022

2022માં નવસારીના એક ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાયા હતા. તે સિવાયની તમામ 35માંથી 34 ધારાસભ્યો ભાજપના છે. તેથી પહેલો હક્ક દક્ષિણ ગુજરાતને ત્યારે મળતો હતો. હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બદલાય તો તેમના સ્થાને દક્ષિણ ગુજરાતથી મુખ્ય પ્રધાન હોવા જોઈએ એવું લોકો પણ ઈચ્છી રહ્યાં છે.

2017

2017માં દક્ષિણ ગુજરાતે સૌથી વધારે ધારાસભ્યો ભાજપને આપ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં 182 ધારાસભ્યોમાંથી દક્ષિણ ગુજરાતની 35 ધારાસભ્યોમાંથી ભાજપના 27 અને કોંગ્રેસ 8 ધારાસભ્યો હતા. 

મધ્ય ગુજરાતના 40 ધારાસભ્યોમાંથી ભાજપના 22 અને કોંગ્રેસને 16 હતા.

ઉત્તર ગુજરાતના 32 ધારાસભ્યોમાંથી ભાજપના 14 અને કોંગ્રેસના 17 હતા.

સૌરાષ્ટ્ર-કચ્છની 54 ધારાસભ્યોમાંથી ભાજપના 23 અને કોંગ્રેસના 31 હતા.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સી આર પાટીલને દિલ્હી દરબારમાં હાજર થવા કહેવાયું છે. મુખ્ય પ્રધાન બદલવાની વિચારણા કરવાની ફરજ ભાજપને પડી શકે છે. કારણ કે, ભૂપેન્દ્ર પટેલના સમયમાં મોરબી અને રાજકોટ અને વડોદરામાં મોટી જળ અને અગ્નિ હોનારતો થઈ છે. તેનાથી તેમની છબી ઢીલા મુખ્ય પ્રધાન તરીકે બની છે. વહીવટ પર પકડ ઢીલી પડી છે. લોકસભાની ચૂંટણીમાં આંદોલનો થયા તેને અંકૂશમાં રાખી શક્યા નથી. મોરબી પુર હોનારત, વડોદરા તળાવ હોનારત અને રાજકોટ આગ હોનારતમાં સરકારની ઘણી નિષ્ફળતાં બહાર આવી છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપમાં ભારે આંતરિક વિરોધ હતો. તે ખાળવામાં ભાજપની મોટી નિષ્ફળતા છે. કોંગ્રેસ એક બેઠક જીતી શક્યો કારણ કે ભાજપમાં શંકર ચૌધરી સામે પક્ષ અને લોકોનો વિરોધ હતો.

અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને મુખ્ય પ્રધાન બનાવવાની રાજકીય ચાલ હોઈ શકે છે. પણ આ વખતે રાજકીય રીતે દક્ષિણ ગુજરાતથી ભાજપે મુખ્ય પ્રધાન આપવા પડે તેમ છે. તે માટે હાલના નાણાં પ્રધાન કનુ દેસાઈ પર પસંદગી ઢોળી શકાય તેવા ઉમેદવાર છે. તે સફળ નાણાં પ્રધાન રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલની જેમ ઠરેલ વ્યક્તિત્વ છે.

કનુ દેસાઈ સ્વભાવે નિખાલસ અને રાષ્ટ્રીય ભાજપના નેતાઓ માટે રબ્બર સ્ટેમ્પ બની શકે તેમ છે. તેઓ કહ્યાગરા છે. તેમનું વ્યક્તિત્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જેવું છે. તેથી ભાજપના કોઈ પણ નેતાઓને તેમની સામે વાંધો ન હોઈ શકે. લોકો હવે પૂછી પણ રહ્યા છે કે, દક્ષિણ ગુજરાતે ભાજપને ખોબો ભરીને મત આપ્યા છે તો મુખ્ય પ્રધાન કેમ ન આપો.

ઘણાં બધા કારણોને લીધે સી આર પાટીલને મુખ્ય પ્રધાન બનાવી શકાય તેમ નથી. લોકસભાની ચૂંટણીમાં મોદીની નજરે તેઓ સફળ નથી. વળી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના સ્થાને બીજા કોઈને લેવામાં આવે તો તે સૌરાષ્ટ્રથી તો નહીં જ હોય. લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા વ્યક્ત કરી હતી. 

નવા પ્રધાનો

નવી સરકાર આવે કે ભૂપેન્દ્ર પટેલ પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ અને સંકોચન કરે તો પણ દક્ષિણ ગુજરાતને ફરીથી પ્રભૂત્વ આપવું પડશે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને પ્રધાન મંડળમાં લેવામાં આવશે. અર્જુન મોઢવાડિયા સિવિલ એન્જિનિયર હોવાથી તેમને માર્ગ, મકાન અને જાહેર બાંધકામ વિભાગ આપવામાં આવે તેવી સંભાવના છે. સુરતના કેટલાક પ્રધાનોને દૂર કરીને નવા ઉભરેલા પ્રધાનો લેવામાં આવશે.

સીજે ચાવડાને પશુપાલન અથવા મહેસુલ વિભાગ આપવામાં આવે તેવી શક્યતા છે. પક્ષ પલટો કરતા પહેલા બંનેએ પ્રધાન બનાવવાની શરત મૂકી હતી.

182માંથી 161 વિધાનસભ્યો ભાજપ પાસે છે.

અભૂતપૂર્વ બહુમતી ધરાવતી ભુપેન્દ્ર પટેલ સરકારમાં ધારાસભ્યો તો દબાણ કરી શકે એવી હાલતમાં નથી.

અગાઉ પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની પ્રધાન બનાવી શકાય છે.

2017થી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર રાધનપુરથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરે પ્રધાન બનવાની લાલચથી પક્ષપલટો કર્યો હતો. તેઓ જીતશે તો લીલી પેનથી સહી કરશે તેવી જાહેરાત કરી હતી. પણ હારી ગયા હતા. પછી 2022 વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા.

થોડા સમય પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી ટિપ્પણી કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અત્યારે તો 17 પ્રધાનો છે. નિયમ અનુસાર 27 મંત્રી રાખી શકાય છે. સંસદીય સચિવ પણ બનાવી શકાય છે. નવા 10 પ્રધાનો લેવાય અને 5 પ્રધાનોને છૂટા કરી દેવાય એવું લાગી રહ્યું છે.

પ્રધાન મંડળના વિસ્તરણની માંગણી ખાનગી રીતે થતી રહી છે.

ભારતના બંધારણના અનુચ્છેદ 164 મુજબ વિધાનસભાના સભ્યોના 15 ટકાની મર્યાદામાં મંત્રીપરિષદ બની શકે છે. ગુજરાતમાં 182 સભ્યોના 15 ટકા લેખે 27.3 અર્થાત 27 સભ્યોનું મંત્રીમંડળ થઈ શકે છે.

22 વર્ષથી વધુ સમય સુધી મંત્રી રહેલા પરસોતમ સોલંકીની તબિયત સારી નથી. દોઢ મહિનો મુંબઈ હોસ્પિટલ સારવાર કરી હતી. તેમણે કફ સીરપ પીવી પડે છે. તેમણે થોડા દિવસ પહેલા પોતાના જન્મ દિવસે કહ્યું હતું કે, પોતે મજબૂત છે. મજબૂત રહેશે.

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 4 પક્ષપલટું પ્રધાનો છે. કોંગ્રેસના ગૌત્રના મંત્રીઓની સંખ્યા વધીને 6 થશે. કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ અને કુંવરજી હળપતિ છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર પ્રધાન બની શકે છે. 

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર ભાજપએ હારનો સામનો કરવો પડ્યો. પાટણ બેઠક પર ઓછા મતે ભાજપ જીત્યો છે.

ઉત્તર ગુજરાતમાં ચૌધરી અને ઠાકોર જ્ઞાતિ હશે.

હાલના પ્રધાનો

12 ડિસેમ્બર 2022ના રોજ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી કરી હતી.

16 મંત્રીઓએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જ શપથ લીધા હતા.

30 વર્ષથી ભાજપની સરકાર છે. નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજય રૂપાણી

22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ મુખ્ય પ્રધાન બન્યા. 7 ઓગસ્ટ 2016નાં રોજ વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બન્યાં. હવે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા છે.

કયું ખાતું

મુખ્ય પ્રધાન

સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો

કેબિનેટ કક્ષા

ઋષિકેશ પટેલ -આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

ડો. કુબેર ડીંડોર- આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ભાનુ બાબરીયા-સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

મુળુ બેરા- પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રાલય

કનુ દેસાઇ – નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ

રાઘવજી પટેલ- કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

બળવંતસિંહ રાજપૂત- ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

કુંવરજી બાવળીયા- જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

રાજ્યકક્ષાના મંત્રીઓ

હર્ષ સંઘવી –  રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)

જગદીશ વિશ્વકર્મા (પંચાલ) – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)

પરષોત્તમ સોલંકી – મત્સ્યોદ્યોગ અને પશુપાલન

બચુ ખાબડ – પંચાયત, કૃષિ

મુકેશભાઇ જે. પટેલ- વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા

પ્રફુલ્લભાઇ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

ભીખુસિંહ પરમાર- અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા

કુંવરજીભાઇ હળપતિ- આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

દક્ષિણ ગુજરાતમાંથી 5 અને સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનો છે.

મધ્ય ગુજરાત 3 અને ઉત્તર ગુજરાત 3 પ્રધાનો છે.

રૂપાણી સરકારના ત્રણ જૂના જોગીઓનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના એક એક ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp