ઝેરી સાઈનાઈડ સુરત માટે બીજું ભોપાલ બની શકે, જોખમી કચરો પકડાયો

PC: khabar.ndtv.com

સુરતના ઓલપાડમાં આવેલા હિન્દુસ્તાન કેમિકલ્સ ફરી એક વખત વિવાદમાં આવી છે. પોલીસે તેને જોખમી કચરો નાંખતા પકડી પાડી છે. એવી જાહેરાત કરી છતાં હજુ સુધી આ કંપનીને GPCB દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી નથી. તેથી ગઠબંધન જાહેર થયું છે. ગુજરાત સરકારની કાઉન્સીલ દ્વારા જેને સલામતીના 12 એવોર્ડ મળેલા છે તે લોકો માટે અસલામતી કરાવતી પકડાઈ છે. છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી. જો આ કંપની આ રીતે બેદરકાર રહે તો ભોપાલ જેવી ભયાનક ગેસ ગળતર હોનારત થઈ શકે છે. કારણ કે અહીં 32 વર્ષથી લોકો આ કંપનીના પ્રદુષણ સામે લડી રહ્યાં છે. દરેક વખતે તેમને બચાવી લેવામાં આવી છે. ભોપાલમાં જે રીતે 35 હજાર લોકો ઝેરી ગેસના કારણે મોતને ભેટ્યા હતા એવું સુરતમાં થાય તો શું થઈ શકે? છતાં ગાંધીનગરની પ્રદુષણ નિયંત્રણ કચેરી આ અંગે ભેદી છે.

અગાઉ આ કંપની અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે

હિન્દુસ્તાન કેમિકલ કંપનીના 1 જાન્યુઆરી 2018માં GPCB દ્વારા લેવાયેલા સેમ્પલ ઝેરી હોવાનું બહાર આવ્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા મથકે આવેલી સાઈનાઈડ કંપની વિવાદનો પર્યાય બની ગઈ છે. ઝેરી કેમિકલ બનાવતી આ કંપની સામે ખેડૂતોનો ભારે રોષ છે. કંપની દ્વારા ઝેરી કેમિકલ ખાડીમાં છોડતા 30 મે 2018ના દિવસે ખાડીમાં લોકોએ કંપનીને રંગેહાથે ઝેરી કેમિકલ છોડતા પકડી પાડી GPCBના અધિકારીને જાણ કરી હતી. અધિકારીએ તે વખતે પાણી અને માટીના નમુના લીધા હતા, જેના રીપોર્ટમાં વધુ માત્રમાં કેમિકલ જણાઈ આવ્યું હતુ.

સુરતના ઓલપાડમાં આ કંપની શરૂ થઈ છે ત્યારથી સ્થાનિક લોકો અને ખેડૂતો તેનો સતત વિરોધ કરતા આવ્યા છે. અગાઉ પણ ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવાના મુદ્દે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર નોટીસ ફટકારી હતી. કંપની ફરી કંપની ચાલુ થઇ ગઈ હતી. વિવાદને ટાળવા કંપનીએ કંપનીનું નામ સાઇનાઇડ એન્ડ કેમિકલ નામ બદલી હિન્દુસ્તાન કેમિકલ કરી દીધું હતુ.

2014થી વિરોધ છતાં સરકાર મૌન

ઓલપાડમાં 14 નવેમ્બર 2014માં પર્યાવરણલક્ષી લોકસુનાવણીમાં સાઇનાઇડ કંપની સામે હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારથી લોકો તેમની સામે લડતાં આવ્યા છે. નવો પ્લાંટ નાખવા માટે લોકસુનાવણી કરી હતી. જેમાં નવા પ્લાંટની મંજૂરીનો તો વિરોધ કરાયો હતો પણ આ કંપની બંધ કરી દેવા માટે લોકોએ લોકસુનાવણીમાં માંગણી કરી હતી.

સ્થાનિકોએ આપેલા પુરાવા જોઈને કલેક્ટરે તપાસ કરવાની બાહેંધરી આપી હતી. પછી કંઈ થયું નહીં. આ મામલે કેન્દ્ર સરકારને અહેવાલ આપવા માટે કહેવામાં આવ્યું હતું. ઓલપાડ જીન ખાતે ખેડૂત સમાજના આગેવાનો જયેશ પટેલ (દેલાડ), જયેશ પટેલ (પાલ),શબ્બીર મલેક, પર્યાવરણવાદી એમ.એસ.શેખ તથા માજી ધારાસબ્ય ધનસુખ પટેલની હાજરીમાં સોમવારે સાંજે ચાર કલાકે આલપાડ જીન ખાતે યોજાઈ હતી. કંપનીને બંધ કરીનેજ જંપીશું, એવું આ નેતાઓએ ખાતરી આપી હતી. પણ કંપની બંધ થઈ નથી. છેલ્લા 32 વર્ષથી કાર્યરત સાઇનાઇડ કંપની ખોટા રીપોર્ટ રજૂ કરી સરકારમાં મોકલેલા છે. ઓલપાડની પ્રજાના આરોગ્ય પર જોખમ ઊભું કરે છે.

કંપની બંધ થઈ પણ નામ બદલી ફરી ચાલુ કરી

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 2016માં ક્લોઝર નોટીસ ફટકારી હતી. કંપની બંધ થઈ હતી. પણ તેની ફેક્ટરી તો ચાલુ છે. કંપનીનું નામ સાઈનાઈડ એન્ડ કેમિકલના બદલીને હિન્દુસ્તાન કેમિકલ્સ કરી દેવાયું હતં. માત્ર નામ જ બદલી નાંખવામાં આવ્યું છે. થોડા સમય બાદ કંપની બંધ રહ્યા બાદ ફરી કંપની ચાલુ થઇ ગઈ હતી. વિવાદને ટાળવા કંપનીએ કંપનીનું નામ સાઇનાઇડ બદલી હિન્દુસ્તાન કેમિકલ કરી દીધું હતું. પણ છતાં વિવાદ શમ્યો નથી.

ભોપાલ દુર્ઘટના થઇ ત્યારથી કંપની છે

3 ડિસેમ્બર 1984ના દિવસે મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં રાત્રિએ યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં થયેલા ઝેરી ગેસ ગળતરમાં સત્તાવાર 15,274 પણ બીન સત્તાવાર 35 હજાર લોકો મોતને ભેટ્યા હતા. આ દિવસો દરમિયાન ઓલપાડમાં હિન્દુસ્તાન - સાઈનાઈડ - કેમિકલ્સ કંપનીનું કામ શરૂં થયું હતું. પેસ્ટીસાઈડની ફેક્ટરી યૂનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડમાંથી થયેલા ગેસ ગળતરને કારણે ઊભી થયેલી અસરનો ભાર આજે પણ શહેર પર છે. એવું જ ઓલપાડમાં થઈ રહ્યું છે. જે આ શહેરની હવામાં તેનો અહેસાસ થાય છે.

ભોપાલ ગ્રુપ ઓફ ઇન્ફર્મેશન એન્ડ એક્શન જેવા સંગઠનોએ ભોપાલના પર્યાવરણ, હવામાં ભળેલા ઝેર અને ઝેરના ફેલાવા સંબંધે સ્વતંત્ર નિરિક્ષણ કરવા મટે સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમ (યૂએનઈપી)ને વિનંતી કરી હતી, પરંતુ તેમણે એવું કહ્યું હતું કે તેઓ માત્ર ભારત સરકારની વિનંતીને અનુસરીને જ એ કામ કરી શકે છે.

ભાજપના પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરને લોકો મળ્યા હતા અને ત્રણ મહિના બાદ ના પાડી દીધી હતી. કહ્યું હતું કે સરકાર સ્વતંત્ર રીતે યૂએનઈપી પાસે થર્ડ પાર્ટી સાયન્ટિફિક તપાસ કરાવી ન શકે. આજે તે 35 વર્ષ પછી મોદી સરકાર પણ તે વાતને છુપાવી રહી છે. ગુજરાતમાં અનેક પેસ્ટીસાઈડ કારખાનામાંથી લીક થયેલો ઘાતક ગેસ મિથાઈલ આઈસોસાઈનેટ (એમઆઈસી)ની અસરને નષ્ટ કરી શકે તેવું કોઈપણ રસાયણ અત્યાર સુધીમાં બનાવાયું નથી. મિથાઈલ આઈસોસાઈનેટ ગેસ એટલો ઘાતક હતો કે તેનો દુષ્પ્રભાવ એક પેઢીથી બીજી પેઢી સુધી જાણે કે ટ્રાન્સફર થઈ રહ્યો છે. એની સાથે જ યૂનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડની જે ફેકટરીમાં રાસાયણિક કચરાને જમા કરવામાં આવતો હતો તેના ત્રણ કિલોમીટરના વર્તુળમાં માટી અને પાણી આજે પણ ઝેરીલા છે.

ઘટના પછી 350 ટન ઘાતક રાસાયણિક કચરાને ગોડાઉનની જમીન પર એકત્ર કરાયો હતો, જ્યારે બાકીનો અંદાજે 1000 ટન રાસાયણિક કચરો ફેક્ટરીની અંદર જ જમીનમાં દાટી દેવાયો તે તળાવોમાં ભળ્યો છે અને તળાવોમાં બાષ્પીકરણની પ્રક્રિયાથી તે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે રસાયણોના બાષ્પીભવન પછી બચેલા અવશેષોથી માટી અને પાણી પર અસર થઈ રહી છે.

અત્યારસુધીમાં કોઈપણ જાતનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. અંદાજે 17 સરકારી અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા કરાયેલું રિસર્ચ જણાવે છે કે ત્રણ કિલોમીટરનું સમગ્ર વર્તુળ સંપૂર્ણપણે ઝેરી બની ગયું છે. 35 વર્ષોમાં કોઈ રાહત મળી છે ખરી એવો જો કોઈ સવાલ મનમાં થતો હોય તો જાણી લો કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ સરકારોની બિન કાર્યક્ષમતા અને અપૂરતી પ્રતિક્રિયાને કારણે અહીંના અસરગ્રસ્તોની મુસિબતોમાં ખાલી વધારો જ થયો છે. સરકારી આંકડાઓને અનુસાર 15,274 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ખેખર તો 35,000 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત હજારો લોકો ગેસના કારણે પાણી અને જમીનમાં ભળી ગયેલા ઝેરનો પણ શિકાર બન્યા છે.

ઓલપાડમાં પણ ભોપાલ જેવું થઈ શકે છે. આ કંપની કોલકાતાની છે. તેની મુખ્ય કચેરી મુંબઈમાં છે. જે હિન્દુસ્તાન એન્જીનીયરીંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લી.નું યુનિટ છે. કંપની ખતરનાક ઝેરી રસાયણ સાઈનાઈડ બનાવે છે. હાઈડ્રોઝન મૂળનું સાઈનાઈડ બેઝ ઝેરી જંતુનાશક દવાઓ અને બીજા ઉત્પાદનોમાં તે વપરાય છે. જે સોનાની ખાણોમાં અને બીજા અનેક ઉદ્યોગોમાં વપરાય છે. અહીં કેમિકલ બનાવીને વિદેશ મોકલે છે. સલામતી માટે જેને 20 એવોર્ડ મળ્યા છે. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને અમેરીકા સહિતની સલામતી કાઉન્સીલના 20 એવોર્ડ મળ્યા છે. છતાં તે ઝેરી પાણી છોડતાં પકડાઈ છે.

સોડિયમ સાયનાઇડ

સોડિયમ સાયનાઇડ અત્યંત ઝેરી રાસાયાણ છે. શરીરની ઓક્સિજનના ઉપયોગ કરવાની ક્ષમતામાં હસ્તક્ષેપ કરે છે. સોડિયમ સાયનાઇડ ઝડપથી જીવલેણ બની શકે છે. તે ઓર્ગન સિસ્ટમોને અસર કરે છે, જે ઓક્સિજન સ્તરની સૌથી વધુ સંવેદનશીલ હોય છે: ચેતાતંત્ર (મગજ), કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ (હૃદય અને રક્ત વાહિનીઓ), અને પલ્મોનરી સિસ્ટમ (ફેફસાં). સોડિયમ સાયનાઇડનો ધૂમ્રપાન, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઓરેસમાંથી સોના અને ચાંદી કાઢવા માટે વ્યાપારી રીતે ઉપયોગ થાય છે. હાઈડ્રોજન સાઇનાઇડ ગેસ કડવો ગંધ ધરાવે છે. લોકો તેને શોધી શકતા નથી. સોડિયમ સાયનાઇડ ગંધહીન હોય છે. તેથી તે વધું ખતરનાક માનવામાં આવે છે.

પોટેશિયમ સાયનાઇડ

પોટેશિયમ સાયનાઇડ લઈને ઘણાં પ્રખ્યાત લોકોએ આત્મહત્યા કરવા ઉપયોગ કર્યો હતો. શ્વાસોશ્વાસને રોકી દે છે. શરીરને ઉપયોગી ઊર્જા ઉત્પન્ન કરવા માટે ખોરાક ઓક્સિડાઇઝ કરવાથી અટકાવે છે. ઍટેરોબિક મેટાબોલિઝમના પરિણામે લેક્ટિક એસિડોસિસ થાય છે. શરૂઆતમાં, તીવ્ર સાયનાઇડ ઝેરનું કારણ પીડિતમાં લાલ અથવા કઠોર રંગનું કારણ બને છે. પેશીઓ લોહીમાં ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. વ્યક્તિ ચેતના ગુમાવે છે, મગજ કામ કરતું બંધ કરી દે છે. પોટેશિયમ સાયનાઇડની જીવલેણ માત્રા 200-300 મિલિગ્રામ છે. રાજીવ ગાંધીની હત્યા કરનારી એલટીટી પણ આનો ઉપયોગ કરતી હતી. તેનો હત્યા કરવામાં ઉપયોગ સરળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp