25 વર્ષથી પરીક્ષા, બેગ, હોમવર્ક, ટ્યુશન વગર ચાલે છે ગુજરાતની આ શાળા

PC: Khabarchhe.com

આપના બાળક સાથે શાળામાં દફ્તર, નાસ્તો કે વોટરબેગ મોકલશો નહીં. તમે બાળકને ટ્યૂશને મોકલશો નહીં. તમારે પણ ઘરે ભણાવવાનું નથી. શાળામાંથી કોઇ હોમવર્ક આપવામાં આવશે નહીં. શાળામાં બાળકની કોઇ પરીક્ષા લેવામાં આવશે નહીં. જેમાં ટકા કે માર્ક્સ લખેલા હોય તેવું રીઝલ્ટ પણ અપાશે નહીં. જો તમને આ બધી શરતો મંજૂર હોય તો અમે તમારા બાળકને આ શાળામાં પ્રવેશ આપી શકીશું. સુરતની શ્રી નાલંદા ગુરૂકુળ વિદ્યાલયમાં પ્રવેશ માટે આવતા વાલીઓ માટેની આ કેટલીક શરતો છે જે વાલીએ સંપૂર્ણપણે પાળવી પડે છે. જો વાલીમાં આ બધું સ્વીકારવાની હિંમત હોય તો જ પ્રવેશ કરાવે. જોકે, એવા ઘણા વાલીઓ છે જે આ સ્વીકારે છે. શાળામાં ભણાવે છે. શ્રી નાલંદા ગુરૂકુળ છેલ્લા 25 વર્ષથી સુરતમાં વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર આપવાના પ્રયત્નો કરી રહી છે. અહીં પ્રયત્નો એટલા માટે કહેવું પડે કારણ કે બદલાતી દુનિયામાં સતત નવું નવું ઉમેરવું પડે છે. આજથી 15 વર્ષ પહેલા કોમ્પ્યુટર અને ટેક્નોલોજીનો એટલો વ્યાપ ન હતો. પરતું આજે નાલંદા ગુરુકુળમાં કોમ્પ્યુટર અને રોબોટિક્સ પણ શીખવવામાં આવે છે. જોકે, તેની સાથે સુથારીકામ, લુહારીકામ, માટીકામ તો વિદ્યાર્થીઓએ શીખવું હોય તો શીખી શકે છે. અહીં ભણનાર બાળક આગળ જઇને નોકરી મેળવવાની સ્પર્ધામાં જોડાવાને બદલે નોકરી આપી શકવાની ક્ષમતા કેળવે તે રીતે તૈયાર કરાય છે.

પ્રવેશ માટે બાળકના વાલીએ શાળાની પદ્ધતિ મુજબ શિક્ષણ આપવાની તૈયારી બતાવવી પડે. આ ઉપરાંત કોઇ બીજી શરત હોતી નથી. શિક્ષણની પદ્ધતિ ક્ષમતાલક્ષી અને ઘટકલક્ષી પદ્ધતિ છે. બાળકની ક્ષમતા મુજબ તેને ભણવવામાં આવે છે. જો તેને સમજ ન પડે તો શિક્ષકો વ્યક્તિગત રૂપે તેને ઉપચારાત્મક શિક્ષણ આપે છે. શિક્ષણ માટે ચોક-ડસ્ટર સિસ્ટમ તો છે જ પરંતુ તે માત્ર જરૂર પડે તો જ ઉપયોગમાં લેવાય છે. મોટાભાગે વિદ્યાર્થીઓ અનુભવ દ્વારા શિક્ષણ મેળવે છે. શાળાના ફ્લોરથી લઇને દિવાલો અને છત પણ ટીચીંગ એડની જેમ કામ કરે છે. જુદા જુદા પ્રકારની ટીચીંગ એડથી જ મોટાભાગે બાળકો શીખે છે. આ પદ્ધતિથી શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ થોડા સમયમાં સેલ્ફ લર્નિંગ કરતા થઇ જાય છે. હાઇસ્કૂલ સુધી તો પછી તેમને શિક્ષકની જરૂરિયાત પોતાની શંકાઓના સમાધાન માટે જ પડે છે. જો શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓને પરિણામોની વાત કરીએ તો અહીં રીઝલ્ટને બદલે જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીએ શું શીખ્યું તેનો અહેવાલ આપવામાં આવે છે. ખાસ કરીને ભાષા, ગણિત અને સમાજવિજ્ઞાન પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ ઉપરાંત બાળકમાં સર્જનાત્કમતા, નિરીક્ષણ શક્તિ, નિર્ણય શક્તિ જેવા ગુણો કેટલા વિકસ્યા છે તેનો રિપોર્ટ પણ અપાય છે.

પ્રી સ્કૂલથી લઇને ધો. 12 સુધી ચાલતી શાળામાંથી જો કોઇ વિદ્યાર્થી શાળા છોડીને જાય તો તેને તે મુજબનું રીઝલ્ટ પણ આપવામાં આવે છે. આ પદ્ધતિનું પરિણામ એ છે કે ધો. 10 અને ધો. 12માં શાળાનું પરિણામ સરેરાશ 90થી 100 ટકા છે. વ્યક્તિગત વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી 70થી 80 ટકાની વચ્ચે હોય છે. અહીં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની માન્યતા છે. આમ તો શાળાનું તમામ શિક્ષણ જ ઇતર પ્રવૃત્તિઓ જેવું છે છતાં વિદ્યાર્થીઓ અહીં સંગીત, નૃત્ય, ડ્રામા શીખે છે. તેઓ સુરત શહેરમાં સાયકલનો પ્રવાસ કરે છે. સુરતથી છેક 100 કિમી ડાંગ જઇને ત્યાં રહી કેમ્પ કરે છે. પાવાગઢ જઇને રોક ક્લાઇમ્બિંગથી લઇને ટ્રેકિંગ કરે છે. તેમને ખેતી કરવાથી લઇને બીજી અનેક પ્રવૃત્તિઓ કરાવાય છે. શાળામાં એક રાત કેમ્પ ફાયર કરાય છે જેમાં વિદ્યાર્થીઓ આખી રાત પોતાની કૃતિઓ રજૂ કરતા હોય છે. રમતોની વાત કરીએ તો અહીં હોકી, જૂડો, ફૂટબોલ, યોગ, જિમ્નાસ્ટિક જેવી રમતો બાળકો શીખે છે. ઘણા બાળકો રાજ્ય સ્તર સુધી રમી આવ્યા છે.

 શાળાની સ્થાપના સન: 1997-98 ના વર્ષમાં પ્રા.યશપાલજીના ભાર વગરના ભણતરના સિધ્ધાંત પ્રમાણેની શાળા શરૂ કરી. પહેલા વર્ષે જ બાળકોને દફતર વગર આવવું એવું નકકી કર્યુ. સ્ટેશનરીઓ શાળામાંથી આપવી. નાના બાળકો માટે 7:30 કલાક અને મોટા બાળકો માટે 9:30 કલાક ડે-કેર સ્કૂલ, દફતર, ઘરકામ, ટયુશનની બદી દૂર કરી. શાળામાં ભણતા બાળકો ટયુશન ન કરી શકે એવો નિયમ લાગું કર્યો. ઘરકામ આપવું નહિ અને શાળાએ દફતર લાવવું નહિ. તેની જગ્યાએ રેમિડિયલ (નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય) શરૂ કર્યુ. વર્કશીટ પેર્ટનની શરૂઆત કરી વિષયવાર કલાસરૂમો હતા. ધીરે ધીરે ટીચીંગ લર્નિંગ મટીરીયલ્સ, મેથર્ડ અમલ કરતા ગયા DIET અને GCRT ના ઘણા વર્કશોપો શાળામાં થયા. સર્વપ્રથમ શૈક્ષણિક નાટકોની સ્ક્રીપ્ટ લેખનનો વર્કશોપ શાળામાં થયો.

ત્યારબાદ 2012થી ધીરેધીરે વિષયો, ધોરણો, અભ્યાસક્રમો નાબૂદ કર્યો. તેની જગ્યાએ ટોપીક બેઈઝ એજયુકેશન, શ્રેણીવિહીન ઘટક પધ્ધતિ અમલમાં મૂકી. હાલમાં બાળકો સાથે બનતી ઘટનાઓ, અનુભવોના આધારે ચર્ચા દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કર્યું. બાળકની મૌલિક શકિત વિકસે એવા કાર્યક્રમો અપનાવ્યા. 2015થી એન્જીનિયરીંગ વર્કશોપ, ઈલેકટ્રીક, મિકેનીકલ જેવા કોર્ષો ચાલુ કર્યા શરૂઆતથી જ સંગીત-નૃત્ય વગેરેમાં વિષારદ સુધી બાળકોને તાલીમ બાળકોને અપાય છે. આ સાથે સાથે ટ્રેકીંગ, માઉન્ટેનીંગ, 70 કિ.મી લઈ 250 કિ.મી સુધીના સાયકલ પ્રવાસો, અઠવાડિયું 10 દિવસ સુધી પર્યાવરણીય કેમ્પો વગેરેનું આયોજન વરસો વરસ કરવામાં આવે. બાળકોને હું અને ઋતુઓ દ્વારા શિક્ષણ આપીએ છીએ. એ વિષય પર શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ જીવન લક્ષી શિક્ષણ આપવાનો છે. આ વર્ષ શાળાના 25 વર્ષ પૂર્ણ થતા હોય તેની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન થયેલું છે. વાષિર્ક ઉત્સવનો વિષય વામનના ત્રણ ડગ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp