ગાંગુલીના મતે આ પૂર્વ ખેલાડી સાબિત થઈ શકે છે ભારતીય ટીમના સારા કોચ
ભારતીય ક્રિકેટ ટીમના કોચની BCCI શોધ કરી રહ્યું છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને હવે દ્રવિડનો કાર્યકાળ આગળ વધવાનો નથી ત્યારે BCCI નવા કોચ માટે અરજી મગાવી હતી, જેમાં સૌથી આગળ નામ ગૌતમ ગંભીરનું ચાલે છે. આ અંગે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું છે.
ગાંગુલીએ કહ્યું હતું કે, હું ભારતીય કોચના પક્ષમાં છું. જો ગંભીરે આ પદ માટે અરજી કરી છે તો તેઓ સારા કોચ સાબિત થશે. ગંભીરને ભારતીય કોચ બનવાની રેસમાં આગળ માનવામાં આવે છે. હાલમાં તેઓ IPLની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના મેન્ટરપદે છે. તેમણે એવું પણ કહ્યું કે, કોઈ ભારતીયને હેડ કોચ બનાવવા જોઈએ.
પહેલા ગાંગુલીએ કહેલું-'કોચ બનાવવાનો નિર્ણય સમજદારીથી લો'
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચની શોધ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ વીતી ગઈ છે. આ દરમિયાન સૌરવ ગાંગુલીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આવામાં લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, તેના આરોપો ગૌતમ ગંભીર પર છે.
સૌરવ ગાંગુલીએ 30મી મે 2024ના રોજ બપોરે 11:26 વાગ્યે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કર્યું, તેના પર લખ્યું, 'કોઈના જીવનમાં કોચનું મહત્વ, તેનું માર્ગદર્શન અને સતત તાલીમ કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય ઘડે છે, પછી તે મેદાન પર હોય કે મેદાનની બહાર, તેથી કોચ અને સંસ્થાની પસંદગી સમજદારીપૂર્વક કરો….!'
સૌરવ ગાંગુલીની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. બપોરે 2 વાગ્યા સુધીમાં હજારો લોકોએ તેને લાઈક કરી હતી, જ્યારે 2.32 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા હતા અને સેંકડો લોકોએ તેની પોસ્ટને ફરીથી પોસ્ટ કરી હતી. આ પોસ્ટ વાયરલ થયા પછી એક્સ પર ઘણા લોકોએ સૌરવ ગાંગુલીને પૂછ્યું, 'ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવાના અહેવાલો આવી રહ્યા છે. આવા સમયે તમે આ પોસ્ટ કરી છે. શું તમે તેના મુખ્ય કોચ બનવાના વિરોધમાં છો?'
હકીકતમાં, સૌરવ ગાંગુલીની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીર રાહુલ દ્રવિડની જગ્યાએ ભારતીય કોચ બનાવવાની રેસમાં સૌથી આગળ છે. એક્સ યુઝર્સે અન્ય ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી. કેટલાક માને છે કે, ભૂતપૂર્વ બેટ્સમેનને તેના રમતના દિવસો દરમિયાન ગ્રેગ ચેપલ હેઠળના તેના મુશ્કેલ સમયની યાદ આવી ગઈ હશે.
અહીં તમને જણાવી દઈએ કે, ભારતના તત્કાલિન કેપ્ટન સૌરવ ગાંગુલીએ જોન રાઈટના કરારની સમાપ્તિ પછી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રેગ ચેપલને ભારતના મુખ્ય કોચ તરીકે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2003-04માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ગ્રેગ ચેપલ અને ગાંગુલી વચ્ચે મિત્રતા બંધાઈ હતી.
આ સમયગાળા દરમિયાન, ચેપલે કથિત રીતે ગાંગુલીને ઉછાળવાળી ઓસ્ટ્રેલિયન પીચો પર સફળ થવામાં મદદ કરી હતી. જો કે, બંને વચ્ચેના સંબંધો ટૂંક સમયમાં બગડી ગયા. મતભેદો એટલા વધી ગયા કે કોચ દ્વારા BCCIને મોકલવામાં આવેલ કથિત Email લીક થયા પછી ગાંગુલીની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ અને તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો.
The coach's significance in one's life, their guidance, and relentless training shape the future of any person, both on and off the field. So choose the coach and institution wisely…
— Sourav Ganguly (@SGanguly99) May 30, 2024
સૌરવ ગાંગુલીએ 2006માં પુનરાગમન કર્યું, પરંતુ ગ્રેગ ચેપલ સાથેના તેના સંબંધો ક્યારેય પહેલા જેવા નહોતા. ધીમે-ધીમે ટીમના અન્ય સિનિયર ખેલાડીઓ પણ ઓસ્ટ્રેલિયન દિગ્ગજની કોચિંગ સ્ટાઈલ સામે ખુલ્લેઆમ બોલવા લાગ્યા. 2007 ODI વર્લ્ડ કપમાં ભારતની ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા પછી ગ્રેગ ચેપલની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp