ઈશાન કિશનને કેમ અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમમાં ન લીધો, દ્રવિડે જણાવ્યું કારણ

PC: twitter.com

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે થનારી પહેલી T20 સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ઈશાન કિશન વિશે પણ વાત કરી હતી, જેને અફઘાનિસ્તાન સામેની સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન નથી મળ્યું. મીડિયામાં એવી વાતો ચાલી રહી છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને T20 સીરિઝ માટે સ્ક્વોડમાં ન શામેલ થવા પાછળ અમુક અનુશાસનાત્મક કારણ હતા. ઈશાન કિશને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં એવું કહીને નામ પાછું લઈ લીધું હતું કે, તે માનસિક રૂપે થોડો થાક અનભવી રહ્યો છે અને પછી તે દુબઈમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો અને શ્રેયસ ઐયર સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં એક જ ભૂલ વારંવાર કરી રહ્યો છે, જેને કારણે મેનેજમેન્ટ નારાજ હોવાનું કહેવાય છે.

આ બંને ખેલાડીની ટીમમાં ન શામેલ કરવાને લઈને રાહુલે કહ્યું હતું કે, કોઈ અનુશાસનાત્મક કારણ નથી. ઈશાન કિશન સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતો અને તેણે ટીમથી બ્રેક માગ્યો હતો, જેના પર અમે રાજી થયા હતા. અફઘાનિસ્તાન સામેની સીરિઝ માટે પણ ઈશાને પોતાને ઉપલબ્ધ ન હોવાનું કહ્યું હતું. શ્રેયસ ઐયરને એટલે ડ્રોપ કરવામાં આવ્યો છે કારણ કે સ્ક્વોડમાં ઘણા બેટ્સમેનો થઈ ગયા હતા. આ ન્યૂઝ સંપૂર્ણ રીતે ખોટી છે.

માનસિક થાક જણાવી દુબઈમાં પાર્ટી કરનારા ઈશાનથી શું BCCI નારાજ છે?

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ભારત માટે અત્યાર સુધીમાં બે ટેસ્ટ, 27 વનડે અને 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ઇશાન કિશન ICC વર્લ્ડ કપ 2023 પછી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ હતો અને તેને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક પણ મળી હતી. આ પછી, તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 ટીમ માટે ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને રમવાની તક મળી ન હતી. ઇશાન કિશન માનસિક થાકનું કારણ આપીને દક્ષિણ આફ્રિકા પ્રવાસથી પરત ફર્યો હતો. એવા અહેવાલો આવવા લાગ્યા કે, ઈશાન કિશનને ટીમમાં રાખવા છતાં તેને રમવાની તક નથી મળી રહી, જેના કારણે તે કદાચ પરેશાન છે. ટીમ મેનેજમેન્ટ અને નેતૃત્વ વચ્ચે એવી ચર્ચા ચાલી રહી છે કે, ઇશાન કિશન તેને પ્લેઇંગ ઇલેવનમાં પસંદ ન કરવાના કારણ ને યોગ્ય રીતે નથી લઇ રહ્યો. 25 વર્ષના ઈશાન કિશનની મુશ્કેલીઓ ત્યારે વધી ગઈ, જ્યારે દુબઈમાં તેણે પાર્ટી કરી હોવાના સમાચારો સામે આવવા લાગ્યા.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ ઈશાન કિશન એ વાતથી નાખુશ હતો કે, તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી રહી ન હતી. ઈશાન કિશને વર્લ્ડ કપ 2023 પછી ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝમાંથી રાહત માંગી હતી, પરંતુ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)એ તેની અરજી ફગાવી દીધી હતી. શ્રેણીની ત્રણ મેચ પછી તેને છેલ્લી બે મેચ માટે આરામ મળ્યો હતો, પરંતુ તેમ છતાં તેને ટીમ સાથે રાખવામાં આવ્યો હતો. ઈશાન દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર સફેદ બોલની ક્રિકેટમાંથી બ્રેક ઈચ્છતો હતો, પરંતુ ટેસ્ટ શ્રેણીનો ભાગ બનવા ઈચ્છતો હતો. પરંતુ ફરીથી તેમની વિરામ માટેની વિનંતી નકારી કાઢવામાં આવી હતી. ઈશાન દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ ટીમનો ભાગ હતો, પરંતુ ત્યાર પછી તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા પણ ઈશાન અને BCCI વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું ન હતું.

એક સૂત્રધારે મીડિયા સૂત્ર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'તેણે ટીમ મેનેજમેન્ટને કહ્યું કે તે માનસિક થાક અનુભવી રહ્યો છે, કારણ કે તે સતત ટીમ સાથે છે અને તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. પરંતુ આ પછી તે દુબઈ ગયો અને ત્યાં પાર્ટી કરતો જોવા મળ્યો. ઈશાન કિશનની નજીકના એક સૂત્રએ કહ્યું કે, 'એકવાર તેને બ્રેક આપવામાં આવે તો તે જ્યાં સમય પસાર કરી રહ્યો છે તેનાથી શું ફરક પડે છે? તે રમતમાંથી થોડો સમય કાઢવા માંગતો હતો, કારણ કે તે સતત ટીમ સાથે પ્રવાસ કરતો હતો. તેને રમવાની તક મળી રહી ન હતી અને તેનાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હતી. તે તેના ભાઈના જન્મદિવસમાં હાજરી આપવા માટે દુબઈ આવ્યો હતો.' એવું માનવામાં આવે છે કે, ઈશાન કિશને અફઘાનિસ્તાન સામે T20 સીરીઝ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેને T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp