કોહલીના ફ્લોપ શૉ પર રોહિતને સવાલ પૂછાયો, કેપ્ટન શર્માનો જવાબ દિલ જીતી લેશે

PC: BCCI

આ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ધમાકેદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ જેની પાસે અપેક્ષા સૌથી વધુ હતી, તે વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં કંઈ ખાસ નથી કરી શક્યો. સેમિફાઈનલમાં પણ તે ફ્લોપ સાબિત થયો હતો અને ફરીએકવાર આના પર સવાલ ઉઠ્યો હતો અને રોહિત શર્માને આ સવાલનો પણ સામનો કરવો પડ્યો હતો.

જ્યારે રોહિતને કોહલીના ફોર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રોહિતે કહ્યું હતું કે, તે એક ક્વોલિટી પ્લેયર છે અને કોઈપણ ખેલાડી સાથે આવું થઈ શકે છે. અમે તેના ક્લાસને જાણીએ છીએ, આવી દરેક મોટી રમતમાં અમે તેના યોગદાનને જાણીએ છીએ. જ્યારે તમે 15 વર્ષોથી રમી રહ્યા હોવ તો ફોર્મ કોઈ સમસ્યા નથી હોત, તે સારા શેપમાં છે. ઈરાદો પણ સારો છે. કદાચ ફાઈનલ માટે તે પોતાને બચાવીને રાખી રહ્યો હોય.

હાર બાદ જોસ બટલરે જાણો શું કહ્યું...

ભારતીય ટીમ ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. 27 જૂન ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. હવે ફાઈનલ મેચમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ 29 જૂને બ્રિઝટાઉન બાર્બાડોસમાં રમાવાની છે.

સેમીફાઈનલ મેચમાં ભારત સામે હાર્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ જોસ બટલરની પીડા સ્પષ્ટ દેખાઈ હતી. જોસ બટલરે કહ્યું હતું કે તેની ટીમે ભારતને 20-25 રન વધુ બનાવવા દીધા, જે મોંઘા સાબિત થયા. આ સાથે જોસ બટલરે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો.

જોસ જોસ બટલરે મેચ બાદ કહ્યું હતું કે ભારતે ચોક્કસપણે અમને હરાવ્યું. અમે તેમને 20-25 વધુ રન બનાવવા દીધા. તે એક પડકારજનક પીચ હતી જેના પર ભારતીય ટીમ સારી રમી હતી. તેઓએ અમને હરાવ્યા અને જીતના સંપૂર્ણ હકદાર હતા. 2022ની સરખામણીમાં સંજોગો ઘણા અલગ હતા, આનો શ્રેય ભારતને જાય છે.

જોસ બટલરે કહ્યું કે, વરસાદને કારણે પરિસ્થિતિમાં આટલો બદલાવ આવશે એવી અપેક્ષા નહોતી. મને નથી લાગતું કે ટોસ ટીમો વચ્ચે કોઈ તફાવત હતો. તેમની પાસે કેટલાક મહાન સ્પિનરો છે. અમારા બે ખેલાડીઓ રાશિદ અને લિવિંગસ્ટને સારી બોલિંગ કરી. જે રીતે સ્પિન થઈ રહી હતી, અમે મોઈનને તે પ્રમાણે બોલિંગ કરાવવી જોઈતી હતી. જોસ બટલરે કહ્યું, ભારતનો સ્કોર એવરેજ કરતાં સારો હતો અને શાનદાર બોલિંગ આક્રમણને કારણે તે હંમેશાં મુશ્કેલ લક્ષ્ય બની જતું હતું. તમારી સામે જે મુકવામાં આવ્યું છે તે જ તમે રમી શકો છો, અમે સ્પર્ધા દરમિયાન પ્રતિકૂળતાનો સામનો કર્યો હતો, તેમ છતાં અમે એક જૂથ તરીકે એકજૂટ રહ્યા હતા. કેટલીક જગ્યાએ ખૂબ સારું ક્રિકેટ રમ્યું, પરંતુ જ્યારે તે સૌથી વધુ મહત્વનું હતું, ત્યારે અમે પાછળ રહી ગયા.

આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 39 બોલમાં 57 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સૂર્યકુમાર યાદવે 36 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને ત્રણ ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે માત્ર હેરી બ્રુક (25 રન), જોસ જોસ બટલર (23 રન), જોફ્રા આર્ચર (21 રન) અને લિયામ લિવિંગસ્ટન (11 રન) જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને બે સફળતા મળી હતી અને 2 ખેલાડી રનઆઉટ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp