આ ખેલાડી ભારતીય ટીમ સાથે દિલ્હી ન ગયો, અફઘાનિસ્તાન સામે નહીં રમે મેચ

PC: twitter.com

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં બહાર થયા બાદ શુભમન ગીલને દિલ્હીમાં રમાનારી અફઘાનિસ્તાનની મેચમાંથી પણ બહાર બેસવું પડશે. BCCIના રિપોર્ટ મુજબ શુભમન ગીલ ભારતીય ટીમ સાથે દિલ્હી ગયો નથી અને હાલમાં ચેન્નાઈમાં જ છે, જ્યાં તેને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. BCCIએ કહ્યું હતું કે, શુભમન ગીલ ભારતીય ટીમ સાથે દિલ્હી ગયો નથી. તે દિલ્હીમાં રમાનારી અફઘાનિસ્તાનની મેચમાં પણ જોવા નહીં મળે, જે 11 ઓક્ટોબરના રોજ રમાવાની છે. ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યૂના કારણે શુભમન ગીલને ટીમમાં સ્થાન નહોતું મળ્યું.

ભારતીય ટીમનો ઓપનર બેટ્સમેન શુભમન ગિલનો ડેન્ગ્યૂ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી મેચમાંથી તે બહાર થઈ ગયો હતો, તેની સ્થાને ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું હતું. ગીલ પાકિસ્તાન સામેની મેચ રમી શકશે કે નહીં? તેની બાબતે સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનની તબિયત પર સતત નજર રાખી રહી છે.

ભારતીય ટીમે રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં ભારતે ભવ્ય જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમ સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વિના મેદાનમાં ઉતરી હતી. ગીલ ગુરુવારે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતીય ટીમના નેટ સેશનમાં પણ ભાગ લીધો નહોતો. ત્યારબાદ તેના ડેન્ગ્યૂ સંબંધિત પરીક્ષણ કરવામાં આવ્યા, ત્યારબાદ તેની સારવાર ચાલી રહી છે. તો આ બાબત સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ સતત ગિલની તબિયતને લઈને મોનીટર કરી રહ્યું છે.

ગિલે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસના ખરાબ પ્રદર્શનને છોડી દેવામાં આવે તો તેણે શાનદાર બેટિંગ કરી છે. IPL 2023માં તે અલગ જ રંગમાં હતો. ત્યાં તે 890 રનો સાથે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો. હાલના એશિયા કપમાં પણ તેણે 302 રન બનાવ્યા. ગિલની છેલ્લી કેટલીક ઇનિંગમાં તેનો સ્કોર 104, 74, 27*, 121, 19, 58 અને 67* રહ્યો છે. ગિલે 35 વન-ડે મેચ રમી છે તેમાં તેના બેટથી 66.10ની એવરેજ અને 102.84ની સ્ટ્રાઈક રેટથી અત્યાર સુધી 1,917 રન બનાવ્યા છે.

તેના નામે વન-ડેમાં 6 સદી અને 9 અડધી સદી છે. એવામાં વન-ડેમાં ટીમમાં તેનું હોવું ખૂબ જ જરૂરી છે. તો 11 T20 ઇન્ટરનેશનલમાં ગિલે 11 મેચોમાં 30.40ની એવરેજથી 304 રન બનાવ્યા છે. તો 18 ટેસ્ટની 33 ઇનિંગમાં 32.20ની એવરેજથી 966 રન બનાવ્યા છે. ગિલ જો ભારતીય ટીમથી બહાર થાય છે તો એ સારા સંકેત નહીં હોય કેમ કે ભારતીય ટીમમાં હાલમાં ઘણા ખેલાડી ઇજા બાદ પરત ફર્યા છે. ટીમમાં ગત દિવસોમાં બૂમરાહ, રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી લાંબા સમય બાદ થઈ છે. એશિયા કપ દરમિયાન પણ સ્પિનર અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થઈ ગયો અને તેની જગ્યાએ અશ્વિનને વર્લ્ડ કપ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

ભારતીય ટીમનું વર્લ્ડ કપ શેડ્યૂલ:

11 ઓક્ટોબર વર્સિસ અફઘાનિસ્તાન, દિલ્હી

14 ઓક્ટોબર વર્સિસ પાકિસ્તાન, અમદાવાદ

19 ઓક્ટોબર વર્સિસ બાંગ્લાદેશ, પૂણે

22 ઓક્ટોબર વર્સિસ ન્યૂઝીલેન્ડ, ધર્મશાળા

29 ઓક્ટોબર વર્સિસ ઇંગ્લેન્ડ, લખનૌ

2 નવેમ્બર વર્સિસ શ્રીલંકા, મુંબઈ

5 નવેમ્બર વર્સિસ દક્ષિણ આફ્રિકા, કોલકાતા

12 નવેમ્બર વર્સિસ નેધરલેન્ડ, બેંગ્લોર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp