શૌચાલયના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું, 8 કલાકની ફ્લાઈટ 2 કલાકમાં પરત આવી

PC: indiagroundreport.com

વિયેનાથી ન્યુયોર્ક જતી ફ્લાઇટમાં એક વિમાનને બે કલાકમાં જ પાછા વળવું પડ્યું. ઑસ્ટ્રિયન એરલાઇન્સના આ પ્લેનમાં આઠમાંથી પાંચ શૌચાલય તૂટી જવાને કારણે આવું કરવું પડ્યું હતું. સોમવારની બોઇંગ 777 ફ્લાઇટમાં લગભગ 300 લોકો સવાર હતા, જે આઠ કલાક સુધી ચાલવાની હતી. પરંતુ બે જ કલાકમાં પરત ફરવું પડ્યું હતું.

એરલાઇનના પ્રવક્તાએ મંગળવારે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, ટેક્નિકલ સમસ્યાને કારણે પાંચ ટોઇલેટ યોગ્ય રીતે ફ્લશ નહોતા થયા, ત્યાર બાદ ક્રૂએ પરત ફરવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, તેની જાણકારી મુજબ, ઑસ્ટ્રિયન એરલાઈન્સની ફ્લાઈટમાં આ પહેલા આવી સમસ્યા આવી નહોતી. પ્રવક્તાએ કહ્યું કે, એરક્રાફ્ટને હવે સુધારી દેવામાં આવ્યું છે અને તે ફરી સેવામાં આવી ગયું છે.આ સમગ્ર ઘટનાને કારણે મુસાફરો માટે બીજી ફ્લાઈટ બુક કરવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં પણ અનેક કારણોસર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ગયા જાન્યુઆરીની વાત કરીએ તો, ઈંગ્લેન્ડથી ઑસ્ટ્રેલિયા જતી ફ્લાઈટમાં સવાર 100 મુસાફરોના શ્વાસ ત્યારે અધ્ધર થઇ ગયા કે, જ્યારે તેમને ખબર પડી કે તેમના એરક્રાફ્ટનું એન્જિન હવામાં બગડી ગયું છે. આ ફ્લાઈટ ઓસ્ટ્રેલિયાના સિડની એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. આ અચાનક ઇમરજન્સી બાદ એરપોર્ટ પર એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સની સાથે તમામ ઈમરજન્સી સર્વિસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે અંતે ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. આ ફ્લાઈટ ક્વાન્ટાસ એરલાઈન્સની હતી, જેનો નંબર QF144 હતો.

ક્વાન્ટાસ એરલાઇન્સની ફ્લાઇટ 18 જાન્યુઆરીના રોજ બપોરે 3.30 વાગ્યે (ઓસ્ટ્રેલિયન સમય મુજબ) સિડની એરપોર્ટ પર ઉતરી હતી. એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ સિડની એરપોર્ટ પર પહોંચે તેના 1 કલાક પહેલા પાઈલટને એન્જિનમાં સમસ્યા થઇ હોવાનો અંદાજો આવી ગયો હતો. પ્લેન લેન્ડ થાય તે પહેલા જ એરપોર્ટ પર ઇમરજન્સી કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ હાજર હતા.

ગયા વર્ષે, ઝેક રિપબ્લિકમાં પ્રાગથી ન્યુયોર્ક JFK જતી ફ્લાઈટમાં ટોઈલેટ ઓવરફ્લોની ઘટના બની હતી. ફ્લાઈટમાં સવાર મુસાફરોના જણાવ્યા અનુસાર, ટોઈલેટમાં પૂર જેવી સ્થિતિ હતી. પાયલોટના પ્રયાસો છતાં ઓટોપાયલોટ સિસ્ટમ વારંવાર ડિસ્કનેક્ટ થઈ રહી હતી. તપાસકર્તાઓ હજુ પણ 7 જુલાઈ, 2022ની ઘટનાની તપાસ કરી રહ્યા છે અને જો કે હજુ સુધી કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવ્યા નથી. સલામતી નિષ્ણાતો એવી સંભાવના પર વિચાર કરી રહ્યા છે કે, કેબિનમાં ભરાઈ ગયેલા શૌચાલય પાઇલોટ્સ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓમાં ફાળો આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp