મિનરલ વોટર શુધ્ધ કે અશુધ્ધ? પાણીની મોંઘામાં મોંઘી બોટલ 26 હજારની છે

આવનારા દિવસોમાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે, ત્યારે પાણીની બોટલ વિશ્વમાં જુદી જુદી કિંમતો સાથે વેચાઈ રહી છે. તેમાં સૌથી મોંઘી પાણીની બોટલ 26000 રૂપિયાની છે, જ્યારે વિદેશી પાણીની સૌથી સસ્તી બોટલ 300 રૂપિયાની છે.
વિશ્વમાં એક તરફ જ્યારે પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે ભારતમાં થતો પાણીનો વેડફાટ વિદેશીઓ માટે આશ્ચર્યજનક છે.

વૈજ્ઞાનિકો દ્વારા આવનારા વરસોમાં પાણીની પરિસ્થિતિ અંગે ભારે ચિંતા દર્શાવાઈ છે. ત્યારે પાણીની સૌથી મોંઘી બોટલ કોનાનિગરી વોટર-750 મિલીલીટરના 26000, ફિલ્લીકો-14000, બ્લીંગ એચટુઓ-2400, વીન-1500, ટેન થાઉઝન્ડ બીસી-900, એક્વાડેકો-800, લૌક્વિન આર્ટસ મિનરલ-360, ફીને અને તસ્માનિયન રૈનની કિંમત 300 રૂપિયા છે.

લગ્ન સમારંભો, ભોજન સમારંભો, પાર્ટીઓ કે કોન્ફરન્સ મિટિંગ જેવા પ્રસંગોમાં મિનરલ વોટરનું ગાંડપણ

છેલ્લા કેટલાક વર્ષોથી વધેલા પાણીના વ્યાપારીકરણને કારણે આજે આપણને પાનના ગલ્લા ઉપર પણ પાણીની બોટલ કે પાઉચ સરળતાથી મળી જાય છે પણ ઇ.સ. ૧૯૯૬ના સમયગાળામાં બોટલ્ડ વોટર હાથમાં રાખીને ફરવું તે સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું. 'કલાસ" લોકો આવું સ્ટેટસ ભોગવતા હતા અને 'માસ" લોકો તેને વિચિત્ર નજરથી જોતાં હતા. આજે ધમધોકાર ચાલતાં પાણીના ઉદ્યોગે કલાસ અને માસ વચ્ચેની ભેદરેખા મીટાવી દીધી છે. આજે મળતી પાણીની બોટલ કે પાઉચ ઉપર 'મિનરલ વોટર" લખેલું જોવા મળતું નથી પણ શરૂઆતના સમયમાં આવી બોટલ ઉપર મિનરલ વોટર લખેલું સ્પષ્ટ જોવા મળતું હતું. લગ્ન સમારંભો, ભોજન સમારંભો, પાર્ટીઓ કે કોન્ફરન્સ મિટિંગ જેવા પ્રસંગો વખતે મિનરલ વોટર પીરસવાનો રિવાજ શરૂ થયો હતો.

માટલાના પાણીનાં બદલે બોટલ અને પાઉચનું પાણી

થોડા સમય પહેલા લોકો માટલાનું ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખતાં હતા પણ આજે સમયમાં પરિવર્તન આવેલું છે લોકો પ્લાસ્ટિકની બોટલ અથવા પાઉચ સીધા મોંઢે માંડે છે. ભારતવર્ષમાં સેંકડો કંપની પાણીને બોટલ કે પાઉચમાં પેક કરીને બજારમાં વેચાણઅર્થે મૂકે છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. મૂળભૂત રીતે પાણીના આ વેપારમાં 'રો-મટિરીયલ્સ"ની જરૂર રહેતી નથી કારણ કે, કંપનીઓ કાયદેસર અને મોટાભાગે બીનકાયદેસર રીતે ભૂગર્ભજળનો ઉપયોગ બોટલ્ડ વોટર બનાવવામાં કરે છે જે તેને એકદમ સસ્તું પડે છે. જોકે વર્ષો પૂર્વે સ્વયંસેવા તરીકે ચાલતા 'પાણીના પરબ" ઉપર મળતાં પાણીના આજે પૈસા ચૂકવવા પડે છે એ બાબત કોઇ આÅચર્ય પમાડે તેવી નથી.

૮૦ કરોડ બોટલ ભારતમાં એક વર્ષમાં વેચાય છે

વિશ્વભરમાં શુદ્ઘ પાણી બોટલ દ્વારા પીવાની ફેશન આશરે ૧૫૦ વર્ષ જૂની છે. ભારતવર્ષના કાલકા અને સીમલા વિસ્તારમાં શુદ્ઘ પાણીના ઝરા મળી આવ્યા હતા. આ ઝરાના શુદ્ઘ પાણીનો ઉપયોગ શરૂઆતમાં બીયર ગાળવામાં કરવામાં આવતો હતો. એ બાદ કંપનીઓએ ખનિજનું પ્રમાણ-મિનરલ વોટર બોટલમાં ભરીને બજારમાં મૂકયું હતું. શરૂઆતમાં આવી મિનરલ વોટરની કિંમત રૂપિયા ૧૦ હતી ત્યારે લોકો કહેતા કે, પાણીના પૈસા આપવાના ન હોય પણ આજે બોટલ્ડ વોટરનો વેપાર વિશ્વમાં સૌથી મોટો વેપાર માનવામાં આવે છે. અનેક જાતની બ્રાન્ડ નેઇમ ધરાવતી આશરે ૮૦ કરોડ બોટલ ભારતમાં એક વર્ષમાં વેચાય છે અને આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂપિયા ૪૦૦ કરોડ અંદાજવામાં આવે છે. દર વર્ષે તેમાં આશરે ૪૦ ટકાનો વધારો થતો રહે છે. 'ઓલ ઇન્ડિયા વોટર મેન્યુફેકચર્સ એશોશિયેશન" ના એક સર્વેક્ષણ મુજબ બોટલ્ડ વોટરનો વપરાશ હોટલ-રેસ્ટોરન્ટમાં ૬૮ ટકા, હાઉસહોલ્ડમાં ૧૯ ટકા, ઓફિસ અને સંસ્થાઓમાં ૬ ટકા, કોન્ફરન્સ-ફંકશનમાં ૪ ટકા અને હોસ્પિટલ-હેલ્થ સેન્ટરમાં ૩ ટકા છે.

૮૨ કરોડ ૮૦ લાખ લિટર પાણી બોટલમાં ભરીને ૪૦૦ કરોડ રૂપિયાનો વેપાર

ભારત વર્ષમાં આશરે ૨૦૦ થી પણ વધારે કંપનીઓ વર્ષનું અંદાજે ૮૨ કરોડ ૮૦ લાખ લિટર પાણી બોટલમાં ભરીને ૪૦૦ કરોડ રૂપિયાનો વેપાર રળી લે છે. એની સામે તેની કેપિટલ કોસ્ટ નહિવત છે. સરકાર દ્વારા આશરે ૫૦ પૈસે લિટર મળતું પાણી કેટલીક અગત્યની પ્રોસેસ બાદ ૧૨ થી ૧૫ રૂપિયે લિટર વેચાય છે. બોટલ્ડ વોટર પીનારા વર્ગને ખબર હોતી નથી કે તેઓ કયા પ્રકારનું પાણી પી રહ્યા છે-મિનરલ વોટર કે ડ્રિન્કીંગ વોટર! મિનરલ વોટર માટે પાણી કુદરતી ઝરણામાંથી કે કુવામાંથી લેવામાં આવે છે, નગરપાલિકા કે મહાનગરપાલિકાની વિતરણ વ્યવસ્થામાંથી મિનરલ વોટર બનાવવું કાયદાકિય રીતે ગુનો બને છે. જયારે ડ્રિન્કીંગ વોટર(પીવાના પાણી) માટે આવો કોઇ નિયમ લાગુ પડતો નથી. મિનરલ વોટર અને ડ્રિન્કીંગ વોટર શુદ્ઘ, સ્વચ્છ અને સૂક્ષ્મજીવાણું રહિત રહે તેવો આગ્રહ રાખવો પડે છે.

જંતુરહિત કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પણ ઉપયોગ

બોટલમાં પાણી પેક કરતાં સમયે સૂક્ષ્મજીવાણુઓને નષ્ટ કરવા માટે તેમાં કલોરીન વાયુ છોડવામાં આવે છે. પાણીને જંતુરહિત કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. રિવર્સ ઓસ્મોસિસ પ્રક્રિયા દ્વારા પાણીમાં ઓગળેલા ક્ષારોનું પ્રમાણ યોગ્ય માત્રામાં કરવામાં આવે છે. આટલી પ્રક્રિયા કર્યા બાદ જ મિનરલ વોટર કે ડ્રિન્કીંગ વોટર બોટલમાં ભરીને પેક કરી શકાય છે. આજે બજારમાં ઘણી કંપનીઓ મિનરલ વોટર શબ્દ વાપરે છે પણ એ ગેરમાર્ગે દોરે છે કારણ કે, પાણીને મિનરલ વોટર ગણવું હોય તો તેમાં ઓછામાં ઓછા કેટલા પ્રમાણમાં ખનિજો હોવા જોઇએ એ વિશે કાયદામાં ચોખવટ નથી. 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ" માં પીવાના પાણી અને મિનરલ વોટરની ગુણવત્તા વિશે ધારા-ધોરણો આપવામાં આવેલા છે. ઇ.સ. ૧૯૫૪માં 'પ્રિવેન્શન ઓફ ફૂડ એન્ડ એડલ્ટ્રેશન" એકટના કાયદા પ્રમાણે પીવાલાયક કુદરતી સ્ત્રોતોમાંથી સીધા જ મેળવેલા અને યોગ્ય માત્રામાં બિનઝેરી, આરોગ્યપ્રદ ખનિજ ક્ષારો ધરાવતાં પાણીને મિનરલ વોટર ગણવામાં આવે છે.

શું છે ધારા-ધોરણો

મિનરલ વોટરમાં કોઇપણ પ્રકારની રજ કે અન્ય કોઇ આરોગ્ય માટે હાનિકારક પદાર્થ ન હોવો જોઇએ. મિનરલ વોટરની વ્યાખ્યા કરતાં સમયે એમ જણાવાયું હતું કે, કુદરતી સ્ત્રોતોમાંથી મળતાં તમામ પાણીમાં મેગ્નેશીયમ, કેલ્શિયમ, સોડિયમ અને બીજા ક્ષારો હોય છે જે પાણીમાં યોગ્ય માત્રામાં હોય તો પાણીનો સ્વાદ જળવાય રહે છે અને પાણી આરોગ્યપ્રદ ગણાય છે. જગત જમાદાર અમેરિકાના કાયદા પ્રમાણે પાણીમાં લિટર દીઠ લઘુત્તમ ૨૫૦ મિલીગ્રામ આવા ટોટલ ડિઝોલ્ડ સોલિડ્સ(ટી.ડી.એસ.)વાળા પાણીને મિનરલ વોટર ગણવામાં આવે છે. ભારતવર્ષમાં 'પ્રિવેન્શન ઓફ ફૂડ એન્ડ એડલ્ટ્રેશન" એકટ મુજબ લિટર દીઠ લઘુત્તમ ૩૦૦ અને મહત્તમ ૧૫૦૦ મિલીગ્રામ ટી.ડી.એસ.વાળા પાણીને મિનરલ વોટર ગણવામાં આવે છે. 'ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ ઓફ રિસર્ચ"ના ધારા-ધોરણ પ્રમાણે આ મર્યાદા ૫૦૦ મિલીગ્રામથી ૨૦૦૦ મિલીગ્રામ છે.

ઠલવાય છે લિટર દીઠ ૩૫૦ મિલીગ્રામ ખનિજો

મિનરલ વોટરને આપણે પીએ છીએ ત્યારે આપણે આપણા પેટમાં લિટર દીઠ ૩૫૦ મિલીગ્રામ ખનિજો ઠાલવીએ છીએ. આ પાણીની સાથે આપણા પેટમાં સોડિયમ, કલોરાઇડ, સલ્ફેટ અને બાયકાર્બોનેટ જેવા ક્ષારો પણ દાખલ થાય છે. શરીરમાં મોટાભાગના રોગોના મૂળમાં પાણી છે. પાણીમાં રહેલી અશુદ્ઘિ, ક્ષારોનું વધુ પ્રમાણ અને ધાતુઓને કારણે આપણા શરીરમાં રોગ લાગુ પડે છે. એલ્યુમિનિયમના વધુ પ્રમાણને કારણે મગજના અસ્થિરપણાનો રોગ થાય છે. આર્સેનિક જેવા ઝેરી પદાર્થોથી શરીર ઉપર વિપરીત અસર થતાં ચામડીના રોગ થાય છે. પાણીમાં ફલોરાઇડનું પ્રમાણ વધુ હોય તો શરીરમાં ફલોરોસીસ અને અન્ય રોગોને નોતરે છે. બોરોનના વધુ પ્રમાણને કારણે ચેતાતંત્રની પ્રક્રિયામાં ખલેલ પહોચે છે. લેડ-સીસુંનું પ્રમાણ પાણીમાં થોડું વધારે હોય તો કીડની ડેમેજ થાય છે. કેડિયમનું વધુ પડતું પ્રમાણ હોય તો હાડકામાં વિકૃતિ આવે છે. જે લોકો હાર્ટના રોગથી પીડાતા હોય તે લોકો વધારે પડતાં સોડિયમવાળું પીએ તો તેમના હાર્ટના રોગ વકરે છે.
જે પાણી બોટલ્ડ વોટર તરીકે બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે તેને કોડેકસ સ્ટાર્ડડ ૧૦૮-૧૯૮૧ પ્રમાણે મિનરલના પ્રમાણ માપ લાગુ પડે છે. કોઇપણ બોટલ્ડ વોટરમાં કોઇપણ મિનરલનું પ્રમાણ સ્ટાર્ડડમાં જણાવ્યા પ્રમાણેથી વધુ હોય તો તે બોટલ્ડ વોટર શરીર માટે હાનિકારક સાબિત થાય છે.

મિનરલના સ્ટાન્ડર્ડ

આર્સેનિક-૦.૦૧ મિલીગ્રામ/લિટર, બોરેટ-૫.૦૦ મિલીગ્રામ/લિટર, બેરિયેમ-૦.૭ મિલીગ્રામ/લિટર, કેડિયમ-૦.૦૦૩ મિલીગ્રામ/લિટર, ક્રોમિયમ-૦.૦૫ મિલીગ્રામ/લિટર, કોપર-૧.૦૦ મિલીગ્રામ/લિટર,સાઇનાઇડ-૦.૦૭ મિલીગ્રામ/લિટર, ફલોઇરાઇડ-૧.૦૦ મિલીગ્રામ/લિટર, લેડ-૦.૦૧ મિલીગ્રામ/લિટર, મેંગેનિઝ-૦.૪૧ મિલીગ્રામ/લિટર, મરકયુરી-૦.૦૦૧ મિલીગ્રામ/લિટર, નિકલ-૦.૦૨ મિલીગ્રામ/લિટર અને નાઇટ્રેટ ૫૦ મિલીગ્રામ/લિટર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp