રાજકોટ સિવિલમાં 500થી વધુ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સર્જરી થઈ

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું કે, તા. 12મી જૂને રાજકોટ સિવિલ દ્વારા છેલ્લા 2 માસમાં કુલ મળી મ્યુકોરમાઇકોસિસના 507 દર્દીઓની સર્જરી કરી એક નવો જ રેકોર્ડ સર્જ્યો હોવાનું અને સિવિલની હિસ્ટ્રીમાં આટલા ઓપરેશન્સ આટલા ટૂંકા ગાળામાં ક્યારેય પણ થયા નહી હોવાનુ ઈ.એન.ટી. સર્જન ડૉ. સેજલ મિસ્ત્રી જણાવે છે. કોરોનાની બીજી લહેરના અંતમાં મ્યુકોરમાઇકોસિસના કેસની લહેર આવતા એક સાથે અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર્થે આવતા અમારા માટે તેમને વહેલી તકે નિદાન, સારવાર અને સર્જરી કરવી એ ખુબ જ મોટી ચેલેન્જ હતી, પરંતુ સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને જરૂરી ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી અમે આટલી મોટી સંખ્યામાં સફળતાપૂર્વક દર્દીઓની સારસંભાળ રાખી શક્યાનું ડૉ. સેજલ જણાવે છે.

દર્દીઓની સર્જરી અને ટ્રીટમેન્ટ વિષે જણાવતા ડૉ. સેજલે કહ્યું હતું કે, મૉટે ભાગે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ ડાયાબિટીક દર્દીઓ તેમજ પોસ્ટ કોરોના દર્દીઓ હોઈ તેમની ઇમ્યુનીટી અને બીજા ફેક્ટર ધ્યાનમાં રાખી હાઈલી સ્કિલફુલ સર્જરી કરવી પડે છે. આ સર્જરી નાકમાં દૂરબીન નાખી કરવામાં આવતી હોઈ સર્જરી દરમ્યાન સાયનસના ભાગે ખુબ સાવચેતી રાખવી પડે. જેની સીધી અસર આંખ અને મગજના તાળવે થતી હોઈ છે. અંદરની તવચા ખુબ જ નાજુક હોઈ જરાપણ ડેમેજ નો થાય તે રીતે ધીરજપૂર્વક સર્જરી કરવી પડે.

રાજકોટ સિવિલના ઈ.એન.ટી. વિભાગમાં 5 ઓપરેશન થિએટરમાં સવારના 8:30 થી રાત્રીના 8:30 દરમ્યાન 12 કલાકમા રોજની 20 જેટલી સર્જરી કરવામાં આવે છે. જેમાં ઈ.એન.ટી. ડોક્ટર્સ ડૉ. સેજલ, ડૉ. પરેશ ખાવડુ તેમજ ડૉ. સંદીપ વાછાણીની આગેવાનીમાં સિનિયર રેસિડન્ટ ડોક્ટર્સ, જરૂર મુજબ આંખના અને દાંતના ડોક્ટર્સ અને ખાસ તો એન્સ્થેટિકની ટીમનો ખુબ અગત્યનો રોલ હોઈ છે.

મ્યુકોરમાઇકોસિસની સારવાર બે ભાગમાં વહેંચાયેલી હોઈ છે. જેમાં એક ભાગ સર્જીકલ અને બીજો ભાગ મેડિકલ ટ્રીટમેન્ટ હોય છે. દર્દી દાખલ થયા બાદ તેમના ફંગસ માટેના જુદા જુદા રિપોર્ટ તેમજ જરૂર પડ્યે ઈ.એમ.આર.આઈ. કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીને ફંગસની ગંભીરતા તેમજ ઉંમરના ક્રાઈટેરિયા બાદ તેમનું ઓપરેશન અગ્રતાના ધોરણે કરવામાં આવે છે. ઓપરેશન પહેલા તેમની ફિટનેસ ચેક કરવામાં આવે છે. ઓપરેશન પહેલા અને ત્યારબાદ તેમની મેડિકલ ટ્રીટમેન્ટ શરુ કરી દેવામાં આવે છે. જેમાં જરૂરી ઇન્જેક્શન અને મેડિસિન હોઈ છે. ઓપરેશન બાદ દર્દીને 21 થી 45 દિવસ સુધી ઓબ્જર્વેશનમાં રાખવામાં આવે છે. એટલુંજ નહિ પરંતુ દર્દીને રજા આપ્યા બાદ તેઓનું સાપ્તાહિક ચેકઅપ પણ કરવામાં આવે છે. હાલ 60 જેટલા દર્દીઓ બિલકુલ સાજા થઈ તેમને રજા આપવામાં આવી હોવાનું તેમજ 300 થી વધુ દર્દીઓને ઓપરેશન બાદ સમરસ ખાતે ઓબ્જર્વેશન હેઠળ રખાયા હોવાનુ ડૉ. સેજલ મિસ્ત્રીએ જણાવ્યું છે.

રાજકોટ સિવિલ ખાતે સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ સહિતના સ્થળોએથી મ્યુકોરમાઇકોસિસના 800 થી વધુ દર્દીઓ સારવાર લઈ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, કલેકટર રેમ્યા મોહન તેમજ ઈ.એન. ટી. સોસાયટીનો બહોળો સહયોગ મળ્યો છે. રાજકોટ સિવિલમાં છેલ્લા બે મહિના જેટલા ગાળામાં 500 થી વધુ ઓપરેશન દ્વારા મોટાભાગના દર્દીઓને સારવાર બાદ ઓર્ગન ડેમેજ કંટ્રોલ કરી શકાયો છે. કેટલાક કિસ્સાને બાદ કરતા કોઈ દર્દીને મૉટે ભાગે શરીરના અંગ ગુમાવવાનો વારો આવ્યો નથી જે અમારા માટે આનંદની વાત છે અને અમારો પરિશ્રમ લેખે લાગ્યો છે તેમ ડૉ. સેજલ જણાવે છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સારવારમાં સિવિલના આંખના સર્જન ડૉ. નીતિબેન શેઠ, ન્યુરો સર્જન ડૉ. અંકુર પાવાણી, તાળવાના સર્જન ડૉ. હિરેન સંઘાણી, ડૉ. ગૌરાંગ નકુમ, મેડિસિનના નોડલ ઓફિસર, એન્સ્ટેથિક ડૉ. વંદના અને તેમની ટીમ, નસિંગ સુપ્રિટેન્ડન્ટ હિતેશ જાખરીયા અને સમગ્ર નર્સિંગ સ્ટાફ સાથોસાથ ઈ.એન.ટી. સોસાયટીના ડોક્ટર્સ કે જેઓ દ્વારા દ્વારા રોજ બે ઓપરેશન ડોક્ટર્સની ટીમ દ્વારા કરી આપવામાં આવે છે તેમનો સહયોગ મળી રહ્યાનું ડૉ. સેજલે જણાવ્યું છે.

ભાવનગરથી ખાસ જોડાયેલા ડૉ. પરેશ ખાવડુ જણાવે છે કે, ફંગસ થયાના પ્રાથમિક લક્ષણો અંગે લોકો સજાગ બને તો વહેલી તકે તેમનું નિંદાન અને સારવાર કરવાથી તેમને ખાસ કઈ નુકસાન થતું નથી. કોરોનાની સારવાર દરમ્યાન ડોક્ટરોએ આઈ.સીએમ.આર. ની ગાઈડલાઈન મુજબ દવા અને સ્ટીરોઈડનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, તેમજ દર્દીને જરૂરી હોય તો જ ઓક્સિજન પર રાખવા જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ સુગર લેવલ કંટ્રોલમાં રાખવું જોઈએ.

ઈ.એન.ટી. સર્જન ડૉ. સંદીપ વાછાણી જણાવે છે કે, મ્યુકોરમાઇકોસિસ નો થાય તે માટે ખાસ તો માસ્ક પહેરવા, માસ્ક રોજેરોજ ધોયેલા પહેરવા તેમજ ભીના માસ્ક નો પહેરવા. પર્સનલ હાઇજીન અને એન્વાયરમેન્ટ હાઇજીન પર ખાસ ભાર મુક્ત તેઓ જણાવે છે કે, ભેજ યુક્ત વાતાવરણથી દૂર રહેવું, શુદ્ધ હવા મળી રહે તે માટે યોગ્ય વેન્ટિલેશન જરૂરી છે. દર્દીને રજા અપાયા બાદ દર્દીને આંખ કે તાળવાની નુકસાની થયે પરિવારજનોનો માનસિક સધિયારો ખુબ જ જરૂરી છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસની સારવારમાટે યુદ્ધના ધોરણે મેન પાવર તેમજ જરૂરી સાધન સહાય પુરી પાડી લાખો રૂપિયાના ખર્ચે થતી નિઃશુલ્ક સારવાર અને સ્વસ્થ ગુજરાતની નેમ સાથે સાચા અર્થમાં સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર સાબિત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp