શ્રાવણના પહેલા સોમવારે સોમનાથમાં ભાજપે એક સભ્યને સસ્પેન્ડ કર્યા

PC: hindustantimes.com

વેરાવળ પ્રભાસ પાટણ કે જ્યાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાજપે પોતાના નગરપાલિકાના એક સભ્યને સસ્પેન્ડ કર્યા છે. તેમનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમયે સભ્ય ત્યાગ કરી ગયા હતા. જે તેમનો અધિકાર માનવામાં આવે છે. ભાજપના સભ્ય દેવેન્દ્ર મોતીવરસને ટાઉન પ્લાનિંગ-શહેર આયોજન સમિતિમાં અધ્યક્ષ તરીકે રાખવામાં આવ્યા હતા. તેમને સેનિટેશન શાખાના અધ્યક્ષ બનાવાતાં તેમનું તે અપમાન લાગ્યું હતું.

તેમને લાગી આવતાં સભામાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે રોષપૂર્વક જાહેર કર્યું હતું કે આ શાખામાં તેઓ કામ કરી શકે તેમ નથી. કોઈ કામ થતાં નથી. ભાજપમાં મનમાની થાય છે. તેથી ભાજપમાંથી રાજીનામું આપું છું. તેમ કહીને તેઓ વોક-આઉટ કરી ગયા હતા. જેને ભાજપે શિસ્તભંગ ગણેલું છે અને તેમને પક્ષના સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. બીજા કેટલાક સભ્યો પણ નારાજ હોવાથી રાજીનામું આપે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. આ અંગે ગાંધીનગર પ્રદેશ નેતાઓને જાણ કરવામાં આવી છે.

વેરાવળ-પાટણ સંયૂક્ત નગર સેવા સદનમાં અઢી વર્ષની બીજી ટર્મ માટેના હોદ્દેદારોની ચૂંટણી થઈ હતી, જેમાં તેઓ નારાજ હતા. પ્રમુખ તરીકે મહિલા અનામત હોવાથી તેમને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના રાજેશભાઇ સુયાણી કે જેઓ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે, તેમના ધર્મપત્ની મંજુલાબેન સૂયાણી અને ઉપપ્રમુખ પદે લોહાણા સમાજના અગ્રણી અને ગત ટર્મમાં કારોબારી ચેરમેન રહી ચૂકેલા કિશોરભાઇ સામાણીની બહુમતીથી વરણી જાહેર કરાયેલી હતી. કુલ 44 સભ્યોમાંથી ભાજપના 27 કોંગ્રેસના 17 સભ્યો છે. હવે ભાજપના એક સભ્ય ઓછા થઈ ગયા છે.

બે રાજીનામાં પડ્યા હતા

11 એપ્રિલ 2018માં નગરપાલિકામાં ભાજપમાંથી બે સભ્યોના રાજીનામા આપ્યા હતા, જેમાં એક સભ્યએ રાજીનામું પરત લઈ લીધું હતું. અંદરખાને શાસક પક્ષ ભાજપમાં ડખ્ખો હતો જે રાજીનામાં દ્વારા બહાર આવ્યો છે. ભાજપનાં સદસ્યા સવિતાબેન કમલભાઈ શર્માએ રાજીનામું આપ્યું હતું. તેમણે ઘરકામમાં વ્યસ્તતાનું કારણ આપ્યું હતું. જ્યારે બીજા સદસ્ય ગોદાવરીબેન હરકિશોરભાઈ દેવાણીએ બીમારીનું કારણ દર્શાવી રાજીનામું ધરી દીધું હતું. જોકે, ખરી હકીકત એ હતી કે તેમનાં વિસ્તારોમાં અમૂક કામો ન થવાથી રાજીનામા આપ્યા છે જો કે, સવિતાબેને રાજીનામું પાછું ખેંચી લીધું હતું. નવા પ્રમુખ તરીકે મહિલા ચૂંટાવાના હોવાથી રાજ્યની નેતાગીરી ઉપર દબાણ લાવવા રાજીનામાં અપાયા હોવાનું પણ માનવામાં આવતું રહ્યું હતું. ગટરના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ પક્ષમાં વિરોધ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp