રૂપાલાને વધુ એક ઝટકો, રાજકોટમાં બદનક્ષીની ફરિયાદ થઈ, જાણો આખો મામલો

PC: khabarchhe.com

ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી છે. રાજકોટાં ક્ષત્રિય સમાજ વિશેના એક નિવેદનમાં કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ થતા ભાજપમાં સોપા પડી ગયો છે. રૂપાલાને રાજકોટમાંથી હટાવવા ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે.

રાજકોટની એક જાહેર સભામાં ભાજપ નેતા રૂપાલાએ એવું નિવેદન આપ્યું હતું કે અંગ્રેજોના સમયમાં મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર કર્યા હતા અને રૂખી સમાજે ભારે દમન સહન કર્યું હતું છતા ઝુક્યા નહોતા.

આ નિવેદન પછી ભારે હોબાળો મચ્યો હતો અને રૂપાલાએ માફી પણ માંગી હતી. ગુરુવારે 90 જેટલા ક્ષત્રિય સંગઠનોની એક બેઠક મળી હતી. હવે કોંગ્રેસ નેતા આદિત્ય ગોહિલે  જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે. 15મી એપ્રિલે સુનાવણી થશે એમ જાણવા મળ્યું છે. ક્ષત્રિય સમાજે ચિમકી આપી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, નહીં તો સમાજ ભાજપની વિરુદ્ધમાં વોટ કરશે.

રૂપાલાને બદલો, નહીં તો અમે વિરુદ્ધમાં મતદાન કરીશું. ક્ષત્રિય સમાજનો હુંકાર

ભાજપના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં આપેલું એક નિવેદન ભારે પડી રહ્યું છે. ક્ષત્રિય સમાજનો ગુસ્સો હજુ શાંત પડ્યો નથી. ગુરુવારે અમદાવાદમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં પરષોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમાજે કહ્યું કે રૂપાલાને બદલો, નહીં તો અમે વિરુદ્ધમાં મતદાન કરીશું અને 2 લાખ લોકોનું સંમેલન યોજીને રાજકોટને કુરુક્ષેત્રમાં ફેરવી નાંખીશું.

ભાજપના રાજ્યસભા સાંસદ પરષોત્તમ રૂપાલાને આ વખતે પાર્ટીએ લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના દિવસે ચૂંટણી થવાની છે અને બધી પાર્ટીઓ પ્રચારમાં મંડી પડી છે. સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના વધારે તેવર જોવા મળી રહ્યા છે. મોટાભાગના નેતાઓ અત્યારે સૌરાષ્ટ્રમાં જ ધામા નાંખી રહ્યા છે. ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં રાજપૂત સમાજ વિશે વિવાદીત નિવેદન કર્યું હતું જેનો ભારે હોબાળો મચી જતા આખરે રૂપાલાએ માફી માંગવી પડી હતી. બધા રાજકીય નેતાઓની હવે આ સ્ટાઇલ થઇ ગઇ છે. પહેલાં બેફામ બોલી દેવું અને હોબાળો થાય તો પછી માફી માંગી લેવાની.

ભાજપે આ વખતે ગુજરાતના કદાવર નેતા રૂપાલાને રાજકોટથી ટિકિટ આપેલી છે. રૂપાલા રાજકોટમાં રૂખી સમાજના એક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં તેમણે રાજપૂત સમાજ વિશે ટીપ્પણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

રૂખી સમાજના કાર્યક્રમમાં પરસોતમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો. વીડિયો વાયરલ થવાને કારણે રાજપૂત સમાજ રોષે ભરાયો હતો અને સમાજના લોકોએ રૂપાલાને માફી માંગવા માટે કહ્યું હતું. આખરે વાતનું વતેસર થાય તે પહેલા રૂપાલાએ રાજપૂત સમાજની માફી માંગી લીધી હતી

રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે, મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહાર કર્યા છે. રૂખી સમાજ પર સૌથી વધુ દમન ગુજારવામાં આવ્યું હતું, પરંતુ રૂખી સમાજ ઝુક્યો નહોતો. રૂખી સમાજે ધર્મ ના બદલ્યો. એક હજાર વર્ષે રામ તેમના ભરાસો આવ્યા હતા.

રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ પૃથ્વીસિંહ જેઠવાએ માફી માગવા માટે કહી હતી. રૂપાલાએ પરિસ્થિતિને તાગ મેળવીને માફી માંગી લીધી હતી. પરષોત્તમ રૂપાલાએ કહ્યુ કે, ક્ષત્રિય સમાજના આગેવાનોને મારા રામ રામ, રાજકોટમાં વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં મૈં ભાષણ કર્યુ હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને તેને કારણે સમાજના લોકો ગુસ્સે ભરાયા. રૂપાલાએ કહ્યું કે, મારો હેતુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતા. મારો હેતુ એ હતો કે વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થતા જુલમોનું નિરૂપણ કરવાનો હતો. રાજવી કે ક્ષત્રિય સમાજ વિશે બોલવાનો હેતુ બિલકુલ નહોતો. છતા સમાજને દુખ પહોંચ્યું હોય તો હું માફી માગું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp