445 વર્ષ પછી તૂટી રહી છે વિશ્વ વિખ્યાત સિદી સૈયદની જાળી

PC: khabarchhe.com

અમદાવાદની વિશ્વભરમાં જાણીતી અને અમદાવાદની ઓળખ એવી સિદી સૈયદની જાળી 445 વર્ષ પછી હવે તૂટી રહી છે. વિશ્વની અનેક વિભૂતીઓએ જાળીની મૂલાકાત લીધી છે. તેઓ તેના વખાણ કરતાં થાકતાં નથી. હવે તે માત્ર પ્રતિકૃત્તિ તરીકે જ રહે તેવી ભયાનક હદે ચારે બાજુથી તૂટી રહી છે. છેલ્લે જાપાનના વડાપ્રધાન સીન્જો આબેને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવ્યા હતા. ત્યાર બાદ જાળી તૂટવાની ઘટના ઝડપી બની છે. હવે તે ચારેબાજુથી તૂટી રહી છે. રમઝાનનો મહિનો છે ત્યારે તેની દરકાર લેવા માટે કલાકાર અયાઝ સૈયદે વડાપ્રધાનને ઈ મેઈલથી જાણ કરી છે અને આ તસવીરો પણ વડાપ્રધાનને મોકલાવી છે.

સિદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરના લાલદરવાજા પાસે આવેલી સિદી સૈયદની મસ્જિદની દિવાલ પર લગાવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ છે. અમદાવાદની ઓળખ તરીકે તે પ્રસિદ્ધ છે. પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે. અમદાવાદમાં આવતા વિદેશી નાગરિકો જેની અચૂક મુલાકાત લે છે તે સિદી સઈદની જાળી શહેરના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થઈ છે.

સિદી સઈદની જાળીનો એક ભાગ ચોરી લેવાયો હતો કે વિદેશ લઈ જવાયો હતો તેવી પણ માન્યતા છે. જો કે તેને ઐતિહાસિક સમર્થન મળતું નથી. અગાઉ તેની દિવાલો પર અડધા પાન આકારની પાંચ જાળીઓ હતી તેમાંથી વચ્ચેની જાણી બ્રિટિશ મ્યુઝિયમમાં પહોંચી ગઈ છે. એટલે ત્યાં પથ્થરની દિવાલો પૂરાયેલી છે સલ્તનત યુગની મહત્વપુર્ણ ઘટનાઓ વચ્ચે વર્ષ 1573માં બની હતી. આ જાળી સિદી સઈદે બનાવી હોવાના નામે પ્રચલિત છે પરંતુ, તેનું ખરેખર નામ સિદી સઈદની જાળી છે.

રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે પણ ઇ.સ.1573માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે. એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાધવામાં આવ્યા છે. સિદી સઈદ તે સમયે કયા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યોતે બાબત ખબર નથી.

ઈતિહાસકાર આર.ટી.સાવલિયા કહે છે કે, અમદાવાદની પથ્થરની એક એવી બેનમૂન જાળી જે દુનિયામાં બીજે ક્યાંય નથી. ભૌમિતિક આકૃતિવાળી અને પૂર્ણ ખિલેલાં પુષ્પો અને પક્ષીઓની લલિત ભાવભંગિમાઓ તેની વિશેષતા છે. શહેરની મધ્યમાં એક એવું હેરિટેજ પ્લેસ કે જેના જેવું બારીકાઈભર્યું કોતરણીકામ વિશ્વમાં ક્યાંય નથી. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે જ રહી છે તે પણ આશ્ચર્યજનક વાત છે. તેના કારણે જ આ જાળી અમદાવાદની ઓળખસમાન બની છે. ગુજરાતમાં આ હબસીઓ (સિદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ (ત્રીજા) ના સમયમાં સિદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારનો મિત્ર સિદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાં ગામ અપાયાં હતાં.

જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊચાઈ સાત ફૂટ છે. વર્ષો પછી પણ ગરમી, ઠંડી અને વરસાદ ઝીલ્યા પછી તેને આંચ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp