નવી શિક્ષણ નીતિ સંશોધન-રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે: CM રૂપાણી

PC: khabarchhe.com

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ માટે ‘ઈમ્પિલિમેન્ટિંગ NEP 2020 ટુ ટ્રાન્સફોર્મ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા’ની થીમ સાથેની બે દિવસીય 95મી નેશનલ વાઈસ ચાન્સેલર્સ મીટનો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-શુભારંભ કરાવ્યો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી અવસરે એસોશિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીઝ ઉપક્રમે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના યજમાન પદે તા. 14 અને 15 એપ્રિલ દરમિયાન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં જ્ઞાન સાથે કૌશલ્યના સમાયોજનથી સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત નિર્માણનો સંકલ્પ સાકાર થશે તેમ જણાવ્યું છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના સહયોગથી યોજાયેલી એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક બેઠક અને નેશનલ વાઇસ ચાન્સેલર કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં માર્ગદર્શન આપતા રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણવિદોની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.

ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ પાઠવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે સમતામૂલક સમાજની પરિકલ્પનાને ડૉ.બાબાસાહેબે સંવિધાન દ્વારા મૂર્ત સ્વરૂપ આપ્યું છે. રાજ્યપાલે જીવનમાં શિક્ષણના મહત્ત્વને દોહરાવતા જણાવ્યું હતું કે શિક્ષણ દ્વારા વ્યક્તિની આંતરિક પ્રતિભાનું જાગરણ થાય છે. નવી શિક્ષણ નીતિમાં બાળકની શીખવાની નૈસર્ગિક પ્રક્રિયાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. વિષય પસંદગીની સ્વતંત્રતા, બહુ સંક્રાયગત અધ્યયન, માતૃભાષામાં શિક્ષણ અને કૌશલ્યને મહત્ત્વ આપવાના કારણે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ સમગ્ર દેશને વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં લાવવાનું સામર્થ્ય ધરાવે છે. તેમણે શિક્ષણ નીતિમાં ભારતીય મૂલ્યોનો સમાવેશ કલ્યાણકારી સાબિત થશે તેમ પણ જણાવ્યું હતું. રાજ્યપાલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કુલપતિઓને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શ્રેષ્ઠ અમલીકરણ દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ પણ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે, નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણની સાથે સાથે સંશોધન-રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે. નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણ માટે એક આવશ્યક માહોલ તૈયાર કરવાનારી છે. શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલા પાયાના કોઈપણ બદલાવના કેન્દ્રમાં શિક્ષક હોવો જોઈએ. શિક્ષણ નીતિ હેઠળ શિક્ષકોને વધુ સક્ષમ બનાવવા માટે તમામ સંભવ પગલાં લેવા પડશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, ડૉ.બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતિના અવસરે ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ -એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર પરામર્શ સત્રનું આયોજન એક સરાહનીય પગલું છે. તેમણે કહ્યું કે, ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ દર વર્ષે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરે છે. આ વર્ષે 95મા સંમેલનની યજમાની ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા થઈ રહી છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સમાજના વંચિત વર્ગના યુવાનોને શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ક્ષેત્રે અગ્રેસર છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે. સાથે જ ગુજરાતના શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના યુવાઓને વ્યવસાયલક્ષી તાલિમ પણ આપી રહી છે. ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન મૂલ્યો પર આધારિત શિક્ષા સંસ્કાર પણ આ યુનિવર્સિટી આપી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા એક ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિના અમલ માટે પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ દેશમાં સંશોધનના ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે. સાથે જ ભારતની સમૃદ્ધિ પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાનની પરંપરાને પણ જાળવી રાખશે જે અંતતઃ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા અને વધુ મજબૂત કરશે.

તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ પર વિચારવિમર્શ માટે આપણે સૌએ નિરંતર વેબિનાર સંગોષ્ઠી દ્વારા સમીક્ષા કરતાં રહેવું પડશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહત્ત્વકાંક્ષી સ્વપ્ન સાકાર થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમાજમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ એક ઉપયોગી અને મહત્ત્વનું માધ્યમ છે. સમાજમાં સમાનતા, સમરસતા અને સમાવેશીપણાથી જ સામાજિક અને આર્થિક ગતિશીલતા પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકરે ઓપન યુનિવર્સિટીએ આ માટે જ યુનિવર્સિટી ખાતે બાબાસાહેબ આંબેડકર સમરસતા પીઠ શરૂ કરી છે જે આનંદનો વિષય છે.

મુખ્યમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન પર આધારિત ચાર પુસ્તકોના લેખન કાર્ય બદલ યુનિવર્સિટીના ટ્રસ્ટી કિશોર મકવાણાને અભિનંદન આપ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નું ગુજરાતી સંસ્કરણ કરી, તેના અમલીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના દ્વારા તેને ધરાતલ સુધી અમલીકરણ કરાવવા બદલ ગુજરાતની અગ્રેસરતાની પ્રસંશા કરતા કેન્દ્રીય શિક્ષણમંત્રી ડૉ.રમેશ પોખરિયાલ નિઃશંકએ કહ્યુ હતુ કે, સમગ્ર દુનિયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના વર્ષ તરીકે યાદ રાખશે તથા આ નીતિ વિશ્વમાં 'ભારતની શિક્ષણનીતિ' તરીકે પ્રચલિત થતા સમગ્ર વિશ્વ ભારતને જ્ઞાનની મહાશક્તિના રૂપમાં ઓળખશે.

ડૉ. રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020ના સુચારુ અમલીકરણ માટે ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ એસોશિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ -AIU, ઓ.પી. ઝીન્દાલ યુનિવર્સિટી તથા ડૉ. બાબા સાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી દ્વારા જે સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે; તે ખરેખર પ્રસંશાને પાત્ર છે. ડૉ.બાબા સાહેબ આંબેડકર દ્વારા દેશના છેવાડાના વ્યક્તિને માતૃભાષમાં કૌશલ્ય-મૂલ્યવર્ધિત-સશક્ત શિક્ષણ આપવાનું જે દ્રષ્ટિવંત સ્વપ્ન નિહાળવામાં આવ્યું હતું તેને સાકાર કરવાનું કાર્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020ના માધ્યમથી કરી રહ્યા છે.

રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 માત્ર ભારત દેશ માટે જ ઐતિહાસિક, શિક્ષણિક દૃષ્ટિએ આમૂલ પરિવર્તક અને સર્વગ્રાહી શિક્ષણ વિકાસની દ્યોતક જ નહિ, પરંતુ સમગ્ર દુનિયા માટે પણ ઉપકારક અને માર્ગદર્શક હોવા અંગે કેમ્બ્રિઝ વિશ્વવિદ્યાલય સહિતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની સાથે યુનેસ્કોના ડિરકેટર-જનરલ ઔદ્રેય એઝોઉલ પણ સ્વીકારી ચુક્યા હોવાનું અત્યંત ગર્વભેર ડૉ.રમેશ પોખરિયાલે જણાવ્યું હતું.

ડૉ.આંબેડકરના જન્મદિવસે શિક્ષણ અંગેના તેમના વિચારોને યાદ કરતા ડૉ.રમેશ પોખરિયાલે કહ્યું હતું કે, શિક્ષણ એ મૌલિક જ અધિકાર નહિ પરન્તુ સામાજિક પરિવતનનું મોટું માધ્યમ છે. જે શિક્ષણ સામાજિક સમાનતા અને સમરસતાના પાઠ ન ભણાવે તેવું શિક્ષણ લોકહિતમાં નથી. શિક્ષણ સમાજની અંતિમ વ્યક્તિ સુધી પહોંચવું આવશ્યક છે. ડૉ.બાબા સાહેબ આંબેડકરના આ વિચારોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020થી મૂર્તરૂપ આપ્યું છે. મને એ કહેતા આનંદ થાય છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઘડતા પૂર્વે અમે ગામથી સંસદ, અધ્યાપકોથી શિક્ષણવિદો, વિદ્યાર્થીઓથી વાલીઓ, વિશેષજ્ઞોથી વૈજ્ઞાનિકો સહિતના શિક્ષણ સાથે સંકળાયેલા લગભગ તમામ લોકોનો અભિપ્રાય લઇ તેમનું સામુહિક યોગદાન મેળવ્યું હતું. આ દૃષ્ટિએ આ શિક્ષણ નીતિ એ સરકારની નીતિ નહિ; પરંતુ દેશની નીતિ છે.

'રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિઝન ડોક્યુમેન્ટ ત્યારે જ સફળ થશે જયારે આપણે તેનો સુચારુ અમલ કરી શકીશું. રિફોર્મ-પર્ફોર્મ-ટ્રાન્ફોર્મ: શિક્ષણનિતીના બાકીના બે તબક્કાઓ ઉપર હવે આપણે કામ શરુ કરવાનું છે. આ માટે તેમણે 5-I’s : Initiate, Innovate, Interact, Involvement and Implementationની ફોર્મ્યૂલા ઉપર કાર્યરત થવાનું સૂચન પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ડૉ.રમેશ પોખરિયાલ નિ:શંકે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નું ગુજરાતી સંસ્કરણ કરી, ટાસ્ક ફોર્સની રચના કરીને તેને ધરાતલ સુધી અમલીકરણ કરાવવા બદલ તથા આ નીતિના ક્રિયાન્વન માટે સમગ્ર દેશમાં અગ્રેસર રહેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અભિનંદન આપ્યા હતા.

એસોશિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીના પ્રમુખ પ્રૉ. તેજપ્રતાપે કહ્યું હતું કે, AIU અને BAOUના સંયુક્ત ઉપક્રમે યોજાનારા બે દિવસીય નેશનલ વાઈસ ચાન્સેલર્સ મીટ ભારતની નવી શિક્ષણ નીતિ-2020ના પ્રભાવી અને અસરકારક અમલીકરણ માટે ખૂબ જ મદદરૂપ થશે. બે દિવસના મંથનમાં ભારતભરના શિક્ષણવિદોના જ્ઞાનના આદાન-પ્રદાનનો મહત્તમ લાભ મળશે. ભારતના ઇતિહાસમાં 2020નું વર્ષ નવી શિક્ષણ નીતિના વર્ષ તરીકે ઓળખાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

UGCના ચેરમેન પ્રૉ. ડી. પી. સિંઘે જણાવ્યું હતું કે, આજે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે શરૂ થયેલી આ ઉચ્ચ કક્ષાની બે દિવસીય મીટ ભારતની નવી શિક્ષણ નીતિ-2020ના અમલમાં ખૂબ મહત્ત્વની સાબિત થશે. દેશનો વિકાસ શિક્ષણ વ્યવસ્થા ઉપર નિર્ભર છે ત્યારે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 21મી સદીમાં જાહેર કરેલી NEP-2020 સશક્ત, સમર્થ, કૌશલ્ય અને આત્મનિર્ભર ભારતની દિશામાં દોરી જશે. નવી NEP-2020 ભારતીયોને વૈશ્વિક નાગરિક બનાવવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે તેમ જણાવી ડૉ. સિંઘે ડૉ. બાબાસાહેબનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

એસોશિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી ડૉ. પંકજ મિતલે કહ્યું હતું કે, AIUના ઇતિહાસમાં પ્રથમવાર બે દિવસીય VC મીટનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થઇ રહ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ બે દિવસીય મીટમાં ભારતના ઉપકુલપતિઓ, શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં નવી શિક્ષણ નીતિ-2020ના શ્રેષ્ઠ અને ઝડપી અમલીકરણ માટે વિવિધ ટેકનિકલ સત્રો યોજાશે. જેમાં તજજ્ઞો પોતાનું યોગ્ય માર્ગદર્શન આપશે. ડૉ. પંકજે આ કાર્યક્રમમાં AIUની વિકાસ યાત્રા અને વર્તમાન કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

BAOUના વાઇસ ચાન્સેલર પ્રૉ. અમી ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરીને બે દિવસીય મીટની રૂપરેખા આપી હતી.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લેખક કિશોર મકવાણા દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ઉપર તૈયાર થયેલા ચાર પુસ્તકો- વ્યક્તિ દર્શન, જીવન દર્શન, આયામ દર્શન અને રાષ્ટ્ર દર્શનનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વાઈસ ચાન્સેલર મીટમાં વિવિધ યુનિવર્સિટીના કુલપતિ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ઉચ્ચ અધિકારીઓ સહિત ભારતભરમાંથી શિક્ષણવિદો અને પ્રાધ્યાપકો ઓનલાઈનના માધ્યમથી જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp