શું પૂજા ખેડકરની IASની નોકરી જવાની છે? UPSCએ જુઓ શું કહ્યું

PC: aajtak.in

મહારાષ્ટ્ર કેડરની તાલીમાર્થી IAS પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી ગઈ છે. વિવાદોમાં ફસાયા પછી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ પૂજા ખેડકર વિરુદ્ધ FIR નોંધાવી છે. આ ઉપરાંત, સિવિલ સર્વિસ પરીક્ષા 2022માંથી તેમની ઉમેદવારી રદ કરવા અને ભવિષ્યની પરીક્ષાઓથી દૂર કરવા માટે કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે.

કમિશન (UPSC)એ પૂજા ખેડકર પાસેથી જવાબ માંગતી નોટિસ મોકલી આપી છે કે, શા માટે તેની ઉમેદવારી રદ ન કરવી જોઈએ અને શા માટે તેને આગામી UPSC પરીક્ષાઓમાંથી બાકાત ન કરવી જોઈએ. UPSCએ કહ્યું છે કે, 'પૂજા ખેડકર વિરુદ્ધ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. તે પ્રકાશમાં આવ્યું છે કે, તેણે સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેની પરીક્ષામાં બેસવાની મર્યાદા પૂરી થઈ ગઈ હતી. આ પછી પણ તેણે પોતાની ઓળખ બદલીને છેતરપિંડી કરીને UPSC સિવિલ સર્વિસિસની પરીક્ષા આપી. તેણે પોતાનું નામ, પિતાનું નામ, માતાનું નામ, ફોટો અને સહી પણ બદલી નાખી. આ ઉપરાંત મોબાઈલ નંબર, E-Mail ID અને સરનામું પણ બદલ્યું હતું. ખોટી રીતે નવી ઓળખ ઊભી કરવાને કારણે તેને મર્યાદા કરતા વધુ વખત પરીક્ષામાં બેસવાની તક મળી.'

કમિશને વધુમાં જણાવ્યું હતું કે, 'તેથી, UPSCએ પોલીસ સત્તાવાળાઓ સાથે તેમની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને ફોજદારી કાર્યવાહી સહિત અનેક કાર્યવાહી શરૂ કરી છે અને 'સિવિલ સર્વિસ પરીક્ષા-2022ના નિયમો અનુસાર, સિવિલ સર્વિસ પરીક્ષા-2022ની તેની ઉમેદવારી રદ કરતા/તેમને ભવિષ્યની પરીક્ષાઓ/પસંદગીઓમાંથી નિષિદ્ધ કરતી શો કોઝ નોટિસ (SCN) મોકલી આપવામાં આવી છે.'

આયોગ દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'તપાસ પછી અમે પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરી છે. અમે બંધારણીય સંસ્થા છીએ અને નિયમોનું પાલન કે અમલ કરવાની જવાબદારી અમારી છે. અમે સ્પષ્ટ કર્યું છે કે, પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થવી જોઈએ અને જો કોઈ ગેરરીતિ કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે. UPSCએ કહ્યું કે, ઉમેદવારોને અમારામાં વિશ્વાસ છે. અમે આ વિશ્વાસ કમાયો છે. અમે લોકોનો વિશ્વાસ જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ અને તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.'

આ પહેલા તેનો ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રદ્દ કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના મસૂરીમાં સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમીએ મહારાષ્ટ્રથી પૂજા ખેડકરનો ટ્રેનિંગ પ્રોગ્રામ રદ કર્યો અને તેને તાત્કાલિક પરત બોલાવવાનો પત્ર બહાર પાડ્યો હતો. આ સિવાય એકેડેમીએ મહારાષ્ટ્ર સરકારને પણ પત્ર લખીને આ અંગે જાણ કરી હતી.

LBSNAA દ્વારા પૂજા ખેડકરને મોકલવામાં આવેલા આદેશમાં લખ્યું છે કે, 'તમારા જિલ્લા તાલીમ કાર્યક્રમને સ્થગિત કરવાનો અને આગળની જરૂરી કાર્યવાહી માટે તમને તાત્કાલિક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, તમને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમમાંથી મુક્તિ આપવામાં આવી છે.' એકેડેમીનો પાત્ર આ સાથે જોડાયેલ છે, તમને શક્ય તેટલી વહેલી તકે પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં 23 જુલાઈ, 2024 પછી એકેડેમીમાં જોડાવા માટે સૂચના આપવામાં આવે છે.'

હકીકતમાં, પૂજા ખેડકર પર દૃષ્ટિહીન અને માનસિક રીતે બીમાર હોવાનું પ્રમાણપત્ર રજૂ કરીને UPSC પરીક્ષામાં હાજર રહેવાનો આરોપ છે. તેના આધારે તે વિશેષ છૂટ મેળવીને IAS બની. જો તેને આ છૂટ ન મળી હોત તો મેળવેલા માર્કસના આધારે IASનું પદ મેળવવું તેના માટે અશક્ય હતું. પૂજા પર આરોપ છે કે, સિલેક્શન પછી પૂજાને મેડિકલ તપાસમાંથી પસાર થવાનું હતું, પરંતુ તેણે તે ટાળી દીધું હતું. તેણે વિવિધ કારણોસર છ વખત તબીબી તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર પછી તેણે બહારની મેડિકલ એજન્સી પાસેથી MRI રિપોર્ટ સબમિટ કરવાનું પસંદ કર્યું, જેને UPSCએ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જોકે, ત્યાર પછી UPSCએ આ અહેવાલ સ્વીકાર્યો હતો. જેના કારણે સરકાર આ અંગે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ સિવાય તેની ઉંમરને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. દસ્તાવેજો દર્શાવે છે કે, પૂજા ખેડકર દ્વારા 2020 અને ફરીથી 2023માં સેન્ટ્રલ એપેલેટ ટ્રિબ્યુનલને નિવેદનો આપવામાં આવ્યા હતા. જેમાં ત્રણ વર્ષનું અંતર હોવા છતાં માત્ર એક વર્ષનો જ વય વધારો દર્શાવવામાં આવ્યો છે. જો કે, ખેડકરે તેની બેન્ચમાર્ક ડિસેબિલિટી સાબિત કરવા માટે કોઈ કસોટીમાંથી પસાર થવું પડ્યું ન હતું. UPSCએ તેમની પસંદગીને સેન્ટ્રલ એપેલેટ ટ્રિબ્યુનલ (CAT)માં પડકારી હતી, જેણે ફેબ્રુઆરી 2023માં તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. ખેડકરે 2020 અને 2023 માટે CAT અરજી ફોર્મમાં પોતાના માટે બેન્ચમાર્ક અપંગતા ધરાવતી વ્યક્તિઓ માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ માંગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp