ગુજરાતમાં આજે પણ વેઠપ્રથા ચાલે છે

PC: khabarchhe.com

 94 વેઠિયા મજૂરોને અમદાવાદ પોલીસે પકડી લીધા બાદ તપાસમાં કેટલીક બાબતો બહાર આવી છે. જેમાં વર્ષ અગાઉ 70 લોકોને ફલાઈટમાં નાગાલેન્ડ મોકલ્યા હતા, તેવું ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસના આરોપી મુકેશ ભરવાડે જણાવ્યું છે. મારા કહેવા પર બે મહિના વધુ રોકાયેલા 70 જેટલા યુવકોને ખુશ થઈને નવરાત્રી પહેલા પ્લેનમાં મોકલ્યા હતા. રાજ્યમાં પરપ્રાંતિય લોકો પર હુમલા થવાની ઘટનાઓ બની ત્યારે તમામ લોકોને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા અને તેને લઈને ડીસીપી નિરજ બડગુજર સહિતના પોલીસ અધિકારીઓએ સન્માન કર્યું હતું.

અમદાવાદ પોલીસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. નિકોલ પોલીસે રાજ્યના સૌથી મોટો ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. રણાસણ ટોલટેકસ પાસે આવેલા બામ્ભા ફાર્મમાં ગોંધી રખાયેલા એક ડઝન કિશોર સહિત 94 પરપ્રાંતિય મજૂરોને મુક્ત કરાવ્યા છે. મુક્ત કરાયેલા મજૂરોમાં મોટાભાગના આસામ અને નાગાલેન્ડના છે. આ ઉપરાંત કેટલાક પશ્ચિમ બંગાળના પણ છે. નિકોલ પોલીસે કઠવાડા જીઆઈડીસીમાં આવેલી દવાની ફેકટરીમાં મજૂરો સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર મુકેશ ભરવાડ તેમજ આસામ અને નાગાલેન્ડના બે પેટા કોન્ટ્રાકટરની ધરપકડ કરી છે.

 શુક્રવારની મોડી સાંજે બાતમીના આધારે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી.ઝાલા તેમના ત્રણ પીએસઆઈ અને 16 પોલીસ જવાનની સાથે મુકેશ ભરવાડના બામ્બા ફાર્મ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કુલ 94 પરપ્રાંતિય મજૂરો મળી આવ્યા હતા. જેમાં 12 કિશોર વયના તેમજ 82 પુખ્તવયના છે. રાતે નવ વાગે શરૂ થયેલું રેસ્કયુ ઓપરેશન વહેલી પરોઢના ચાર વાગે પૂર્ણ થયું હતું. નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.જે.પરમારે સરકાર તરફે ફરિયાદ નોંધાવતા મુકેશ ભરવાડ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, મુકેશ ભરવાડે આસામના દિબ્રુગઢ લાહવાલમાં આઈશ્રી ખોડીયાર પેકેજીંગના નામથી છેલ્લા 10 વર્ષથી ઓફિસ ખોલી છે. કઠવાડા જીઆઈડીસી ખાતે પણ શ્રી ખોડીયાર પેકેજીંગ એન્ડ લેબર કોન્ટ્રાકટરના નામથી ઓફિસ ચલાવે છે. મુક્ત કરાવાયેલા તમામ લોકો કઠવાડામાં આવેલી જીએસપી કોપ સાયન્સ પ્રાઈવેટ લિમીટેડ નામની દવાની કંપનીમાં મજૂરી કામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં દવાની ફેકટરીના માલિક કેનલ બ્રિજમોહન શાહ (રહે. મણીકમલ સોસાયટી, થલતેજ) હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં સંડોવાયેલા તમામ લોકોને આરોપી બનાવવામાં આવશે.

ફેકટરી માલિક તેમજ ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે શ્રમ રોજગાર વિભાગ, બાળ કલ્યાણ વિભાગ, ઈન્ડસ્ટ્રીઝ કમિશનર સહિત લાગતા વળતા તમામ વિભાગોની પોલીસ મદદ લેશે. મુક્ત કરાયેલા તમામ લોકોના મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે.

બાતમી કોણે આપી

રાયસણ ટોલટેક્સ બુથ પાસેના ફાર્મમાં ગોંધી રખાયેલા પરપ્રાંતિય મજૂરોની માહિતી જેસીપી અમિત વિશ્વકર્માએ ડીસીપી અક્ષયરાજ મકવાણાને આપી હતી. વિશ્વકર્માએ આ અંગે જણાવ્યું હતું કે, કેટલાક લોકોને ગોંધી રખાયા છે તેવી માહિતી નાગાલેન્ડના બેચ મેટ અધિકારીએ આપી હતી. મારું કાર્યક્ષેત્ર નહીં હોવાથી ડીસીપી ઝોન-5ને જાણ કરી હતી.

નાગાલેન્ડના અધિકારીની મદદ

આઈબીમાં આઈજીપી કોસ્ટલ સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા અને મૂળ નાગાલેન્ડના વતની વાબાંગ જામીર આ કેસની તપાસમાં મદદ કરશે. જામીર મુક્ત કરાયેલા લોકોમાં નાગાલેન્ડના રહિશો પાસેથી સાચી માહિતી જાણવા માટે તેમની મદદ લેવાશે. મુક્ત કરાયેલા લોકોમાં કેટલાકને માત્ર નાગા ભાષા જ આવડે છે.

ખાવાનું ન આપી માર મરાતો 

આસામના દિબ્રુગઢના સુજીત દીરવાલ (ઉ.25)ના ચહેરા પર ઈજાના નિશાન પોલીસને જોવા મળ્યા છે. સુજીતે જણાવ્યું હતું કે, તબિયત સારી ના હોય અને કામ પર જવાની ના પાડીએ તો માર મારવામાં આવતો હતો અને સજાના ભાગરૂપે ખાવાનું પણ મળતું ન હતું. એક અન્ય યુવકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, અમારી પાસે બાર-બાર કલાક મજૂરી કરાવવામાં આવતી અને પૂરતું ખાવાનું તેમજ ઉંઘ પણ મળતી ન હતી.

મોટી સંખ્યાનો અંદાજ ન હતો 

અમે ફાર્મ પર રેડ પાડી ત્યારે 90થી વધુ લોકો મળી આવ્યા હતા. અમને જરા સરખો પણ અંદાજ ન્હોતો કે આટલી મોટી સંખ્યા હશે. આ શબ્દો છે નિકોલ પીઆઈ એચ.બી.ઝાલાના. તમામ લોકોને રેસ્કયુ કરીને પોલીસ સ્ટેશન લાવવા માટે ખાનગી મીની ટ્રક અને ટેમ્પા મંગાવ્યા હતા. પોલીસ ટીમ માત્ર ત્રણ જીપ લઈને રેડ કરવા ગઈ હતી.

સારો વ્યવહાર કરો

મુક્ત કરાયેલા પરપ્રાંતિય યુવકો અને કિશોરો સાથે સારો વ્યવહાર કરવા ડીસીપી અક્ષયરાજ મકવાણાએ નિકોલ પોલીસને સૂચના આપી છે. મિડીયા સમક્ષ ફોટાગ્રાફી અને વિડીયોગ્રાફી માટે તમામ લોકોને મેદાનમાં ઉભા રાખેલા જોઈને ડીસીપી અક્ષયરાજે તુરંત તમામને એક બાજુ શાંતિથી બેસી જવા  અને આ લોકો આરોપી નથી તેમ કહ્યું હતું.

900 રૂપિયા કમીશન મળે 

લેબર કોન્ટ્રાક્ટર મુકેશ ભરવાડ છેલ્લા દસેક વર્ષથી કામ કરી રહ્યો છે. વર્ષ દહાડે 100 જેટલા લોકોને ફેક્ટરી-કંપનીઓમાં મજૂરી કામ માટે મોકલે છે. ખમકી નામના એક પેટા કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે, એક માણસ લાવીએ તો 900 રૂપિયા જેટલી રકમ મળે છે. બીજી તરફ મુકેશ ભરવાડ કોઈને કમીશન આપતો નહી હોવાનો દાવો કરે છે.

નરોડાના સ્વાતિ કેમિકલમાં મજૂરો સપ્લાય કરાયા છે

ચાઈલ્ડ ટ્રાફિકીંગ કેસમાં ફસાયેલા મુકેશ ભરવાડે પૂછપરછ દરમિયાન નરોડાના સ્વાતિ કેમિકલ્સમાં પણ 20 મજૂરો પૂરા પાડ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસને આશંકા છે કે, અન્ય ફેકટરીઓમાં પણ મુકેશ ભરવાડે મજૂરો સપ્લાય કર્યા છે. જેથી આ અંગેની તપાસ શરૂ કરાઈ છે.

મહિને લાખો રૂપિયા કમાય છે 

ફેકટરીઓમાં લેબર સપ્લાય કરનાર મુકેશ ભરવાડને જે તે કંપની પગાર ચૂકવે છે. જ્યારે મુકેશ તે પગારમાંથી કેટલીક રકમ પોતે રાખી લઈને મજૂરી કામ માટે આવેલા લોકોના પરિવારને આસામમાં રોકડેથી તેમજ કેટલાકને હાથો હાથ પગાર આપે છે. આ મામલે પોલીસ ફેકટરી માલિકની પૂછપરછ કરવામાં આવશે તેમજ તેમની કર ચોરીમાં સંડોવણી સામે આવશે તો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરાશે.

વતનમાં જવા રજા નહીં 

વતનમાં જવા માટે રજા નહીં મળતી હોવાની મુખ્ય ફરિયાદ મુક્ત કરાયેલા પરપ્રાંતિય યુવકો અને સગીરોએ કરી છે. ફેકટરીનું પ્રોડકશન ટાર્ગેટ પૂરૂ કરવા માટે 10થી 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને સામે વળતર સામાન્ય અપાય છે. જમવા, રહેવા સાથે છથી આઠ હજાર પગાર ચૂકવાતો હતો. જો કોઈ યુવક કે સગીર રજા ના મળે અને ભાગી જાય તો તેમની જ કેટલાક સાથીઓ શોધી લાવતા અને તેમને સજા આપતા હતા.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp