કચ્છમાં મળ્યું 5 હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન, શું હિન્દુઓમાં પણ દફનવિધિ હોય છે?

PC: timesofindia.indiatimes.com

કચ્છના લખપત તાલુકાના રણ પાસે જૂના ખટિયા ગામે ઉત્ખનન દરમિયાન 250થી વધુ માનવ કંકાલ ધરાવતું 5000 વર્ષ પુરાણું કબ્રસ્તાન મળી આવ્યું છે. ગુજરાતમાં આટલું જૂનું પહેલું મળી આવ્યું છે. કચ્છના ધોળાવીરા પછી વિશ્વની બીજી અતિ પ્રાચીન સાઇટ છે. જે બતાવે છે કે ગુજરાતમાં લોકોને અગ્નિસંસ્કાર કરાતા ન હતા પણ જમીનમાં દાટવામાં આવતાં હતા. જેમાં 26 કબર ખોદી ઓળખી છે. માનવ કંકાલની દિશા પૂર્વ-પશ્ચિમ છે, જેમાં માથું પૂર્વ તરફ છે. બાળકોના કંકાલ પણ છે. આ કબ્રસ્તાન હડપ્પીયન સંસ્કૃતિનું હોવાનું મનાઈ રહ્યું છે. એક કબરમાંથી પુરું હાંડપીંજર મળી આવ્યું છે બાકીની 26માંથી તમામના હાડપિંજર તૂટેલા ફૂટેલા મળી આવ્યા છે. તેનો મતલબ કે તે સલામત ન હતી. આ ઘટના હિન્દુ સંસ્કૃત્તિમાં 16માં સંસ્કાર - અગ્નિ સંસ્કાર અને બીજી માન્યતાઓની સામે પડકાર છે. જોકે, જાણકારો કહે છે કે દફનવિધિ પણ હિન્દુ સંસ્કૃતિમાં હયાત છે. 

300 ચોરસ મિટર વિસ્તાર

ભુજથી 130 કિ.મી. અને ઘડુલીથી 15 કિ.મી. અંતરે 5000 વર્ષ જૂના અવશેષ મળી આવ્યા છે. લંબ ચોરસ પથ્થરોની કબરો બનાવવામાં આવી હતી. કબ્રસ્તાન 300 ચોરસ મિટર વિસ્તારમાંથી મળી આવ્યું છે. જે 4600 વર્ષથી 5200 વર્ષ જૂનું હોવાનું આર્કિયોલોજી નિષ્ણાતો માની રહ્યા છે. લંબચોરસ આકાર છે. કબરની લંબાઈ સૌથી મોટી 6.9 મીટર અને નાની 1.2 મીટર છે. માનવ કંકાલની સાથે પ્રાણીઓના અવશેષો પણ મળી આવ્યા છે. દીવાલમાં વપરાયેલા પથ્થરોને વ્યવસ્થિત કાપીને ચણવામાં આવ્યા છે.

ઈજીપ્ત, પાકિસ્તાન અને ઉત્તર ગુજરાત સાથે સામ્ય

ઉત્તર ગુજરાતની સાઇટ નાગવાડા, દાત્રાણ, સાદલી, મોટી પીપલી, રનૌદ, કચ્છની સુરકોટડા, ધાણેટીથી મળતી આવે છે. ધજાગઢ અને પડદાબેટ વિસ્તારમાંથી પણ અનુબંધ મળેલા છે. પાકિસ્તાનની સાઇટ જેવા છે. આમરી, નાલ, કોટ ડી-જી જેવી છે.

માટીના વાસણ

અમુક કબરોમાં પગની બાજુ માટીનાં વાસણો મળી આવ્યાં છે, જે તે સમયનો કોઇ રિવાજ હોઇ શકે. માટીના વાસણોના અવશેષો પાકિસ્તાનમાંથી મળી આવેલી સાઈટ જેવા છે. આ વાસણોનાં અવશેષો કાળખંડે-પાકિસ્તાન સાઇટ જેવા છે. ખોદકામ દરમ્યાન શંખની બંગડીઓ, પથ્થરના લસોટા, પથ્થરની બ્લેડ જેવી વસ્તુઓ પણ મળી આવી છે. શંખની બંગડીઓ , પથ્થર ના લસોટા , પથ્થરની બ્લેડ , મણકા , માટીના ઘડા , સહિતના વાસણો મળી આવ્યા છે. એક કબરમાંથી સૌથી વધુ 19 અને બીજી કબરમાંથી સૌથી ઓછા ૩ વાસણો મળી આવ્યા છે. અગાઉના સમયમાં દફન કર્યા બાદ કબરની બાજુમાં ગોળ પથ્થરો મૂકવામાં આવતા હતા. પથ્થરના લસોટા, પથ્થરની બ્લેડ જેવી વસ્તુઓ એક હજારથી વધુ સંખ્યામાં મળી છે. આર્કિયોલીજીકલ સર્વે પ્રમાણે અહીં માનવ વસાહતના સૌથી જુના અવશેષો રાપરના ધોળાવીરામાં મળી આવ્યા છે.

4 વર્ષ ઉત્ખનન

જીપીએસ – જીયોગ્રાફીક પોઝીશનીંગ સિસ્ટમ અને ડ્રોનની મદદથી વિગતો મેળવ્યા બાદ, 2016માં કેરાલા યુનિવર્સિટી દ્વારા અબડાસાના ખટિયા ગામના સરપંચ નારણભાઇ જાજાણીની સાથે મળીને અહીં ઉત્તખનન 30 જાન્યુઆરી 2019થી શરૂ કરાયું હતું. જેમાં કેરાલા યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગની ટીમના ડો. રાજેશ એસ.વી.,  ડો. અભયન, ડો. ભાનુપ્રકાશ શર્માના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક છાત્રો સાથે કચ્છ યુનિવર્સિટીના ડો. સુભાષ ભંડારી, જયપાલસિંહ જાડેજા, એમ.એસ. યુનિવર્સિટી  વડોદરા, પુના કોલેજના નિષ્ણાતો જોડાયા હતા. 4 વર્ષથી અહીં કામ ચાલતું હતું પણ છેલ્લા 45 દિવસથી સતત કામ કરીને કેરાલા યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના નેજા હેઠળ કેરલ, કચ્છ, વડોદરા અને પુણે યુનિવર્સિટીના કોલેજના વિદ્યાર્થીઓ સંશોધન કરતા હતા.

ડીએનએ અને મૃત્યુનું કારણ શોધાશે

વધુ સંશોધન માટે એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના ડો. કાંતિ પરમારના નેતૃત્વ હેઠળ ખટિયા ગામ માંથી મળેલી એક કબરને કેરાલા યુનિવર્સિટીમાં લઈ જવાશે. જયાં આર્કિયોલીજીકલ મ્યુઝિયમમાં કચ્છમાંથી મળી આવેલા માનવ કંકાલની ઉંમર, મૃત્યુનું કારણ, રોગ અને તેની સારવાર, તે સમયના માનવ ડીએનએનું વિશ્લેષણ કરાશે. તે ઉપરાંત જે તે સમયના લોકજીવનનો અભ્યાસ કરાશે. જરૂરત પડ્યે અભ્યાસ માટે દેશની અન્ય રિસર્ચ સંસ્થાઓની મદદ પણ લેવામાં આવશે. આમ અહીં મળેલા કંકાલને કેરાલાની માલિકી મળશે.

બીજી સાઈટ પણ છે

ધરતીમાં ધરબાયેલા માનવ ઉક્રાંતિના પાંચ હજાર  વર્ષ પુરાણા પૃષ્ઠને પુન:દર્શિત કર્યું હતું. ભુજ તાલુકાના ગજોડ ગામની આસપાસ પણ ઉત્ખનન સાઇટ મળી આવવાના અણસાર છે. કચ્છમાં 12 શહેરો જમીનની અંદર છે જેનું પણ કોઈ સંશોધન કરાયું નથી. સાઇટ હજી પણ અનેક રહસ્યો ધરબી બેઠી છે. અમુક માનવ કંકાલ સાથે પ્રાણીઓનાં અસ્થિઓના અવશેષો પણ જોવા મળ્યા છે. કચ્છમાં આવા અનેક સ્થળોએ પ્રાચીન અવશેષો દબાયેલા છે. જેનો સમયાંતરે ઇતિહાસવિદો દ્વારા અભ્યાસ કરાતો હોય છે.

ઈજીપ્તની કબર કેવી છે  

ઈજિપ્તના દક્ષિણ કૈરોના સાક્કારા ખાતે 4400 વર્ષ જૂની એક કબર ચિત્રલિપિ અને કેટલાક શિલ્પો સાથે મળી આવી હતી. જેની સ્થિતિ આટલા વર્ષો પછી પણ યથાવત્ છે અને તેને કોઈ નુકસાન પહોંચ્યું નથી. છેલ્લા દાયકાઓમાં મળેલી કબરોમાંથી આ કબર ખુદમાં વિશિષ્ટ પ્રકારની છે.  આ કબર ઓલ્ડ કિંગડમના પાંચમા વંશના ત્રીજા રાજા નેફેરિર્કેરેના શાસન વખતની હોવાનું માનવામાં આવે છે પાંચ શાફ્ટમાંથી એક શાફ્ટ સિવાયના તમામ શાફ્ટ સીલ કરાયેલા છે. આ કબર 33 ફૂટ લાંબી, 9.8 ફૂટ પહોળી છે. તેમાં વિવિધ શિલ્પો છે. તેનો રંગ પણ આટલા વર્ષો પછી લગભગ યથાવત્ રહ્યો છે. પૌરાણિક ઈજિપ્તની રાજધાની રહેલા મેમ્ફિસ માટે સાક્કારાનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે થતો હતો. માનવશબના મમી બનાવીને મૃત વ્યક્તિના શરીરને વર્ષો સુધી યથાવત્ સ્થિતિમાં જાળવી રાખતા હતા. આ ઉપરાંત ધાર્મિક વિધિઓ માટે પ્રાણીઓનાં મમીનો ઉપયોગ કરવામાં આવતો હતો.

શૈવ, લિંગાયત અને સાધુઓમાં દફનવિધિની પરંપરા 

જાણકારો કહે છે કે હિન્દુ ધર્મમાં આજે પણ ઘણા સંપ્રદાયોમાં દફનવિધિની પરંપરા છે. ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં લિંગાયત સમુદાયમાં દફનવિધિ કરાય છે. આ ઉપરાંત કેટલાક શૈવ સંપ્રદાયોમાં પણ દફનવિધિ છે. ખાસ કરીને સાધુઓ અને મુનિઓની સમાધિઓ જોવા મળે છે. 

સાધુઓની દફનવિધિ કેમ 

ખાસ કરીને શૈવ સંપ્રદાયની સાધુઓની દફનવિધિ જ કરાય છે. કારણ કે એવું માનવામાં આવે છે કે તેમના જ્ઞાનથી શરીરનો નાશ થઇ જાય છે એટલે તેને બાળવાની જરૂર પડતી નથી. ઘણા સાધુઓ સમાધિ લે છે અને એ અવસ્થામાં જ તેમને દફન કરાય છે અને પછી તેમની સમાધિ બને છે. 

આદિવાસીઓમાં પણ દફનવિધિ 

દેશના ઘણા આદિવાસી સમુદાયોમાં પણ અગ્રિસંસ્કારને બદલે દફનવિધિની પરંપરા જ ચાલી આવી છે. ઇતિહાસકારો કહે છે કે પ્રી વૈદિક પરંપરામાં દફનવિધિ જ હતી. વૈદિક ધર્મનો પ્રચાર પ્રસાર થયા પછી અગ્નિસંસ્કાર શરૂ થયા.પરંતુ હિન્દુ ધર્મનું પાલન કરતા ઘણા સમુદાયોમાં આજે પણ મૃત્યુ પછી પ્રી વૈદિક પરંપરાનું જ પાલન કરાય છે. ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં તે વધુ જોવા મળે છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp