ગુજરાતમાં 5 વર્ષમાં 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ, NCRBના ડેટામાં ખુલાસો

PC: bnn.network

ગુજરાતમાંથી એક ખુબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જો સત્તાવાર આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, ગુજરાતમાં પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, વર્ષ 2016માં 7,105 મહિલાઓ, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. અને વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. પાંચ વર્ષમાં તેમની કુલ સંખ્યા 41,621 પર પહોંચી ગઈ છે.

2021માં ગુજરાત વિધાનસભામાં રાજ્યની BJP સરકારે આપેલા નિવેદન મુજબ, અમદાવાદ અને વડોદરામાં માત્ર એક વર્ષમાં (2019-20) 4,722 મહિલાઓ ગુમ થઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાના કારણે આ સમાચાર ખૂબ જ મોટા માનવામાં આવે છે, જ્યાં છેલ્લા 25 વર્ષથી BJP સરકારનું શાસન છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ, ભૂતપૂર્વ IPS અધિકારી અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના સભ્ય સુધીર સિંહાએ જણાવ્યું હતું કે, 'ગુમ થવાના કેટલાક કિસ્સાઓમાં, મેં જોયું છે કે છોકરીઓ અને મહિલાઓને ક્યારેક ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે અને વેશ્યાવૃત્તિ માટે ફરજ પાડવામાં આવે છે.'

વધુમાં તેમણે કહ્યું, 'પોલીસ તંત્રની સમસ્યા એ છે કે, તે ગુમ થવાના કેસોને ગંભીરતાથી લેતી નથી. આવા કિસ્સાઓ હત્યા કરતાં પણ વધુ ગંભીર હોય છે. એવું એટલા માટે કારણ કે, જ્યારે કોઈ બાળક ખોવાઈ જાય છે ત્યારે, તેના માતા-પિતા તેની વર્ષો સુધી રાહ જોતા હોય છે, અને ગુમ થયેલા કેસની તપાસ હત્યાના કેસની જેમ જ સખતાઈથી થવી જોઈએ.'

સિન્હાએ જણાવ્યું હતું કે, 'ગુમ થયેલા વ્યક્તિઓના કેસોની પોલીસ દ્વારા વારંવાર અવગણના કરવામાં આવે છે, કારણ કે તેમની તપાસ બ્રિટિશ યુગની રીતે કરવામાં આવે છે.'

પૂર્વ અધિક પોલીસ મહાનિર્દેશક ડો.રાજન પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, છોકરીઓના ગુમ થવા પાછળ માનવ તસ્કરી જવાબદાર છે. 'મારા કાર્યકાળ દરમિયાન, મેં જોયું કે મોટાભાગની ગુમ થયેલી મહિલાઓને ગેરકાયદે માનવ તસ્કરી સાથે સંકળાયેલી ટોળકી દ્વારા ઉપાડી લેવામાં આવે છે, જેઓ તેમને બીજા રાજ્યમાં લઈ જાય છે અને વેચી નાંખે છે.'

ડૉ. રાજન પ્રિયદર્શીએ કહ્યું, 'જ્યારે હું ખેડા જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) હતો, ત્યારે ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ જે જિલ્લામાં મજૂર તરીકે કામ કરતો હતો, તે એક ગરીબ છોકરીને ઉપાડી ગયો અને તેને તેના વતન UP રાજ્યમાં લઈ ગયો અને તેને વેચી દીધી, જ્યાં તેને ખેતરોમાં મજૂર તરીકે કામ કરવા માટે લગાવી દીધી હતી. અમે તેને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ ઘણા કિસ્સાઓમાં આવું થતું નથી.'

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે, 'BJPના નેતાઓ કેરળમાં મહિલાઓની વાત કરે છે, પરંતુ દેશના PM અને ગૃહમંત્રીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp