PM મોદીએ મહિલાઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છેઃ CM ભૂપેન્દ્ર પટેલ

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ મંત્રી સ્વ. રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે ‘નાર્યસ્તુ વંદના’ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે આ પ્રસંગે ગુજરાતની નારીને તેજસ્વિતાનું પ્રતીક ગણાવતાં કહ્યું કે, નારીશક્તિમાં કાબેલિયતનો ધોધ હંમેશા વહેતો જ હોય છે. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને પોતાના સ્વર્ગસ્થ પિતા અને રાજ્યના પૂર્વ મંત્રી રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે 10 હજારથી વધુ ગંગાસ્વરૂપા માતા-બહેનોની ભાવ વંદના માટે ‘નાર્યસ્તુ વંદના’ કાર્યક્રમના આયોજન અંગે તેમણે અભિનંદન આપ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે સરળ અને સાહજિક ભાવે આવી ગંગા સ્વરૂપા માતાઓના ચરણ પખાળી ‘નાર્યેસ્તુ વંદના’ને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો હતો. ગુજરાતમાં ગ્રામ પંચાયત થી લઇ જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનોને 50 ટકા અનામત આપીને બહેનોને ગામ, શહેર, નગર, પંચાયત અને જિલ્લાની શાસન ધૂરા સોંપી છે અને વહીવટમાં હિસ્સેદાર બનાવી છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે ભગવદ્ ગીતાના 18 અધ્યાય કંઠસ્થ કરી વર્લ્ડ ગિનિસ બુકમાં નામાંકન માટે ક્વોલિફાઈડ થયેલી પેથાપુરની સાત વર્ષની દીકરી શનૈકા પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તદઉપરાંત પાવર લીફટીંગ રમતમાં ગોલ્ડ મેડલ અંકિત કરનાર ચાંપલાનારના કૃપાલીબેન નાયી અને ગુજરાત ઓપન 200 મીટરની દોડમાં શેઠ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઉર્વશીબેન પરમારની પણ આગવી પ્રતિભાને તેઓએ બિરદાવી હતી.

આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશની માતા અને બહેનોની વિશેષ ચિંતા કરીને તેઓના ઉત્કર્ષ અને ઉત્થાન માટેની જનધન યોજના, ઉજ્જવલા યોજનામાં ગેસના ચૂલા વિતરણ, ખૂલ્લામાં શૌચક્રિયામુકતી માટે 100 ટકા શૌચાલય સહિત દરેક યોજનામાં મહિલાશક્તિને કેન્દ્રસ્થાને રાખી છે તેની પણ ભૂમિકા આપી હતી.

ગુજરાત સરકાર દ્વારા પણ માતા-બહેનોના સર્વગ્રાહી વિકાસ માટે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ કાર્યરત કરવામાં આવી છે.જે અંતર્ગત રાજ્યમાં 10 હજાર સખીમંડળોની રચના કરીને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં એક લાખ બહેનોને રૂ. 100 કરોડની લોન આપવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ ને સાકાર કરવા કરવા નારીશક્તિ માતા, બહેનોને પણ ‘આત્મનિર્ભર મહિલાશક્તિ’ તરીકે પ્રસ્થાપિત કરી આત્મનિર્ભર ગુજરાત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp