સાડા છ કરોડ વર્ષ જૂના પથ્થરમાંથી બનશે રામલલ્લાની મૂર્તિ, આવી રહ્યો છે અયોધ્યા

PC: aajtak.in

અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરમાં રામ લલ્લાના બાળ સ્વરૂપની મૂર્તિ જે પથ્થરમાંથી બનાવવામાં આવશે, તે કોઈ સામાન્ય પથ્થર નથી. પરંતુ તેનો ઈતિહાસ, પૌરાણિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. નેપાળના મ્યાગ્દી જિલ્લાના બેનીથી સંપૂર્ણ વિધિ વિધાન અને હજારો લોકોની શ્રદ્ધાની વચ્ચે તે પવિત્ર પથ્થરને અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે. મ્યાગ્દીમાં પહેલા શાસ્ત્ર સમ્મત ક્ષમાપૂજા કરવામાં આવી, પછી જિયોલોજીકલ અને આર્કિઓલોજીકલ વિશેયજ્ઞોની દેખરેખમાં પથ્થરનો ખોદણી કરવામાં આવી હતી.

હવે તેને મોટા ટ્રકમાં ચઢાવીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લાવવામાં આવી રહ્યો છે. જ્યાં જ્યાંથી આ શિલા યાત્રા પસાર થઈ રહી છે, ત્યાં રસ્તામાં ભક્તો ઊભા રહીને તેની પૂજા અને દર્શન કરી રહ્યા છે. આશરે સાત મહિના પહેલા નેપાળના પૂર્વ ઉપપ્રધાનમંત્રી તથા ગૃહમંત્રી બિમલેન્દ્ર નિધિએ રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની સામે આ પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સાંસદ નિધિએ ટ્રસ્ટની સામે એ પ્રસ્તાવ મૂક્યો કે અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામનું આટલું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો જનકપુર તરફથી અને નેપાળ તરફથી તેમાં કંઈ ને કંઈ યોગદાન હોવું જોઈએ.

મિથિલામાં છોકરીઓના લગ્નમાં જ કંઈક આપવાની પરંપરા નથી, પરંતુ લગ્ન પછી પણ જો છોકરીના ઘરમાં કંઈ શુભ કાર્ય થાય છે તો પિયર તરફથી કંઈ ને કંઈક સંદેશ કોઈક રૂપે આપવામાં આવે છે. આ પરંપરા હેઠળ બિમલેન્દ્ર નિધિએ ભારત સરકાર સમક્ષ પણ આ ઈચ્છા જતાવી અને અયોધ્યામાં બનનારા રામ મંદિરમાં જનકપુર તથા નેપાળનો કંઈક અંશ રહે તેવા પ્રયાસ કર્યા હતા. ભારત સરકાર અને રામ મંદિર ટ્રસ્ટ તરફથી લીલી ઝંડી મળતા જ હિંદુ સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદે નેપાળની સાથે સમન્વય કરતા નક્કી કર્યું હતું કે રામ મંદિરનું નિર્માણ બે હજાર વર્ષ સુધી રહે તેવું કરવામાં આવી રહ્યું હોવાના લીધે તેમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિ તેનાથી પણ વધારે ચાલે તેવા પથ્થર, જેનું ધાર્મિક, પૌરાણિક,આધ્યાત્મિક મહત્વ હોય, તેને અયોધ્યા મોકલવામાં આવે.

નેપાળ સરકારે કેબિનેટની બેઠકમાં કાલી ગંડકી નદીના કિનારે રહેલા શાલીગ્રામના પથ્થરને મોકલવા માટેની પોતાની સ્વીકૃતિ આપી દીધી હતી. આ રીતના પથથરને શોધવા માટે નેપાળ સરકારે જીયોલોજીસ્ટ અને આર્કિઓલોજીસ્ટ સહિત વોટર કલ્ચરને સમજનારા એક્સપર્ટ્સની એક ટીમ મોકલીને પથ્થર પસંદ કર્યો છે. અયોધ્યા માટે જે પથ્થર મોકલાવવામાં આવી રહ્યો છે, તે સાડા છ કરોડ વર્ષ જૂનો છે અને તેની આયુ હજુ પણ એક લાખ વર્ષ સુધી રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે કાલી ગંડકી નદીના કિનારેથી આ પથ્થર લેવામાં આવ્યો છે, તે નેપાળની પવિત્ર નદી છે, જે દામોદર કુંડથી નીકળીને ભારતમાં ગંગા નદીમાં ભળે છે. આ નદી કિનારે શાલિગ્રામ પથ્થર મળી આવે છે. જેનું આયુ કરોડો વર્ષ સુધીની હોય છે અને તે માત્ર અહીં જ મળી આવે છે.

ભગવાન વિષ્ણુના રૂપમાં શાલિગ્રામ પથ્થરોની પૂજા કરવામાં આવે છે. જે કારણે તેને દેવશિલા પણ કહેવાય છે. આ પથ્થરને ત્યાંથી ખસેડવા પહેલા વિધિ વિધાનના હિસાબે ક્ષમા પૂજા કરવામાં આવી, પછી ક્રેનની મદદથી પથ્થરને ટ્રકમાં મૂકવામાં આવ્યો હતો. એક પથ્થરનું વજન 27 ટન હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે બીજા પથ્થરનું વજન 14 ટન છે. પોખરામાં ગંડકી પ્રદેશ સરકાર તરફથી મુખ્યમંત્રી ખગરાજ અધિકારીએ તેને જનકપુરધામના જાનકી મંદિરના મહંતે વિધિપૂર્વક હસ્તાંતરિત કર્યા છે. હસ્તાંતરણ કરવા પહેલા મુખ્યમંત્રી તથા પ્રદેશના અન્ય મંત્રીઓએ આ શાલિગ્રામ પથ્થરનો જળાભિષેક કર્યો હતો. નેપાળ તરફથી અયોધ્યાના રામ મંદિરને આ પથ્થર સમર્પિત કરવાને લઈને સૌ ઉત્સાહિત જોવા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp