શું તમને PM નરેન્દ્ર મોદીના કારણે મળી છે સફળતા?, ગૌતમ અદાણીએ આપ્યો આ જવાબ

PC: hindi.newsroompost.com

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માત્ર તેમની નેટવર્થ અથવા એમ કહો કે, રોકાણના કારણે લાઈમલાઈટમાં રહેતા નથી. તેમનું નામ PM નરેન્દ્ર મોદી સાથે પણ અનેક પ્રસંગોએ જોડવામાં આવ્યું છે. 2014થી, વિપક્ષે અનેક પ્રસંગો પર આરોપ લગાવ્યો છે કે, PM મોદી ગૌતમ અદાણી પ્રત્યે દયાળુ છે. દરેક મોટા પ્રોજેક્ટ તેમને જ આપવામાં આવી રહ્યા છે. હવે પહેલીવાર ગૌતમ અદાણીએ આ તમામ પ્રશ્નો પર એક ચેનલ સાથે વાત કરી છે. તેમના તરફથી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, તેમની સફળતા કોઈ એક સરકારના કારણે નથી, પરંતુ ઘણી સરકારોએ તેમાં યોગદાન આપ્યું છે.

ઈન્ડિયા ટુડે ગ્રુપના ગ્રૂપ એડિટોરિયલ ડિરેક્ટર (પ્રકાશન) રાજ ચેંગપ્પા સાથેની વાતચીતમાં ગૌતમ અદાણીએ કહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી અને હું એક જ રાજ્યમાંથી આવીએ છીએ, તેથી મારા પર આવા પાયાવિહોણા આક્ષેપો કરવા સરળ બની જાય છે. હું મારી ઔદ્યોગિક યાત્રાને ચાર ભાગમાં વહેંચી શકું છું. ઘણા લોકોને જાણીને નવાઈ લાગશે કે, રાજીવ ગાંધી PM હતા ત્યારે મારી સફર શરૂ થઈ હતી, જ્યારે તેમણે એક્ઝિમ પોલિસીનો પ્રચાર કર્યો હતો અને ઘણી વસ્તુઓ પહેલીવાર OGL લિસ્ટમાં આવી હતી.આનાથી મારું એક્સપોર્ટ હાઉસ શરૂ થયું હતું. જો તે ન હોત તો મારી શરૂઆત આવી ન હોત. બીજી તક 1991માં આવી જ્યારે નરસિમ્હા રાવ અને મનમોહન સિંહે આર્થિક સુધારા શરૂ કર્યા.

તેઓ વધુમાં કહે છે કે, મારી સાથે ઘણા લોકોને તેનો લાભ મળ્યો. આ વિશે પહેલા પણ ઘણું લખાઈ ચૂક્યું છે. ત્રીજી તક 1995માં આવી જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના CM બન્યા. ત્યાં સુધી માત્ર મુંબઈથી દિલ્હી સુધી NH-8 વિકસાવવામાં આવી હતી. તેમની દૂરંદેશી અને નીતિમાં ફેરફારથી મને મુંદ્રા ખાતે મારું પહેલું બંદર બનાવવાની તક મળી. ચોથી તક 2001માં આવી જ્યારે CM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની દિશા બતાવી. તેમની નીતિઓને કારણે ગુજરાતમાં અવિકસિત વિસ્તારોના વિકાસની સાથે આર્થિક પરિવર્તન પણ આવ્યું. તેનાથી ઉદ્યોગ અને રોજગારનો વિકાસ થયો.

આજે PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ જ કામ કરી રહ્યા છે. મારી વિરૂદ્ધ આવી વાતો કહેવામાં આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ બધું પાયાવિહોણું અને અમારી પ્રગતિ સામે પક્ષપાત છે. સત્ય તો એ છે કે અમારી સફળતા કોઈ એકના કારણે નથી પરંતુ ત્રણ દાયકામાં અનેક સરકારોના નીતિ પરિવર્તનને કારણે છે.

હવે આ પ્રશ્નનો પર તો અદાણી દ્વારા બેફામ જવાબ આપી જ દેવામાં આવ્યો, જ્યારે તેમને તેમની સફળતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટૂંકમાં કહ્યું કે, ગૌતમ અદાણી લોકતાંત્રિક ભારતની ઉપજ છે અને તે ક્યારેય હાર માની લેવાની અદાણી સંસ્કૃતિનો ભાગ નથી. હવે જ્યારે અદાણીએ અપાર સફળતા હાંસલ કરી જ છે, વર્ષ 2022 તો તેમના માટે ઘણી રીતે ખાસ રહ્યું છે. જ્યારે ગૌતમ અદાણીને પૂછવામાં આવ્યું કે વર્ષ 2022 તેમના માટે કેવું રહ્યું, તો તેમણે કહ્યું કે, 2022 ઘણા કારણોસર ખાસ હતું. અમારો અદાણી વિલ્મરનો IPO સફળ રહ્યો અને આ સાથે અદાણી વિલ્મર અમારા જૂથની સાતમી લિસ્ટેડ કંપની બની ગઈ છે.

તેણે કહ્યું કે, તેઓ એક યોજના પ્રમાણે કામ કરે છે. પહેલા બિઝનેસ મોડલ હેઠળ કંપની શરૂ કરે છે, પછી કંપનીને નફાકારક બનાવે છે અને પછી તેને શેરબજારમાં લિસ્ટ કરાવે છે. આ IPO પણ તેનું જ ઉદાહરણ છે.

અહીં જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આજે 60 વર્ષીય ગૌતમ અદાણી, જેને દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ટાયકૂન કહેવામાં આવે છે, તેમણે માત્ર 16 વર્ષની ઉંમરે બિઝનેસમાં હાથ અજમાવવા માટે મુંબઈ જવું પડ્યું હતું. વર્ષ 1978માં તેઓ મુંબઈ ગયા અને હીરાનો ધંધો શરૂ કર્યો, પરંતુ લગભગ ત્રણ વર્ષ પછી 1981માં તેઓ ગુજરાત પાછા ફર્યા અને તેમના ભાઈની પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp