ગૌતમ અદાણી માટે એક સાથે બે સારા સમાચાર, 2 મહિનાથી ચાલતો વિવાદ ઉકેલાયો

PC: indiatoday.in

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગની અસર હજુ પણ અદાણી ગ્રુપ પર જોવા મળી રહી છે. શેરોમાં ઘટાડો હોય કે ગૌતમ અદાણીની નેટવર્થ, બધું જ ઘટી રહ્યું છે. દરમિયાન હવે અદાણી ગ્રુપ માટે બે સારા સમાચાર સામે આવ્યા છે.  એક સમાચાર એ છે કે હિમાચલ પ્રદેશમાં બે મહિના જૂનો વિવાદ ઉકેલાઈ ગયો છે અને બીજા સમાચાર એ છે કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) એ 1,500 કરોડ રૂપિયાની લોન ચૂકવી દીધી છે. આ બંને સમાચારો અદાણીને રાહત આપનારા છે.

અદાણી ગ્રૂપે સોમવારે SBI મ્યુચ્યુઅલ ફંડના રૂ. 1,500 કરોડના લેણાંની ચુકવણી કરી હતી અને આગામી દિવસોમાં વધુ લોન ચૂકવવાનું વચન આપ્યું હતું. PTIના જણાવ્યા અનુસાર, આગામી મહિને એટલે કે માર્ચ 2023માં, કંપની લોનની ચુકવણી યોજના મુજબ વધુ 1,000 કરોડ રૂપિયા ચૂકવશે. SBI લોન અદાણી પોર્ટ્સ દ્વારા બિઝનેસ ઓપરેશન્સ દ્રારા મળેલી રકમમાંથી ચૂકવવામાં આવે છે.

સોમવારે કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, અદાણી ગ્રુપના આ પગલાને રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવાના દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. અદાણી ગ્રૂપ તેના રોકાણકારોમાં વિશ્વાસ પાછો લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે, જે હિંડનબર્ગના  અહેવાલથી હચમચી ગયો હતો. સપ્ટેમ્બર 2022માં અદાણી ગ્રુપ પર કુલ રૂ. 2.26 લાખ કરોડનું દેવું હતું, જ્યારે તેની પાસે માત્ર રૂ. 31,646 કરોડની રોકડ હતી.

હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રુપ પર સમસ્યાઓનો પહાડ તૂટી પડ્યો હતો. 24 જાન્યુઆરી 2023ના રોજ જાહેર કરાયેલા અહેવાલની રોકાણકારોના સેન્ટિમેન્ટ પર એટલી પ્રતિકૂળ અસર પડી કે ગ્રૂપની તમામ કંપનીઓના શેરોના ભાવમાં કડાકા બોલી ગયા હતા અને 20 દિવસમાં અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ અડધું થઈ ગયું. આટલું જ નહીં, શેરોમાં આવેલી સુનામીને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે તેઓ અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાનેથી સરકીને 25માં સ્થાને પહોંચી ગયા છે.

હિંડનબર્ગના વમળમાં ફસાયેલા અદાણી ગ્રુપ માટે આ માત્ર રાહતના સમાચાર નથી પરંતુ તેની સાથે વધુ સારા સમાચાર એ પણ આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં 68 દિવસ બાદ અદાણી ગ્રુપ અને સિમેન્ટ ટ્રક ઓપરેટર્સ યુનિયન વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવ્યો છે. સોમવારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની અધ્યક્ષતામાં બંને પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી અને નવા ભાડા નક્કી કરવામાં આવ્યા છે. અંબુજા અને એસીસી સિમેન્ટના પ્લાન્ટ અહીં 16 ડિસેમ્બર, 2022થી નૂર ચાર્જ અંગે મતભેદને કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.

રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે, અદાણી ગ્રુપ રોકડ બચાવવા માટે તમામ પગલાં લઈ રહ્યું છે. આ અંતર્ગત ગ્રુપની વિસ્તરણ યોજનાઓ પણ બંધ કરવામાં આવી રહી છે. પ્રથમ, અદાણી પાવરનો ડીબી પાવર સાથે રૂ. 7000 કરોડનો સોદો અટકાવી દેવામાં આવ્યો હતો. તો સોમવારે વધુ એક મોટો નિર્ણય લેતા ગૌતમ અદાણીએ PTC ઈન્ડિયા લિમિટેડમાં હિસ્સા માટે બિડિંગમાંથી પોતાને અલગ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp