અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન લોખંડની મોટી જાળી મહિલા પર પડી

PC: divyabhaskar.co.in

અમદાવાદના મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન શનિવારે સાંજે એક દુર્ઘટના બની હતી. બે પિલરની વચ્ચે સેન્ટિંગ માટે લોખંડની મોટી જાળી ક્રેઇન દ્વારા લઈને કામગીરી કરવામાં આવતી હતી. ત્યારે ત્યાંથી ચાલીને પસાર થતા એક મહિલા ઉપર આ લોખંડની જાળી પડી હતી જેથી મહિલા દબાઈ ગઈ હતી. લોખંડની જાળી વચ્ચે દબાઈ જતા મહિલાએ બૂમાબૂમ કરી હતી. તાત્કાલિક લોખંડની જાળીને હટાવી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેને સારવાર માટે વટવાની ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવી છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ ઘટના બની હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

રિપોર્ટ્સ મુજબ મણિનગર રેલ્વે ક્રોસિંગથી મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. શનિવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેનના બે પિલરની વચ્ચે સેન્ટિંગ માટે એક મોટી લોખંડની જાળી ક્રેઇન વડે ઉંચી કરી અને ત્યાં રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન ત્યાંથી એક મહિલા પસાર થઈ રહી હતી તેની ઉપર આ લોખંડની જાળી પડી હતી. લોખંડની જાળી નીચે મહિલા દબાઈ ગઈ હતી. તાત્કાલિક 108ને જાણ કરાઈ હતી.મહિલાને બંને પગોના ભાગે ઇજાઓ થઈ હતી અને સ્પાઇનમાં ઇજા થતા વટવાની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું 108ના કર્મચારીઓએ જણાવ્યું હતું.

ઇજાગ્રસ્ત મહિલાનું નામ સ્મિતાબેન મેકવાન (ઉંમર 47 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેનની આ કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન આ લોખંડની જાળી મહિલા ઉપર પડી હતી અને આ દુર્ઘટના બની હતી. ઘટનાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસને જાણકારી થતા મણિનગર પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બુલેટ ટ્રેનના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને મહિલાને સારવાર મળે તેવી વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે.

વર્ષ 2022માં રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું. નદીમાં છોડવામાં આવેલા ધસમસતા પાણીને કારણે કેશવનગર પાસે રેલવે બ્રિજને અડીને બની રહેલા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટેના બ્રિજનો અમુક ભાગ તૂટી ગયો હતો અને બુલેટ ટ્રેનની કામગીરી માટેનાં બેરિકેડ્સ પણ નદીમાં વહી ગયાં હતા.

વર્ષ 2022માં આણંદ જિલ્લામાં બુલેટ ટ્રેનના બ્રિજનું કામ ધીમી ગતિએ થવા પાછળ ભૂમાફિયાઓ અડચણ કરતા હોવાનું બહાર આવ્યુ હતુ. આ બાબતની જાણ થતા જ અધિકારીઓ અને જાપાનના નિષ્ણાતોની ટીમ દોડી આવી હતી. અહીં બુલેટ ટ્રેન માટે 18 કિલોમીટર રેલવે ટ્રેક તૈયાર કરવામાં આવતો હતો. જાપાનની બુલેટ પ્રોજેકટ સાથે સંકળાયેલ એક્સપર્ટ્સ જાપાનની ટીમે રાજુપુરા ગામે તૈયાર થઇ રહેલા બ્રિજની મુલાકાત લીધી હતી. પ્રોજેકટના સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરતા બહાર આવ્યું હતું કેટલાંક સ્થાનિક ભુમાફિયા બ્રિજની કામગીરી અડચણ રૂપ બની રહ્યા છે. જેના કારણે બ્રિજનું કામ ધીમી ગતિ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp