આખરે કોણ છે ઉદ્યોગપતિ વિકાસ માલુ? સતીશ કૌશિકના મૃત્યુ પછી જેના પર આરોપ લાગ્યો

PC: aajtak.in

પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકના મૃત્યુ પછી વિકાસ માલુ નામના વ્યક્તિનું નામ ચર્ચામાં આવ્યું છે. અભિનેતાના તેની સાથેના સંબંધોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિકાસ માલુ અને સતીશ કૌશિક ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. હવે વિકાસ માલુની પત્ની જ સતીશ કૌશિકના મૃત્યુ કેસમાં તેના પતિ પર ષડયંત્રની આશંકા વ્યક્ત કરી રહી છે. આરોપ છે કે વિકાસ માલુએ બિઝનેસ માટે સતીશ કૌશિક પાસેથી 15 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. તેણે આ રકમ પછી આપવી ન પડે, તેથી કાવતરાના ભાગરૂપે તેણે કૌશિકને ખોટી દવા ખવડાવી. જાણો કોણ છે વિકાસ માલુ...

વિકાસ માલુ કુબેર ગ્રુપના માલિક છે. તેમના પિતા મૂળચંદ માલુએ વર્ષ 1985માં કુબેર ખૈની સાથે આ ગ્રુપની શરૂઆત કરી હતી. 1993માં વિકાસ માલુ આ ગ્રુપના ડાયરેક્ટર બન્યા. કુબેર ગ્રુપનો બિઝનેસ 50 દેશોમાં ફેલાયેલો છે. કુબેર ગ્રુપ એ તમામ પ્રકારના પાન મસાલા, માઉથ ફ્રેશનર, સુગંધ (અગરબત્તીઓ અને ધૂપ), ખાદ્ય અને અખાદ્ય તેલ વગેરેના ઉત્પાદનના ક્ષેત્રે જાણીતું નામ છે.

કુબેર ગ્રૂપના માલિક વિકાસ માલુ તેમના બિઝનેસ સિવાય બોલિવૂડ સ્ટાર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. તેની પાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘણા સ્ટાર્સ સાથેની તસવીરો અને વીડિયો છે.

વિકાસ માલુનું અંગત જીવન પણ ઘણું ગુંચવાડાભર્યું છે. તેની બીજી પત્નીએ આરોપ લગાવ્યો છે કે, બળાત્કાર બાદ વિકાસ માલુએ તેની સાથે બળજબરીથી લગ્ન કર્યા હતા. પત્નીએ તેના પતિ વિકાસ માલુ વિરુદ્ધ બળાત્કારની FIR નોંધાવી છે, જેની તપાસ ચાલી રહી છે. કેસ નોંધાયા બાદથી વિકાસ માલુ મોટાભાગે દુબઈમાં જ રહે છે. હોળીની પાર્ટી માટે દિલ્હી આવ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, હોળીના દિવસે (8 માર્ચ) મુંબઈથી આવેલા અભિનેતા સતીશ કૌશિક દિલ્હીમાં વિકાસ માલુના ફાર્મહાઉસ પર બપોરે આયોજિત પાર્ટીમાં સામેલ થયા હતા. આ પાર્ટીમાં ગુટખા કિંગ વિકાસ માલુ સહિત ઘણા મોટા બિલ્ડરો પણ હાજર રહ્યા હતા. સતીશ અને વિકાસ વચ્ચે છેલ્લા 30 વર્ષથી ગાઢ મિત્રતા હતી. બંને મિત્રો એકબીજાના નાના-મોટા કાર્યક્રમોમાં ભાગ લેતા.

રિપોર્ટ અનુસાર, અભિનેતા સતીશ કૌશિક તેના મિત્ર વિકાસ માલુના ઘરે A-5 પુષ્પાંજલિમાં રોકાયો હતો. પાર્ટીની રાત્રે, અભિનેતાને છાતીમાં દુખાવો થયો અને તેને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ થઈ ગયું. પોલીસનું કહેવું છે કે, અભિનેતાનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું.

સતીશ કૌશિકના મૃત્યુ બાદ વિકાસ માલુની પત્નીએ પોલીસને લખેલા પત્રથી સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. કારણ કે મહિલાએ પતિ વિકાસ પર સતીશ કૌશિકને ખોટી દવા ખવડાવવા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. ફરિયાદ મુજબ વિકાસ અને સતીશ વચ્ચે ઉધાર લીધેલા 15 કરોડને લઈને ઝઘડો થયો હતો. આવી સ્થિતિમાં મહિલાએ શંકા વ્યક્ત કરી અને કહ્યું કે, વિકાસે સતીશ કૌશિકને ખોટી દવા ખવડાવી હશે, જેથી તેને પૈસા ચૂકવવા ન પડે.

હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું સતીશ કૌશિક તેના બાકી પૈસા લેવા આવ્યા હતા કે, માત્ર હોળી પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા? હાલ પોલીસ હવે 15 કરોડની લોન, સતીશ કૌશિક અને વિકાસ માલુ વચ્ચેના ધંધાકીય સંબંધો અને પત્નીના આરોપો અંગે નવેસરથી તપાસ કરી રહી છે.

વિકાસ માલુ મોટાભાગે દુબઈમાં રહે છે અને હોળી પાર્ટી માટે ખાસ દિલ્હી આવ્યો હતો. તેમના પર લાગેલા આરોપો અંગે વિકાસ માલુએ પોતાની સ્પષ્ટતામાં લખ્યું છે કે, 'સતીશ જી 30 વર્ષથી મારા પરિવારનો હિસ્સો હતા અને દુનિયા સમક્ષ મારું નામ ખોટી રીતે રજૂ કરવામાં એક મિનિટ પણ નથી લાગી. હું કહેવા માંગુ છું કે, મુશ્કેલી ક્યારેય કહીને નથી આવતી અને ન તો તેના પર કોઈનું નિયંત્રણ છે. હજુ સુધી હું આ આઘાતમાંથી બહાર આવ્યો નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp