કંગના રણૌતને આંચકો, કોર્ટે જાવેદ અખ્તર સામે 'ખંડણી'નો કેસ ફગાવી દીધો
.jpg)
જાવેદ અખ્તર અને કંગના રણૌત વચ્ચેની કાનૂની લડાઈએ નવો વળાંક લીધો છે. એક તરફ જ્યારે કોર્ટે જાવેદ અખ્તરને સમન્સ મોકલીને 5 ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું છે, તો બીજી બાજુ તેની સામેના 'ખંડણી' સહિતના 4 આરોપોને ફગાવી દીધા છે. મંગળવારે, કોર્ટે કહ્યું હતું કે, ગીતકાર જાવેદ અખ્તર સામે ખંડણીનો કોઈ કેસ બનતો નથી. મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિને લેખિત માફી માંગવાનું કહેવું એ 'મૂલ્યવાન રક્ષણ' હેઠળ આવતું નથી, કારણ કે પોતાની સગવડતા અનુસાર કાનૂની અધિકાર ન તો બનાવી શકાય છે, ન તો તેને સ્થાનાંતરિત કરી શકાય.
કંગના રણૌતની જાવેદ અખ્તર સામેની ફરિયાદનો આ મામલો અભિનેતા રિતિક રોશન સાથેના જાહેર ઝઘડાની આસપાસ ફરે છે. અભિનેત્રીની અરજી અનુસાર, માર્ચ 2016માં જાવેદ અખ્તરે તેને અને તેની બહેન રંગોલી ચંદેલને પોતાના ઘરે બોલાવી અને માંગ કરી કે તે રિતિક રોશનની માફી માંગે. કંગનાએ અરજીમાં કહ્યું છે કે, રિતિક રોશન સાથેના તેના વિવાદને જાવેદ અખ્તર સાથે કોઈ લેવાદેવા નથી.
કંગનાએ તેના આરોપોમાં જણાવ્યું છે કે, આરોપી (જાવેદ અખ્તર)એ તેને અને તેની બહેનને માર્ચ 2016ના મહિનામાં જુહુ સ્થિત તેના ઘરે બોલાવ્યા અને ગુનાહિત ઈરાદાથી તેને ડરાવી અને ધમકાવી. તેમજ તેને બળજબરીથી તેના કો-સ્ટાર (રિતિક રોશન)ની લેખિતમાં માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે આવું એટલા માટે કર્યું કે તે સાથી કલાકારના સમર્થનમાં પેપર પ્રૂફ (મૂલ્યવાન સુરક્ષા) બનાવી શકે.
આ સિવાય કંગના રણૌતે જાવેદ અખ્તર પર પાયાવિહોણા નિવેદનો આપવા અને તેના નૈતિક ચારિત્ર્ય પર હુમલો કરવાનો, તેની ગરિમા અને પવિત્રતાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે, જાવેદ અખ્તરે ઈરાદાપૂર્વક તેના નમ્ર વ્યવહારનું અપમાન કર્યું હતું, તેના અંગત જીવનમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને કો-સ્ટાર સાથેના તેના અંગત સંબંધો પર ટિપ્પણી કરી હતી.
આ વર્ષની શરૂઆતમાં કંગના રણૌતે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું હતું. આમાં તેણે 2021માં એક ઇન્ટરવ્યુમાં અગાઉ જે કહ્યું હતું તેને પુનરાવર્તિત કર્યું. આ ઈન્ટરવ્યુના આધારે જાવેદ અખ્તરે કંગના રણૌત વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. કંગનાની બહેન રંગોલીએ પણ જાવેદ અખ્તરની વાતચીત અંગે અભિનેતા દ્વારા કરાયેલા દાવાને સમર્થન આપતા કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું હતું.
મંગળવારે, દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, મેજિસ્ટ્રેટ R.M. શેખ એ નિષ્કર્ષ પર આવ્યા કે, કંગના રણૌત દ્વારા કરવામાં આવેલા છ આરોપોમાંથી, ફક્ત બે પર આગળની કાર્યવાહીની જરૂર છે. પરિણામે, મેજિસ્ટ્રેટે જાવેદ અખ્તરને ગુનાહિત ધાકધમકી અને મહિલાની નમ્રતાનું અપમાન કરવાના આરોપસર સમન્સ મોકલ્યું હતું. ગીતકારને 5 ઓગસ્ટે અંધેરી કોર્ટમાં હાજર થવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp