26th January selfie contest

અમદાવાદમાં આગ દુર્ઘટનામાં બહાદુરી દેખાડનાર 6 વર્ષની વીરાંગનાને મળશે નેશનલ એવોર્ડ

PC: shikshanews.com

‘જેવુ નામ તેવું કામ’ આ કહેતા તો તમે ઘણા લોકોને સાંભળ્યા જ હશે, પરંતુ અમદાવાદની એક 6 વર્ષની દીકરીએ આ કહેવત સાર્થક કરી બતાવી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતી 6 વર્ષની દીકરી ‘વીરાંગના ઝાલા’એ આગની દુર્ઘટનામાં બહાદુરી દેખાડવા બદલ 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં નેશનલ બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બોડકદેવમાં રહેતી વીરાંગના ઝાલાના ઘરમાં ભૂતકાળમાં તણખો ઊડ્યા બાદ આગ લાગવાની ઘટના બની હતી એ વખત 6 વર્ષની વીરાંગનાએ સમયસૂચકતા દેખાડીને આગની ઘટના પોતાના માતા-પિતાને જાણ કરી હતી.

તે ઉપરાંત આડોશ-પાડોશમાં રહેતા લોકોને તેની જાણ કરીને આખી બિલ્ડિંગ ખાલી કરાવી હતી. 6 વર્ષીય વીરાંગનાએ દેખાડેલી આ બહાદુરીના કારણે 60 કરતા વધુ લોકોના જીવ બચી ગયા હતા. એટલે જ તેને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઘટના 7 ઑગસ્ટ 2022ની છે. આ દિવસે પાર્ક વ્યૂ અપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના થઇ હતી. પહેલા ધોરણમાં ભણતી વીરાંગના ટી.વી. જોવા માટે બેઠી અને જેવો જ તેને રિમોટ પ્રેસ કર્યો, તેની સાથે જ તેમાંથી એક આગને તણખો નીકળ્યો, જેથી આગ લાગી ગઇ હતી.

જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જો કે વીરાંગના આ આગને પહોંચીવળવા ખૂબ નાની હતી, જેની જગ્યાએ કોઇ બીજું જોઇ છોકરું હોત તો ડરી જતું, પરંતુ વીરાંગનાએ બહાદુરી દેખાડી. તેણે આસપાસના લોકોને આગ લાગવાની ઘટનાની જાણ કરી જેના કારણે જાનહાનિ થતા બચી ગઇ હતી. બ્રેવરી એવોર્ડ માટે બાળકોના નામની ભલામણ કરનાર ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચિલ્ડ્રન વેલફેર સંસ્થા (ICCW) સુધી વીરાંગનાની બહાદુરીની વાત પહોંચી હતી.

ત્યારબાદ બ્રેવરી એવોર્ડ માટે વીરાંગના ઝાલાનું નામ મોકલવા આ સંસ્થાએ તેના માતા-પિતા સાથે સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વીરાંગના પોતાના પરિવારમાંથી પહેલી વ્યક્તિ નથી કે જેને નેશનલ એવોર્ડ મળશે. NCC કેડેટ રહી ચૂકેલા તેના દાદા કૃષ્ણકુમાર સિંહ ઝાલાને પણ ‘ઓલ ઇન્ડિયા બેસ્ટ કેડેટ જુનિયર’નો એવોર્ડ મળી ચૂક્યો છે. તેના દાદાને વર્ષ 1969ના પ્રજાસત્તાક દિવસના અવસર પર તાત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એનાયત કર્યો હતો.

દાદાની જેમ જ વીરાંગનાએ પણ નેશનલ એવોર્ડ જીતીને પરિવારનું નામ રોશન કર્યું છે. દર વર્ષે 18 વર્ષથી નીચેના 25 ભારતીય બાળકોને તેમના અદમ્ય સાહસ બદલ નેશનલ બ્રેવરી એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 1957મા ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરે મુશ્કેલ પરિસ્થિતિમાં સરાહનીય બહાદુરી દેખાડનાર બાળકોને સન્માનિત કરવા અને આ બાળકોથી અન્ય બાળકો પણ પ્રેરણા લે તે હેતુથી એવોર્ડની શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp