'હું મારા પતિથી કંટાળી ગઇ છું, હવે મારાથી સહન થાય એમ નથી.આથી મેં ઝેર પી લીધુ છે'

PC: twitter.com

પાટણ ખાતે પરિવારની વિરુદ્ધમાં જઇને પ્રેમલગ્ન કર્યા બાદ પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને મોતને વહાલું કરી દીધું છે. રિપોર્ટ મુજબ સાસરિયાઓએ લગ્નના અમુક મહિના આ પરિણીતા સાથે સારું રાખ્યું હતું. ત્યાર બાદ તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે, આ સમગ્ર મામલે પરિણીતાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. પરિણીતાએ પોતે પોતાના પરિવારની વિરુદ્ધમાં જઈને પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે તે પિયરમાં પણ કઈં ખાસ કહી શકતી નહીં હતી. જે દરમ્યાન આ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, એ પછી તો આ પરિણીતાના પતિએ તેને હેરાન કરવાની હદ વટાવી હતી. આથી અંતે આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેર પીઇને જીવન ટૂકાવ્યું હતું. જો કે, આ સમગ્ર ઘટના બન્યા બાદ પરિણીતાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જ્યાં આ પરિણીતાએ તેની માતાને આવું પગલું તેણે કયા કારણોસર ભર્યું તે જણાવતાં કહ્યું હતું કે, 'હું મારા પતિથી કંટાળી ગઇ છું, હવે મારાથી સહન થાય એમ નથી.. આથી મેં ઝેર પીઇ લીધું છે.' જે બાદ પરિણીતાની માતા પોતાના ઘરે પરત ફરી હતી. જે બાદ દીકરીની તબિયત વધુ બગડી હોવાથી તેને ધારપુર ખાતે ખસેડવામાં આવી હોવાના સમાચાર મળતા તે ફરી હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ તે ત્યાં પહોંચે ત્યાં સુધીમાં દીકરીનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. આથી આ પરિણીતાની માતાએ દીકરીને આ પગલું ભરવા માટે તેના જમાઈએ મજબૂર કરી હોવાનો આક્ષેપ લગાવીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક પરિણીતાની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાર વર્ષ અગાઉ પાટણ શહેરના મોટીસરા, પીઇપળાગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે તેમની દીકરી હીનાએ પરિવારની વિરુદ્ધમાં જઇને પ્રેમલગ્ન કર્યાં હતાં. બંને પરિવાર વચ્ચે પ્રેમલગ્ન બાદ અણબનાવ હતો. બંને પરિવાર વચ્ચે એકબીજા સાથે બોલવાના સંબંધ નહીં હોવાથી તેમની દીકરીને સાસરિયામાં મેણાટોણા મારવામાં આવતા હતાં તેમજ તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. જે દરમ્યાન હીનાએ પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, પુત્રના જન્મ બાદ આ બંને પરિવાર વચ્ચે સમાધાન થઇ ગયું હતું.

વધુમાં મૃતક પરિણીતાની માતાએ જણાવ્યું કે, સંજયે પુત્રના જન્મ બાદ કામધંધો બંધ કરી રખડપટ્ટી કરવાનું શરૂ કરી દીધું હતું, આ કારણોસર ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાને કારણે એક ખાનગી ગાયનેક હોસ્પિટલમાં મારી દીકરીએ નોકરી શરૂ કરી હતી. જે દરમ્યાન મારી દીકરીને નોકરી પરથી જો આવવા-જવામાં વહેલા-મોડું થાય અથવા કોઈ કારણોસર મારી દિકરી ફોન નહીં ઉપાડે તો જમાઇ સંજય તેના પર શંકા કરીને તેની સાથે મારઝૂડ કરતો હતો. જો કે, આ બાબતે ઘણીવાર ઘરે આવીને પણ હીનાએ કહ્યું હતું પણ એનો સંસાર નહીં બગડે તેમજ તેના પુત્રનું ભવિષ્ય નહીં બગડે તેવું વિચારી અમે હીનાને સમજાવતા હતા અને તેને દિલાસો આપતા હતા. જો કે, આવું ઘણીવાર થયું છે.

આ બાબતે વધુ જણાવતા પરિણીતાની માતાએ કહ્યું કે, ગયા વર્ષે સંજયે હીના સાથે વધારે પડતી મારઝૂડ કરતાં તે પિયર આવી ગઇ હતી અને અમે ભરણપોષણની જમાઇ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સંજયે ઘરે આવીને આજીજી કરતાં અંતે સમાધાન કર્યુ હતું. ત્યારબાદ થોડો સમય સારું રાખ્યા બાદ ફરી હતું એનું એ જ થવા લાગ્યું હતું, પણ મારી દીકરી મૂંગા મોઢે બઘુ સહન કરતી હતી. જો કે, આ દરમ્યાન ગઇકાલે જમાઇનો મારા પર ફોન આવ્યો હતો કે, તમારી દીકરી બીમાર થઇ છે તમારું એક્ટિવા આપો એને હોસ્પિટલ લઇ જવી છે. આથી એક્ટિવા આપવા મેં છોકરાને મોકલ્યો હતો અને હું પણ બાદમાં હોસ્પિટલ ગઇ હતી. જ્યાં મારી દીકરીએ મને જણાવ્યું કે, 'હું મારા પતિથી કંટાળી ગઇ છું, હવે મારાથી સહન થાય એમ નથી.. તેથી મેં ઝેર પીઇ લીધું છે.'

જો કે, ત્યારબાદ હું ઘરે પરત ફરી હતી. જો કે, હું ઘરે આવી ત્યારબાદ ફરી મારા પર જમાઇનો ફોન આવ્યો હતો કે હીનાની તબિયત વધારે ખરાબ થઇ હોવાથી તેને ધારપુર સિવિલ લઇ ગયા છે. આથી હું ધારપુર સિવિલ પહોંચી હતી. જ્યાં મારી દીકરી બેભાન હાલતમાં હતી જો કે, બાદમાં તે મૃત્યુ પામી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું... આથી આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવનાર પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાના આક્ષેપ સાથે જમાઇ સંજય સોલંકી વિરુદ્ધ પરિણીતાની માતાએ ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp