- Central Gujarat
- ગુજરાતના ભાજપ નેતાની ગુંડાગર્દી, ટોલનાકાના કર્મચારીને માર્યો, કાચ તોડી નાંખ્યા
ગુજરાતના ભાજપ નેતાની ગુંડાગર્દી, ટોલનાકાના કર્મચારીને માર્યો, કાચ તોડી નાંખ્યા
ભાજપના એક નેતાની ખુલ્લેઆમ ગુંડાગર્દી સામે આવી છે. નેતાના કોઇ ઓળખીતાની કારને ટોલનાકા પર રોકવામાં આવી એ વાતની ખબર પડી તો ગુસ્સે ભરાયેલા ભાજપ નેતાએ ટોલ નાકા પર જઇને તોડફોડ કરવાની સાથે કર્મચારીને પણ માર માર્યો હતો. ટોલનાકા પરની તોડફોડ અને ભાજપ નેતાની દાદાગીરી CCTVમાં કેદ થઇ ગઇ છે. ટોલનાકાના કર્મચારીએ ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાવી છે.
વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઇવે 48 પર કરજણ પાસે ભરથાણ ટોલનાકા આવેલું છે. ટોલબૂથ 22 પર પૃથ્વીરાજ સિંહ ગોહિલ ફરજ પર હાજર હતો ત્યારે શનિવારે રાત્રે વડોદરાથી ભરૂચ તરફ જતી એક કાર નંબર GJ 16 C N5268 આ બૂથ પરથ પસાર થઇ રહી હતી. પૃથ્વીરાજે નિયમ મુજબ કાર ચાલક પાસેથી ટોલ પેટે 210 રૂપિયા માંગ્યા હતા. કાર ચાલકે ટોલના પૈસા આપવાના બદલે કર્મચારીને કહ્યું કે , લો, ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ પ્રણવસિંહ અટાલિયા સાથે ફોન પર વાત કરો.

પૃથ્વીરાજે પ્રણવસિંહ અટાલિયા સાથે વાત કરી તો ભાજપ નેતા પ્રણવે કર્મચારી પૃથ્વીરાજને ધમકી આપી હતી કે તું મને ઓળખતો નથી, તું ત્યા જ રહેજે, હું હમણાં આવું છું. ટોલનાકાના કર્મચારી પૃથ્વીસિંહે એ પછી પોતાના મેનેજર સાથે વાત કરીને કારને ટોલ ભર્યા વગર જવા દીધી હતી. એ પછી થોડીવારમાં ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ પ્રણવસિંહ તેના ભાઇ સાથે ભરથાણા ટોલનાકા પર પહોંચી ગયો હતો અને બેરીકેટ તોડી નાંખ્યું હતું અને પૃથ્વીસિંહ ગોહિલને માર માર્યો હતો. બૂથના કાચ પણ તોડી નાંખ્યા હતા અને પૃથ્વીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

ટોલનાકાના કર્મચારી પૃથ્વીસિંહ ગોહિલ કરજણ પોલીસ સ્ટેશનમાં કરજણ ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ પ્રણવસિંહ અટાલિયા અને તેના ભાઇ જયવીરસિંહ અટાલિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
જાણવા મળેલી માહિતી મુજબ ભાજપના યુવા મોર્ચાની ગુંડાગર્દી પહેલીવાર સામે નથી આવી. અગાઉ પણ ભાજપના એક કાર્યક્રમ પછી ખુલ્લેઆમ મારામારી કરી હતી.

ભરથાણા ટોલનાકાના કર્મચારી પૃથ્વીસિંહ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું છે કે, ટોલનાકા પર એક કાર આવી હતી જેની પાસે ટોલ ટેક્સ માંગતા તેમણે ટેક્સ આપવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યુ હતું કે ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ સાથે ફોન પર વાત કરી લો. પ્રણવિસિંહે ફોન પર કહ્યું હતું કે, તુ મને ઓળખતો નથી, મારી કારને કેમ રોકે છે? પ્રણવસિંહના ફોન પછી કારને ટોલ ભર્યા વગર જવા દેવામાં આવી હતી, પરંતુ થોડી વારમાં પાંચેક જણાએ ટોલ પર આવીને મને માર માર્યો હતો.

