- Central Gujarat
- USથી પરત ફરેલા દાદા-દાદીએ ભત્રીજાને મેસેજ કર્યા બાદ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
USથી પરત ફરેલા દાદા-દાદીએ ભત્રીજાને મેસેજ કર્યા બાદ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
અમદાવાદના મકરબા અંડરપાસ પાસે આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતીએ પોતાના હાથ અને ગળાના ભાગે છરા વડે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં 69 વર્ષીય મહિલાનું મોત થઇ ગયું છે, જ્યારે 73 વર્ષીય દાદાને ગંભીર હાલતમાં ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણકારી મળતા સરખેજ પોલીસે હાલ આ બનાવ પાછળનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે FSL અને અન્ય એક્સપર્ટ પાસેથી અભિપ્રાય જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
અમદાવાદના કોર્પોરેટ રોડ નજીક મકરબા અંડરપાસ પાસે આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા નામના બિલ્ડિંગમાં આજે વહેલી સવારે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતા પોલીસ બનાવવાના સ્થળે પહોંચી હતી, જ્યાં અપાર્ટમેન્ટના B બ્લોકના સાતમા માળે રહેતા કિરણભાઈ અને તેની પત્ની ઉષાબેન લોહીથી લથબથ હાલતમાં પડ્યા હતા. પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

આ અંગે તપાસ કરવામાં આવતા ઉષાબેન કિરણભાઈ ભાઉ (ઉંમર 69 વર્ષ)નું મોત થયું હતું, જ્યારે બીજી તરફ તેનો પતિ કિરણભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. તેને સારવાર માટે SG હાઇવેની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ચાવડાએ એક અખબારને જણાવ્યું હતું કે, વૃદ્ધ દંપતીએ પોતાના ગળા અને હાથના ભાગે છરા વડે ઇજા પહોંચાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે તેના પતિને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે બંનેએ પોતાના ભત્રીજાને એક મેસેજ કરીને પોતે સુસાઇડ કરે છે એવી જાણ કરી હતી. હાલમાં આત્મહત્યા પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. આ બનાવ મામલે જાણકારોએ જણાવ્યું હતું કે, વૃદ્ધ દંપતી પહેલાં અમેરિકા રહેતું હતું. ત્યારબાદ તેઓ થોડા સમય પહેલાં પ્રહલાદનગર રહેવા આવ્યાં હતા અને ચાર મહિનાથી ઓર્ચિડ એક્ઝોટિકામાં રહેતા હતા. બંને દાદા-દાદી એકલાં રહેતા હતા. તેમના પરિવારમાં હાલ કોણ છે? એ હજી જાણી શકાયું નથી.

તો અમદાવાદના બાપુનગર અને દાણીલીમડા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની બે ઘટનાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બાપુનગર વિસ્તારમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. જ્યારે દાણીલીમડામાં ઝઘડાનું સમાધાન કરાવવા માટે વચ્ચે પડેલા યુવક પર બે શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. બાપુનગર વિસ્તારમાં આવેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનમાં રહેતા અને ગેરેજ ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા સમીર ખાન પઠાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં આસફ કોશરઅલી, તૌસીફ કોશરઅલી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે.

થોડા દિવસ અગાઉ સમીર ખાનનો ભાઇ મોઇન ઘર બહાર નીકળ્યો હતો ત્યારે રાતના 12:30 વાગ્યાની આસપાસ મોઇનનો ભાઇ સલમાન ઉર્ફે કાલિયો આવ્યો હતો અને સમીર ખાનને કહ્યું હતું કે મોઇન ખાનનો ઝઘડો થયો છે અને તેને સારવાર માટે હૉસ્પિટલ લઇ ગયા છે.

