ટેક્સીમાં બેસીને જવાનું હતું USA, ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખ લીધા હતા

PC: iamgujarat.com

અમેરિકામાં સ્થાયી થવા માટે મહેસાણાના માણેકપુરાના ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખની રકમ ઉઘરાવી હતી અને પછી આ રકમ વિદેશ મોકલતા એજન્ટોને આપી હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે, પરિવારને ટેક્સીમાં સડક માર્ગે અમેરિકા લઈ જવામાં આવશે, પરંતુ એવું બન્યું નહીં. એજન્ટોના ફંદામાં ફસાયેલો પરિવાર કેનેડા પહોંચ્યો હતો અને એજન્ટો દ્વારા તેમને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી જતાં સમગ્ર ચૌધરી પરિવાર મૃત્યુ પામ્યો હતો. ચૌધરી પરિવારના મૃત્યુના એક મહિના બાદ પોલીસે ત્રણ એજન્ટો સામે ગુનો નોંધ્યો છે.

કેનેડામાં માર્યા ગયેલા પ્રવીણ ચૌધરીના પરિવારના નાના ભાઈ અશ્વિન ચૌધરીએ પોલીસ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવીણ ચૌધરી તેના પરિવાર સાથે 3 ફેબ્રુઆરીના રોજ ટુરિસ્ટ વિઝા પર કેનેડા ફરવા ગયો હતો. જ્યારે નિકુલ સિંહને ચૌધરી પરિવારના કેનેડા જવાની ખબર પડી, તો તેણે કહ્યું કે જો તેઓ અમેરિકા જવા માંગતા હોય તો તેઓ તેમને મોકલી દેશે. આ માટે વ્યક્તિ દીઠ 15 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પ્રવીણ ચૌધરીએ તેના સંબંધીઓ અને સોનું ગીરો મૂકીને નિકુલ સિંહને 60 લાખ રૂપિયા આપ્યા હતા. ટેક્સીને બદલે ચૌધરી પરિવારને ખોટી રીતે બોટ મારફતે અમેરિકા મોકલવામાં આવ્યો હતો જે બોટ ડૂબી ગઈ હતી અને 30-31 માર્ચના રોજ ચૌધરી પરિવારનું મૃત્યુ થયું હતું. અશ્વિન ચૌધરીના મોટા ભાઈ પ્રવિણ ચૌધરી (50), તેની પત્ની દક્ષાબેન (45), પુત્રી વિધિ (23) અને પુત્ર મીત (20) કેનેડા-US બોર્ડર પર સેન્ટ લોરેન્સ નદીમાં તેમની બોટ પલટી જતા ઘટનામાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. બોટ ખીચોખીચ ભરેલી હોવાનું પણ બહાર આવ્યું હતું.

ફરિયાદી ચૌધરીએ દાવો કર્યો છે કે, પ્રવીણભાઈએ બોટમાં બેસવાની ના પાડી હતી. આ પછી પણ તેઓને મજબુર કરવામાં આવ્યા હતા. અશ્વિનની વાત માનીએ તો તેમણે પોતે જ આ વાત કહી હતી. 3-4 એપ્રિલે જ્યારે મીડિયામાં અકસ્માતના સમાચાર આવ્યા ત્યારે મહેસાણામાં હાજર પરિવારજનોને તેની જાણ થઈ હતી. અશ્વિન ચૌધરીની ફરિયાદ પર પોલીસે વિજાપુર તાલુકાના વડાસણ ગામના રહેવાસી એજન્ટ નિકુલ સિંહ વિહોલ અને હાલ કેનેડાના રહેવાસી સચિન વિહોલ તથા દધીયાલ (મણિનગર) ગામનો રહેવાસી અર્જુન સિંહ ચાવડા (સચિનનો સાળો) વિરુદ્ધ FIR દાખલ કરી છે. તેમની વિરુદ્ધ IPCની કલમ 304 (હત્યાનો ઈરાદો ન હોય તેવા દોષી, માનવહત્યા), 406 (વિશ્વાસઘાત), 420 (છેતરપિંડી), 120B (ગુનાહિત કાવતરું) હેઠળ FIR નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp