સુરતના એક બિલ્ડિંગમાં ચોથા માળે લાગેલી આગમાં એક યુવાને ખરેખર હીરો જેવું કામ કર્યું છે. કેતન જોરવાડિયા નામના યુવાને પોતાના જીવની પરવા કર્યા વગર સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા હતા.
તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનાને નજરે જોનાર કેતન જોરવાડીયા નામનો યુવાન બીજો લોકોની જેમ ભીડનો હિસ્સો બનીને રહી શક્યો ન હતો. તેને ઉપર ફંસાયેલા વિદ્યાર્થીઓની ચિંતા હતી. તે પળનો પણ વિલંબ કર્યા વગર પાળીના સહારે ચોથા માળે ચઢી ગયો હતો અને ગભરાયેલા બાળકોને પોતાના જીવના જોખમે નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. કેતને કરેલી કામગીરીની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. બીજી તરફ ભાજપના માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા પણ ઘટના વખતે ત્યાંથી પસાર થતા હતા તેમણે લોકોને ભેગા કરીને ઉપરથી કુદી રહેલા બાળકોને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. છતા કેટલાંક બાળકો ઇજા પામ્યા હતા.એક જ એમ્બ્યુલન્સ હોવાને કારણે પાનસેરિયાએ પોતાની ઇનોવાને એમ્બ્યુલન્સમાં ફેરવીને બાળકોને હોસ્પિટલ પહોંચાડયા હતા.