રાહુલ માનહાનિ કેસમાં એડવોકેટ સિંઘવીએ સુનાવણી વખતે સિદ્ધુનો ઉલ્લેખ કર્યો, કેમ?

PC: indiatimes.com

મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજાની સામે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. રાહુલ ગાંધી તરફથી કોંગ્રેસ નેતા અને એડવોકેટ અભિષેક મનુ સિંઘવી રજૂ થયા છે અને દલીલ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સુરત કોર્ટના ચુકાદાને પહેલા સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે.

રાહુલ ગાંધીની અપીલ પર જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની કોર્ટમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દલીલ કરી રહ્યા છે. કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રાખતા સિંઘવીએ સજા પર રોક લગાવવાની માંગ કરી છે. સિંઘવીએ કહ્યું કે જ્યારે નવજોત સિંહ સિદ્ધુને સજા પર સ્ટે મળી શકે છે તો રાહુલ ગાંધીને કેમ નહીં? લગભગ દોઢ કલાક લાંબી દલીલો દરમિયાન સિંઘવીએ સુરત કોર્ટે આપેલી સજા પર સવાલો ઉઠાવ્યા હતા. સિંઘવીએ કોર્ટમાં કેટલાંક રેફરન્સ પણ રજૂ કર્યા હતા. હાઈકોર્ટમાં અપીલની સુનાવણી દરમિયાન અરજદાર પૂર્ણેશ મોદી વતી દલીલો રજૂ થવાની અપેક્ષા છે.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે રાહુલ ગાંધીને પ્રથમ વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા ત્યારે પ્રથમદર્શી મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. બેઠકમાં પૂર્ણેશ મોદી પણ હાજર ન હતા, પૂર્ણેશ મોદીએ તે વખતે કહ્યુ હતું કે કોઇકે મને વ્હોટસેપ પર ક્લીપ મોકલી, પરંતુ ક્લીપ કોણે મોકલી તે વિશે જણાવ્યું નહોતું.

રાહુલ ગાંધીના એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સુરત કોર્ટનો નિર્ણય વિકૃત છે. અમે દોષિત ઠેરવવા પર રોક લગાવવાની માંગ કરી રહ્યા છીએ. અભિષેક મનુ સિંઘવીએ નવજોત સિંહ સિદ્ધુના કેસને ટાંકીને કહ્યું કે 302 અને 307 હેઠળ નવજોત સિંહ સિદ્ધુને દોષિત ઠેરવવા પર સ્ટે પણ મળી ગયો હતો.

એડવોકેટ સિંઘવીએ દલીલ કરી હતી કે ભાષણના મામલે ત્રણ શક્યતાઓ હશે. શક્યતા નંબર એક, મેં જાતે ભાષણ સાંભળ્યું અને હું ત્યાં હતો તેથી હું ફરિયાદ નોંધાવી રહ્યો છું. બીજું એ હોઈ શકે કે પત્રકાર સામેલ હોય અને ન્યૂઝ ફાઇલ કરે, તે સાક્ષી આપી શકે. અથવા છેવટે, કાર્યક્રમમાંમાં હાજરી આપનાર અન્ય કોઈ વ્યક્તિ ભાષણને પ્રમાણિત કરી શકે છે. આ કેસમાં હાજર કોઈ પણ સાક્ષી ઉપરોક્ત ત્રણ કેટેગરીના નથી.

આ પછી સિંઘવીએ ટ્રાયલ કોર્ટની સુનાવણી, પુરાવાની રજૂઆત અને કેસના વલણ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સિંઘવીએ મોદી સમુદાય વિશે પણ કહ્યું કે તેમણે 13 કરોડનો દાવો કર્યો છે, જ્યારે એવું નથી. સિંઘવીએ તેમના ઈલેક્ટ્રોનિક પુરાવાની પ્રામાણિકતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા જે મોડેથી રજૂ કરવામાં આવ્યા હતા.

સુરત કોર્ટના ચુકાદાને પહેલા રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સેશન્સ કોર્ટ નીચલી અદાલતનો ચુકાદો યથાવત રાખ્યો હતો અને રાહુલની અપીલ રદ કરી હતી. એ પછી રાહુલ ગાંધીએ આ બંને ચુકાદાને પડકારવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પહેલા જજ ગીતા ગોપીની કોર્ટમાં સુનાવણી માટે ગઇ હતી, પરંતુ જસ્ટિસ ગીતા ગોપીએ Not Before Me એવી નોંધ મુકીને આ કેસથી પોતાને અલગ રાખવાનો નિર્ણય લીધો હતો. એ પછી રાહુલ ગાંધીના કેસની સુનાવણી માટે સિંગલ બેંચ નક્કી કરવામાં આવી. હવે રાહુલ ગાંધીનો માનહાનિ કેસ ન્યાયાધીશ હેંમત પ્રચ્છકની કોર્ટમાં નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp