સાવરકુંડલામાં યુવકની અંતિમ ક્રિયા પછી હવે પોલીસે કેમ મૃતદેહ બહાર કાઢ્યો?

સાવરકુંડવાના બગોયા ગામમાં 10 દિવસ પહેલાં અરવિંદ પરમાર નામના યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. તે વખતે આત્મહત્યા માનીને પોલીસે પરિવારને લાશ સોંપી દીધી હતી અને અંતિમ વિધી કરી દેવામાં આવ્યા હતા. જો કે એ પછી યુવકનો એક વીડિયો અને ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે.વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ પરમારની હત્યા થઇ હોવાનો દાવો કર્યો હતો અને અમરેલીના SP પર આરોપ લગાવ્યા છે. પોલીસે અરવિંદની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી છે. અરવિંદની આત્મહત્યા કે હત્યા તે વિશેનું કોંકડું હજુ ગુંચવાયેલું છે.
મૃતક અરવિંદ પરમાર બીજો ફોટામાં તેનોા મોટાભાઇ
જિગ્નેશ મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સાવરકુંડલાના દલિત વ્યકિત અરવિંદ પરમારના મોત માટે પોલીસની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે પછી પોલીસે દફન કરવામાં આવેલા અરવિંદના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
સાવરકુંડલાના બગોયામાં રહેતા અરવિંદ પરમારની 21 જુલાઇએ સીમમાંથી લાશ મળી હતી. તે વખતે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. અરવિંદ પરમારના મોત બાદ તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અરવિંદ પરમાર પોતાના પર જાનનું જોખમ હોવાનું કહી રહ્યો હતો. આ વીડિયો વાયરલ થયા પછી જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અરવિંદ પરમારે અગાઉથી પોલીસને જાણ કરી હતી કે મારી હત્યા થઇ શકે છે તેમ છતા પોલીસે પ્રોટેક્શન આપ્યું નહોતું. જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, અમરેલાની SPને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે.
અરવિંદનો વીડિયો ઉપરાંત એક ઓડયો પણ વાયરલ થયો છે, જેમાં તે અમરેલીના SP હિમકર સિંહ સાથે વાત કરે છે. અરવિંદ SPને કહે છે કે મારી હત્યા થઇ શકે છે, પ્લીઝ કઇંક કરો. SP કહે છે કે, તમે પોલીસ સ્ટેશન પહોંચો અથવા 100 નંબર ડાયલ કરો. અરવિંદની લાશ મળી અને પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા વગર પરિવારને લાશ સોંપી દીધી હતી.
ધારાસભ્ય મેવાણીના આરોપ પછી પ્રાંત કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી, મામલતદાર,,Dy SPની હાજરીમાં અરવિંદના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
સાવરકુંડલાના પ્રાંત કલેક્ટર ધારાબેન ભાલાળાએ કહ્યું હતું કે, પંચોની હાજરીમાં મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જો કે, અરવિંદ પરમારના પરિવારે હજુ સુધી કોઇ ફરિયાદ કરી નથી.
પોલીસનું કહેવું છે કે અમે પરિવારને પોસ્ટમોર્ટમ માટે સમજાવ્યા હતા, પરંતુ તેમણે દફન વિધી કરી નાંખી હતી.
અમરેલીના SP હિમકર સિંહે મીડિયા સાથેની વાતચીતમા કહ્યુ હતું કે આ ઓડિયો ક્લીપ એક વર્ષ પહેલાંની છે અને અધૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp