દીકરો જોઈએ છે, તો આ દિવસે સેક્સ કરવાની કીર્તનકારે આપી સલાહ, કેસ દાખલ

મરાઠી કીર્તનકાર કાશીનાથ દેશમુખ ઇંદુરીકર વિરુદ્ધ કેસને બોમ્બે હાઈકોર્ટે રદ્દ કરવાથી ઇન્કાર કરી દીધો છે. કાશીનાથ ઇંદુરીકર વિરુદ્ધ નિર્ણય સંભળાવતા કોર્ટે કહ્યું કે, ગર્ભ ધારણ કરવા અને નર ભ્રૂણની ઓળખ કરવાની ટેકનિકો પર ધાર્મિક પ્રવચન આપવું પહેલી નજરમાં લિંગ-નિર્ધારણ PCPNDT (પ્રી-કંસેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ) એક્ટ અંતર્ગત એક અપરાધ છે. દેશમુખે કથિતરીતે છોકરાની ઇચ્છા રાખનારા દંપત્તિને બેકી તારીખો પર સેક્સ કરવા માટે કહ્યું હતું. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે આ ટિપ્પણી કરતા મરાઠી કીર્તનકાર નિવૃત્તિ કાશીનાથ દેશમુખ ઇંદુરીકર વિરુદ્ધ દાખલ કેસને રદ્દ કરવાથી ઇન્કાર કરી દીધો કે ગર્ભધારણ કરવા અને બાળકનું લિંગ નક્કી કરવા માટે ધાર્મિક પ્રવચન આપવુ કાયદાકીયરીતે અપરાધ છે.
વર્ષ 2020માં અહમદનગરમાં એક પ્રવચન દરમિયાન ગર્ભમાં આવનારા બાળકના લિંગની ઓળખ કરવાની રીત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, બેકી તારીખો પર સંબંધ બનાવવાથી છોકરાનો જન્મ થાય છે જ્યારે એકી તારીખો પર સંબંધ બનાવવાથી છોકરી પેદા થાય છે. તેણે તેની પાછળ તર્ક પણ આપ્યો હતો કે છ મહિના બાદ જો ગર્ભમાં ભ્રૂણ જમણી તરફ ફરે તો તે છોકરો હોય છે અને જો તે ડાબી તરફ ફરે તો તે છોકરી હોય છે. દેશમુખે કથિતરીતે ધાર્મિક પુસ્તકોની સાથોસાથ આયુર્વેદના પુસ્તકોના કેટલાક અંશોનો હવાલો આપ્યો. આ ભાષણ યૂટ્યૂબ પર પણ અપલોડ કરવામાં આવ્યું હતું.
આ પ્રવચન પર અંધશ્રદ્ધા વિરોધી સંગઠન અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ કીર્તનકાર વિરુદ્ધ સંગમનેર સેશન કોર્ટમાં ફરિયાદ કરી. તેમા કહેવામાં આવ્યું કે, આ પ્રકારની સલાહ આપવાથી લોકોમાં અંધવિશ્વાસ ફેલાય છે. આથી, સલાહ આપનારને સજા મળવી જોઈએ. ફરિયાદની સાથે જ અહમદનગર જિલ્લા હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર માધવરાવ ભાવરનો રિપોર્ટ પણ લગાવ્યો જેમા કહેવામાં આવ્યું હતું કે, મેડિકલ સાયન્સ કીર્તનકાર દેશમુખની સલાહની પુષ્ટિ નથી કરતું. અરજીકર્તાએ કીર્તનકાર વિરુદ્ધ PCPNDT એક્ટ 1994 અંતર્ગત કેસ દાખલ કરવાની માંગ કરી. 3 જુલાઈએ કેસ દાખલ કરી લેવામાં આવ્યો.
સેશન કોર્ટમાં તેના પર સુનાવણી થઈ હતી પરંતુ, કોર્ટે કેસ રદ્દ કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, કીર્તનકાર દેશમુખે લેબોરેટરી અથવા લિંગ તપાસ કેન્દ્રનો ક્યાંય ઉલ્લેખ ના કર્યો આથી તેની વિરુદ્ધ PCPNDT એક્ટમાં કેસ નથી બનતો. ત્યારબાદ આ નિર્ણય વિરુદ્ધ સમિતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, દેશમુખના પ્રવચનમાં આપવામાં આવેલી સલાહ એવી છે જેમકે કોઈ જાહેરાત એજન્સી ભ્રૂણ લિંગની ઓળખ કરવાની રીત જણાવી રહ્યા છે. જાહેરાત અથવા પ્રચાર શબ્દ માત્ર ડાયગ્નોસ્ટિક સેન્ટર અથવા ક્લિનિક સુધી સીમિત ના કરી શકાય. આવા પ્રવચન જે ભ્રૂણ લિંગની જાણકારી આપે છે, તે પણ તેમા સામેલ છે. આથી કીર્તનકાર દેશમુખ વિરુદ્ધ કેસ ચલાવવો જોઈએ. કીર્તનકારના વકીલે આયુર્વેદના ઘણા પુસ્તકોનો હવાલો આપ્યો હતો પરંતુ, કોર્ટે તેની તમામ દલીલો ફગાવી કરી દીધી હતી.
51 વર્ષીય કાશીનાથ દેશમુખ પોતાને એક સામાજિક શિક્ષક ગણાવે છે. તે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના એક નાનકડા ગામ ઇંદુરીથી આવે છે આથી તેના નામમાં ઇંદુરીકર પણ જોડાયેલુ છે. તેણે બીએડનો અભ્યાસ કર્યો છે. ઇંદુરીકર પોતાની મજાકિયા શૈલીમાં પ્રવચન માટે જાણીતો છે. તેને ઓળખનારા કહે છે કે, ઇંદુરીકર મહારાજ ગ્રામજનોને ઓળખે છે. તે ગ્રામીણો સાથે એવી ભાષામાં વાત કરે છે જેનાથી તે પોતાને તેમની સાથે જોડી શકે. શરૂઆતી દિવસોમાં તેણે જે કીર્તન કર્યા, તેમા સામાજિક પ્રથાઓ, તેના દૂષણો અંગે વાત કરી અને તેની મજાક ઉડાવી. જોકે, જેમ-જેમ તેના શો લોકપ્રિય થવા માંડ્યા અને લોકો તેને સાંભળવા આવવા માંડ્યા, તેની શૈલી અને સ્વર બદલાવા માંડ્યા. તેની પાગડીનો રંગ સફેદથી કેસરી થઈ ગયો. જોકે, તેણે પહેલાની જેમ સફેદ કુર્તા-પાયજામા પહેરવાનું ચાલુ રાખ્યું પરંતુ, વધતા રાજકીય સમર્થન અને એક વિશેષ વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે ઇંદુરી મહારાજ હિંદુત્વ બ્રિગેડનો સૌથી નવો પોસ્ટર બોય બની ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp