- National
- 'કંબલવાળા બાબાથી મને લાભ થયો...' ભાજપના ધારાસભ્ય રામ કદમ ફસાયા
'કંબલવાળા બાબાથી મને લાભ થયો...' ભાજપના ધારાસભ્ય રામ કદમ ફસાયા
કંબલવાળા બાબાના દરબારને કારણે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતા અને ધારાસભ્ય રામ કદમની મુશ્કેલી વધી શકે છે. હકિકતમાં, ભાજપના ધારાસભ્ય રામ કદમે પોતાના ચૂંટણી મત વિસ્તાર ઘાટકોપરમાં રાજસ્થાનથી આવેલા કંબલવાળા બાબાનો દરબાર લગાવ્યો છે. બાબા એવો દાવો કરે છે કોઇને પણ જો લકવો મારી ગયો હોય, સાંધાની દુખાવાની બિમારી હોય તો તેઓ દર્દીને કંબલ ઓઢાડીને સાજા કરી દે છે. સોશિયલ મીડિયા પર રામ કદમનો વીડિયો વાયરલ થવાને કારણ અંધશ્રધ્ધા નિવારણ સંસ્થાની મૂક્તા ડાભોલકરે ભાજપ નેતા સામે FIR કરવાની માંગ કરી છે. એટલું જ નહીં NCPના સાંસદ સુપ્રિયા સુલેએ પણ રામ કદમ સામે નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયામાં જે વીડિયો સામે આવ્યો છે, તમાં ભાજપના મહારાષ્ટ્રના ધારાસભ્ય રામ કદમ કહી રહ્યા છે કે, હું સાયન્સનો વિદ્યાર્થી છુ, હું અંધશ્રધ્ધાને સમર્થન કરતો નથી. જે વખતે મેં કંબલવાળા બાબા વિશે સાંભળ્યુ હતું, તેમના હજારો વીડિયો સોશિયલ મીડિયા પર છે. હું તેમના શિબિરમાં મારા માતા-પિતાને લઇને ગયો હતો કે કેવા પ્રકારનું તેમનું જાદું જેવું રિઝલ્ટ છે. તમને એકવાર કદાચ એમ લાગે કે આ એક ઢોંગ છે, પરંતુ મે મારી નજરે પરિણામ જોયું છે. મારા માતા-પિતા, મારી પત્ની બધાને કંબલવાળા બાબાથી લાભ થયો છે. એ પછી અનેક મિત્રોને ભલામણ કરી હતી, તેમને પણ બાબાથી લાભ થયો હતો.

ભાજપના ધારાસભ્ય રામ કદમ વીડિયોમાં આગળ કહી રહ્યા છે કે, બાબા કોઇ જાદુ નથી કરતા, કોઇ લીંબુ નારિયેળ ફેરવતા નથી. તેમની પાસે શરીરના નસોના વિજ્ઞાનની જાણકારી છે. કઇ નસ પર ક્યાં દબાવવું તેના વિશે તેમને જાણકારી છે. પછી ભલે લકવાગ્રસ્ત દર્દી હોય કે અન્ય રોગી. વીડિયોમાં રામ કદમ કહી રહ્યા છે કે ઘરમાં બેસીને કંબલવાળા બાબાના કામને અંધશ્રધ્ધા કહેવાને બદલે, દર્દીઓને પોતાના ઘરેથી બાબાના દરબારમાં લઇ જાઓ અને સાથે ડોકટરને પણ લઇને જાઓ અને પછી જાતે અનુભવ કરો કે ફાયદો થાય છે કે નહીં.
રામ કદમે કહ્યુ કે, 5 દિવસમાં હજારો લોકો શિબિરમાં આવ્યા છે, કોઇને બોલાવવામાં નહોતા આવ્યા,સ્વંય પ્રેરણાથી જો લોકો આવી રહ્યા છે.

વીડિયો વાયરલ થયા પથી મૂક્તા ભાદોલકરે રામ કદમ સામે FIR કરવાની માંગ કરી છે તો NCP નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વીટ કરીને લખ્યું કે, મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નાબૂદીનો કાયદો બન્યા પછી પણ જો કોઈ આ રીતે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું હોય તો સરકાર તેમની સામે પગલાં લેશે કે નહીં? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કંબલ બાબાના દરબારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

