પુણેમાં નદી કિનારેથી એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ મળ્યા, પોલીસ તપાસમાં લાગી

PC: crimetak.in

મહારાષ્ટ્ર રાજ્યના પૂણેના દૌન્ડમાં આવેલી ભીમા નદી સતત મૃતદેહો બહાર કાઢી રહી છે. છેલ્લા 6 દિવસથી તપાસ ચાલી રહી છે. તપાસ અને શોધખોળમાં અત્યાર સુધીમાં કુલ 7 મૃતદેહો પોલીસના હાથમાં આવ્યા છે. જેમાંથી 18 થી 21 જાન્યુઆરી દરમિયાન 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે આજે મંગળવારે ફરી 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. સતત મૃતદેહો મળવાની આ આશ્ચર્યજનક ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે, આખરે એવું શું થયું કે નદીની અંદરથી દરરોજ મૃતદેહો બહાર આવી રહ્યા છે.

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં નદીના કિનારેથી ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. પ્રાથમિક માહિતીને ટાંકીને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતકોમાં એક વૃદ્ધ દંપતી, તેમની પુત્રી અને જમાઈ અને ત્રણ પૌત્રોનો સમાવેશ થાય છે.

પૂણે શહેરથી લગભગ 45 કિમી દૂર દૌન્ડ તાલુકામાં યવત ગામની સીમમાં ભીમા નદી પરના પરગાંવ પુલ પાસે સોમવારે ચાર અને મંગળવારે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. એક પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, મળી આવેલા મૃતક તમામ સાત લોકો એક જ પરિવારના છે, જેમાં એક દંપતી, તેમની પુત્રી અને જમાઈ અને તેમના ત્રણ પૌત્રોનો સમાવેશ થાય છે.

મૃતદેહો ભીમા નદીના પટમાં એકબીજાથી લગભગ 200 થી 300 મીટરના અંતરે મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે, મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે મૃત્યુનું કારણ અને તેના સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીએ કહ્યું, પોલીસ આત્મહત્યા સહિત તમામ એંગલથી મામલાની તપાસ કરી રહી છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ તમામ મૃતદેહો દાઉદ કેમ્પસમાંથી મળી આવ્યા છે. ભીમા નદીના કિનારેથી મળેલા આ મૃતદેહોનું રહસ્ય હજુ પણ અકબંધ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ મૃતદેહો એક જ પરિવારના છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર આર્થિક સંકડામણમાં હતો. જેના કારણે સમગ્ર પરિવારે આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભીમા નદીમાંથી અગાઉ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જે બાદ ત્રણ બાળકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. આ રીતે કુલ સાત મૃતદેહ મળી આવ્યા છે. જેમના મૃતદેહ મળી આવ્યા છે તેમાં મોહન ઉત્તમ પવાર, સંગીતા મોહન પવાર, શામરાવ પંડિત ફુલવારે, રાની શ્યામરાવ ફુલવારે, પુત્ર રિતેશ શામરાવ ફુલવારે, છોટુ ફુલવારે અને ક્રિષ્નાનો સમાવેશ થાય છે. હાલ પુણે ગ્રામીણ પોલીસે મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp