અમેરિકાના ડૉ.જેમ અબ્રાહમના મતે- ભારતમાં કેન્સર જેવી બીમારીઓની સુનામી આવશે
![](https://khabarchhe.com/uploads/mc_path/1674116225HOSPITAL.jpg)
અમેરિકાના ઓન્કોલોજિસ્ટ ડોકટર જેમ અબ્રાહમે જે દાવો કર્યો છે, તે બધાને ચિંતામાં મુકી શકે છે. ડોકટર અબ્રાહમે દાવો કર્યો છે કે ભારતમાં કેન્સર જેવી ગંભીર બિમારીઓની સુનામી આવવાની છે. વિકસિત થવા માટે ઝડપથી આગળ વધી રહેલા ભારત માટેનો આ દાવો સરકાર અને સામાન્ય લોકો માટે ચિંતાજનક વાત છે.
ઓનકોલોજિસ્ટ ડોકટર જેમ અબ્રાહમનું માનવું છે કે વૈશ્વિકરણ, આગળ વધતી અર્થવ્યવસ્થા અને વૃદ્ધ થઇ રહેલી વસ્તી આના માટે કારણભૂત છે. ડૉ.અબ્રાહમે કહ્યં છે કે, જે રીતે ગંભીર બીમારીઓ ભારત તરફ આગળ વધી રહી છે, તેને રોકવા માટે મેડિકલ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. ઓહિયો, USAમાં ક્લેવલેન્ડ ક્લિનિક ખાતે હેમેટોલોજી અને મેડિકલ ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. જેમ અબ્રાહમે, આ સદીમાં કેન્સર કેરને રીશેપ કરવા માટે 6 જરૂરી મહત્ત્વના વલણનોની રૂપરેખા આપી છે.
આમાં, પ્રથમ ત્રણ વલણોમાં કેન્સર રોકવા માટેની વેક્સીન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા ડિજિટલ ટેક્નોલોજી અને લિક્વિડ બાયોપ્સીનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ વલણોમાં જીનોમિક પ્રોફાઇલિંગ, જીન એડિટીંગ ટેક્નોલોજી ડેવલપમેન્ટન્ટ,ઇમ્યુનોથેરાપી અને કાર ટી સેલ થેરપીની નેક્સ્ટ જનરેશન સામેલ છે. ડો.અબ્રાહમે કહ્યું કે ભારત માટે સૌથી મોટો પડકાર લોકોને ટેક્નોલોજી સુલભ બનાવવાનો છે અને કેન્સર જેવી બીમારીઓથી બચવા માટે તેને પોષણક્ષમ બનાવવાનો છે.
ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીનો રિપોર્ટ ચોંકાવનારો છે. આ રિપોર્ટ મુજબ,વર્ષ 2040 સુધીમાં વિશ્વમાં કેન્સર હાહાકાર મચાવશે. વર્ષ 2020ની સરખામણીએ 2040 સુધીમાં વિશ્વમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં 47 ટકાનો વધારો થશે, જે દર વર્ષે બે કરોડ એંસી લાખ સુધી પહોંચશે. વર્ષ 2020 માં, કેન્સરના લગભગ એક કરોડ 80 લાખ કેસ નોંધાયા હતા અને વિશ્વમાં લગભગ એક કરોડ લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા હતા.
ફેફસાના કેન્સરને પાછળ છોડીને હવે મહિલાઓમાં સ્તન કેન્સરમાં વધારો થયો છે. જો કે, અત્યાર સુધીમાં મોટાભાગના મૃત્યુ ફેફસાના કેન્સરને કારણે થઈ રહ્યા છે. ડો. અબ્રાહમ માને છે કે કેન્સરની સફળ વેક્સીન આ રોગના વિવિધ સ્વરૂપોને હરાવવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અલગ અલગ કેન્સરના રોગ માટે વેક્સીન તો બનાવવામાં આવી રહી છે, પંરતુ બધી વેક્સીન અત્યારે ટ્રાયલ પર છે, પરંતુ સારી વાત એ છે કે બધાના પરિણામો સકારાત્મક છે.
તેમને કહ્યું કે હાલમાં ક્લીવલેન્ડ ક્લિનિકની ટીમ સ્તન કેન્સર માટેની રસીનું ટ્રાયલ કરી રહી છે. સાથે જ ડૉ.અબ્રાહમે કહ્યુ કે, ટેક્નોલોજીનો ઉપયોગ માનવી કરતાં વધુ સારો છે. તેમણે એ પણ જણાવ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બાયોપ્સી દરમિયાન સામાન્ય અને અસામાન્ય ભિન્નતાને વધુ સારી રીતે શોધી શકાય છે, જ્યારે મનુષ્ય આ કામ પોતાની આંખોથી કરી શકતો નથી.
સમયની સાથે જેનેટિક પ્રોફાઇલીંગ અથવા ટેસ્ટીંગ દ્રારા સ્તન કેન્સર અને કોલન કેન્સર પ્રારંભિક તબક્કે શોધી શકાય છે. ડૉ.અબ્રાહમ કહે છે કે આવનારા સમયમાં જીનોમિક ટેસ્ટિંગનો ઉપયોગ વધશે અને આ ટેકનિકનો ઉપયોગ બ્લડ પ્રેશર અથવા કોલેસ્ટ્રોલને મોનિટર કરવા અને સારવાર શોધવા માટે ખાસ કરીને કેન્સરના કોષોને શોધવા અને મારવા માટે કરવામાં આવશે.
આ ટેકનિક દ્વારા ડોક્ટરો સંપર્ણ રીતે કેન્સર થાય તે પહેલા જ તેની સારવાર કરી શકશે. ડો.અબ્રાહમે કહ્યું કે કેન્સર માટે અસરકારક ટ્રીટમેન્ટની જરૂરત છે. તેમણે એમ પણ કહ્યું કે ઉભરતી લિક્વિડ બાયોપ્સી ટેકનિક દ્વારા માત્ર લોહીના એક ટીપાથી જ કેન્સરને શોધી શકાય છે. જો સમયસર તેની ઓળખ થઈ જાય તો સારવાર પણ સારી રીતે થઇ શકે છે. હાલમાં, મોટાભાગના કિસ્સાઓમાં, જ્યારે કેન્સરને શોધી કાઢવામાં આવે છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
બીજી તરફ ડો.અબ્રાહમે જણાવ્યું હતું કે, જ્યારે આપણે કેન્સર નિવારણ અને તેની સારવાર માટેની ટેકનીક વિકસાવીશું ત્યારે આપણું સમગ્ર ધ્યાન કેન્સરને અટકાવવા અને નિવારણ પર કેન્દ્રિત થશે. જો તમારે કેન્સરથી બચવું હોય તો તમારે તમાકુ અને આલ્કોહોલનો સંપૂર્ણ ત્યાગ કરવો પડશે. ખોરાક અને ઇન્ફેકશનનું ધ્યાન રાખવું પડશે. આ હાલમાં કેન્સરના સૌથી સામાન્ય કારણો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp