મોદીસરકારે બદલ્યું નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ, આ નામે ઓળખાશે મ્યુઝિયમ

PC: rajexpress.com

દેશની રાજધાનીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે. નહેરુ મેમોરિયલનું નામ બદલવાને લઈને કોંગ્રેસે PM નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, PM મોદી સંકુચિત માનસિકતા અને બદલો લેવાનું બીજું નામ છે.

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની ખાસ બેઠકમાં તેનું નામ બદલીને PM મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશેષ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી, જેઓ સોસાયટીના ઉપાધ્યક્ષ છે.

હકીકતમાં, 2016 માં, PM નરેન્દ્ર મોદીએ તીન મૂર્તિ સંકુલમાં ભારતના તમામ PMને સમર્પિત એક સંગ્રહાલય સ્થાપિત કરવાનો વિચાર રજૂ કર્યો હતો. NMMLની કારોબારી પરિષદ દ્વારા 25 નવેમ્બર 2016ના રોજ તેની 162મી બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને PMનું મ્યુઝિયમ 21 એપ્રિલ 2022ના રોજ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ખરેખર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલને લાગ્યું કે, સંસ્થાનું નામ વર્તમાન પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ હોવું જોઈએ, જેમાં એક નવું મ્યુઝિયમ પણ સામેલ છે, જે સ્વતંત્ર ભારતમાં લોકશાહીની સામૂહિક યાત્રા અને રાષ્ટ્રનિર્માણમાં દરેક PMના યોગદાનને દર્શાવે છે.

મ્યુઝિયમ અપડેટ કરવામાં આવ્યું છે મ્યુઝિયમ રિનોવેટેડ અને રિફર્બિશ્ડ નેહરુ મ્યુઝિયમ ઈમારતથી શરૂ થાય છે, જે જવાહરલાલ નહેરુના જીવન અને યોગદાન પર ટેક્નોલોજીની રીતે અદ્યતન પ્રદર્શનો સાથે સંપૂર્ણપણે અપડેટ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, PM નરેન્દ્ર મોદી સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ છે. 59થી વધુ વર્ષોથી, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક સીમાચિહ્ન અને પુસ્તકો અને રેકોર્ડ્સનું ખજાનાનું ઘર છે. હવેથી તે PM મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. PM નરેન્દ્ર મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારના નામ અને વારસાને બદનામ કરવા, અપમાનિત કરવા અને નષ્ટ કરવા માટે શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાનકડો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2014માં PM નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી ઘણી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. અગાઉ મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું હતું. આ બગીચો રાષ્ટ્રપતિ ભવનની સામે છે. મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવતા ભારે રાજકીય હંગામો થયો હતો. કોંગ્રેસે નામ બદલવાને ઈતિહાસ ભૂંસવા તરફનું પગલું ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp