હીરાબાઃ 100 વર્ષનું જીવન...6 બાળકોનો ઉછેર અને એક માતાનો સંઘર્ષ

PC: khabarchhe.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બા (હીરાબેન)નું શુક્રવારે નિધન થયું છે. તેમણે આ વર્ષે જૂનમાં પોતાના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ મહેસાણામાં થયો હતો. હીરાબેનના લગ્ન દામોદરદાસ મુલચંદ મોદી સાથે થયા હતા. દામોદરદાસ ત્યારે ચા વેચતા હતા. હીરાબેન અને દામોદરદાસને 6 બાળકો હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજા નંબરે છે. હીરાબેન અને દામોદરદાસને અન્ય બાળકો છે - અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્રી વસંતીબેન હંસમુખલાલ મોદી.

હીરાબેન જીવનભર સંઘર્ષશીલ મહિલા રહ્યા. પ્રધાનમંત્રી મોદી ઘણી વખત ભાવનાત્મક રીતે પોતાની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2015માં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમની માતાના સંઘર્ષને યાદ કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, 'મારા પિતાના અવસાન પછી માતા અમારું ગુજરાન કરવા અને પેટ ભરવા માટે બીજાના ઘરે જઈને વાસણો સાફ કરતી અને પાણી ભરતી હતી'. ત્યારે માતાની તકલીફોને યાદ કરીને પ્રધાનમંત્રી મોદી ભાવુક થઈ ગયા અને રડી પડ્યા હતા.

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ હીરાબેનના 100મા વર્ષમાં પ્રવેશ કરવા પર આજતક સાથેની વાતચીતમાં તેમની માતાની જીવનકથા શેર કરી હતી. પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે તેમની માતા જ્યારે માત્ર 6 મહિનાની હતી ત્યારે તેમની નાની તેમને છોડીને ગુજરી ગયા હતા. તેમનો સંઘર્ષ તો ઈતિહાસ જ જાણે છે. પ્રહલાદ મોદીએ કહ્યુ કે મારા નાનીના અવસાન બાદ નાનાએ બીજા લગ્ન કર્યા હતા. પછી તેમનાથી જન્મેલા બાળકોના ઉછેરની જવાબદારી પણ હીરા બા પર હતી. તેઓ કહે છે કે તેમની માતા નાની ઉંમરમાં જ માતા બની ગઈ હતી. ભાગ્યને માત્ર આટલાથી જ સંતોષ નહોતો. નાનાજીની બીજી પત્નીનું અવસાન થયું, પછી તેમણે ત્રીજી વાર લગ્ન કર્યા. તેમનાથી બાળકો થયા. તેમની જવાબદારી પણ હીરાબેન પર જ આવી ગઈ. પછી તેમણે પોતાના બાળકોને પણ ઉછેર્યા. આમ હોવા છતાં, તેમણે તેમના જીવન વિશે કોઈ ફરિયાદ ન હતી.

પ્રહલાદ મોદી એક કિસ્સો સંભળાવતા કહે છે કે તેમની માતા તેમને કહેતી હતી કે તે જે ઘરમાં રહેતી હતી તેની દિવાલ પડી ગઈ હતી. તે સૂતા હતા, તેમની બાજુમા જ નાની બહેન હતી. ત્યારે ચોર આવી ગયા. તેના હાથમાં હથિયારો હતા. પરંતુ ત્યારે માં ઉભા થઈ ગયા અને ચોરો સામે લડ્યા, પછી ચોરોએ ભાગવું પડ્યું.

પ્રહલાદ મોદીએ આજતક સાથેની વાતચીતમાં તે રહસ્યનો પણ ખુલાસો કર્યો હતો કે તેની માતા કેટલી મજબૂત હતી. તેમણે કહ્યું હતું કે આ વડનગરની અસર છે. વડનગરમાં એક જ કૂવો હતો, જેમાંથી બધા લોકો પાણી લાવીને ભોજન બનાવતા હતા. જે ખાતરમાં તે કૂવો હતો તે ખેતરના માલિકનું નામ મોગાજી ઠાકુર હતું. તે પાણી માટે કોઈને ના નહોતા પાડતા. ત્યાંથી દરેક સ્ત્રી માથે બે ઘડા પાણી ઉઠાવીને લાવતી હતી. ગામના પ્રવેશદ્વારથી અમારું ઘર 15 ફૂટની ઊંચાઈએ હતું. મા રોજ બે વાર પાણી લાવતી અને ચઢીને ઘરે પહોંચતી હતી. કૂવામાંથી પાણી કાઢવા માટે 100 હાથ દોરડા ખેંચવા પડતા હતા. તેથી જ તેમના હાથ-પગ મજબૂત હતા.

પ્રધાનમંત્રી મોદીના ભાઈ કહે છે કે માં કપડાં ધોવા માટે તળાવમાં જતી, પછી ઘરનું કામ કરતી, બીજા ઘરોમાં કામ કરતી. આ રીતે તેમનું શરીર ખૂબ જ મજબૂત રહ્યું. તેમણે પોતાનું આખું જીવન સખત મહેનતમાં વિતાવ્યું. આળસ શબ્દ તેમના જીવનમાં જ નહોતો.

પ્રહલાદ મોદી કહે છે કે તેમની માતા ભણેલી ન હતી, તેમણે શાળા પણ જોઈ ન હતી. તેમ છતાં, તેમનામાં બાળકોને ભણાવવાની જિજ્ઞાસા હતી. તે હંમેશા અમને ભણવા માટે પ્રેરણા આપતી હતી. પ્રહલાદ મોદી કહે છે કે એકવાર તેમના મોટા ભાઈ ક્યાંકથી કંઈક વસ્તુ લઈ લાવ્યા ત્યારે તેઓ બાળક હતા અને તેમને ખબર ન હતી કે તેમણે ચોરી કરી છે. પરંતુ જ્યારે તે ઘરે આવ્યા ત્યારે માતાએ લાકડી લીધી અને તેમને માર મારતાં તે જ્યાંથી લાવ્યા હતા ત્યાં લઈ ગયા અને વસ્તુઓ પાછી અપાવી. પ્રહલાદ મોદી કહે છે કે સંસ્કાર આપવાની જે કળા છે, આ કળા માતા જ આપી શકે છે અને અમને તે અમારી માતા પાસેથી મળી છે. માતાના સ્વભાવમાં બેઈમાની બિલકુલ નહોતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરા બાના ઘરમાં ગરીબી હતી, જ્યાં તેઓ તેમના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ કઢી અને બાજરીના રોટલા ખવડાવતા હતા. કઢીમાં થોડો ચણાનો લોટ ઉમેરવામાં આવતો હતો, છાશ ત્યારે મફતમાં મળતી હતી, તેમાં એક રીંગણ ઉમેરવામાં આવતું હતું અને પછી આખો પરિવાર તેને ખાતો હતો. માતા પાસે પરિવારનું સંપૂર્ણ અર્થશાસ્ત્ર હતું, તે જાણતી હતી કે એક રૂપિયો, પાંચ રૂપિયા કે પૈસા વગર આખો પરિવાર કેવી રીતે ચલાવવું.

હીરાબેન હાલમાં તેમના પુત્ર પંકજ મોદી સાથે ગુજરાતના ગાંધીનગરમાં રહેતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે 4 ડિસેમ્બરે મળ્યા હતા જ્યારે તેઓ ગુજરાત ચૂંટણી પ્રચારના સંદર્ભમાં રાજ્યમાં હતા. નાદુરસ્ત તબિયત બાદ તેઓ માતાને મળવા બુધવારે અમદાવાદ પણ ગયા હતા. હીરાબેનના નિધન સાથે પ્રધાનમંત્રી મોદીના જીવનમાં એક ભાવનાત્મક અધ્યાયનો અંત આવ્યો છે. તે અધ્યાય જ્યાં એક બાળક માતાને ગળે લગાવીને માતાની મમતાની અનુભૂતિ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp