'હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું પણ...', રાહુલે વરુણ અંગે શું કહ્યું?

PC: hindi.newsroompost.com

રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી ભારત જોડો યાત્રા મંગળવારે પંજાબના હોશિયારપુર પહોંચી હતી. અહીં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીને વરુણ ગાંધીના કોંગ્રેસમાં પ્રવેશ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે, 'હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું, પરંતુ મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી.'

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'તેઓ BJPમાં છે, જો તેઓ અહીંયા ચાલશે તો તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરંતુ મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી. મારી વિચારધારા એવી છે કે હું ક્યારેય RSS કાર્યાલયમાં જઈ શકતો નથી. જો તમે ઈચ્છો તો તમે મારું ગળું કાપી શકો છો.'

રાહુલે કહ્યું, 'મારો એક પરિવાર છે, તેની એક વિચારધારા છે. વરુણે એક સમય, કદાચ આજે પણ એ વિચારધારાને અપનાવી છે. તે વિચારધારાને તેણે પોતાની બનાવી, હું તે વાતને સ્વીકારી શકતો નથી. રાહુલે કહ્યું, 'હું તેને પ્રેમથી મળી શકું છું, ગળે લગાવી શકું છું, પરંતુ તે વિચારધારાને સ્વીકારી શકતો નથી. આ મારા માટે સ્વીકાર કરવી અશક્ય છે. મારો મુદ્દો વિચારધારાની લડાઈ પર છે.'

વાસ્તવમાં BJPના સાંસદ વરુણ ગાંધી આ દિવસોમાં પોતાની પાર્ટીની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના નિવેદનો પરથી તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. તેઓ કોંગ્રેસમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેમ તે અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે. BJP પ્રત્યે તેમનો મોહભંગ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. છેલ્લાં 2 વર્ષથી વધુ સમયથી મુખ્ય સામયિકોમાં તેમણે જે પ્રકારના લેખો પ્રકાશિત કર્યા છે અથવા જે રીતે તેમણે સોશિયલ મીડિયા પર મુદ્દાઓ પર પોતાની જ સરકારને ઘેરી છે, તેનાથી આ અટકળોને વધુ વેગ મળ્યો છે.

વરુણ ગાંધીએ તાજેતરમાં એક જાહેર સભામાં ચોંકાવનારું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું ન તો નેહરુજીની વિરુદ્ધ છું, ન તો કોંગ્રેસની વિરુદ્ધ. આપણી રાજનીતિ દેશને આગળ લઈ જવાની હોવી જોઈએ ના કે આંતરવિગ્રહ સર્જવાની. આજે જે લોકો માત્ર ધર્મ અને જાતિના નામે વોટ માંગે છે, તેમને આપણે પૂછવું જોઈએ કે રોજગાર, શિક્ષણ, દવાની શું હાલત છે.

વરુણ ગાંધીએ કહ્યું હતું કે, આપણે એવી રાજનીતિ નથી કરવી, જે લોકોને દબાવી દે, પરંતુ અમારે એવી રાજનીતિ કરવાની છે, કે જે લોકોને ઉભા થવાનો મોકો આપે. ધર્મ અને જાતિના નામે મત લેનારાઓને આપણે પૂછવું જોઈએ કે, તેઓ રોજગાર, શિક્ષણ કે આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓ પર શું કરી રહ્યા છે. આપણે એવી રાજનીતિ ન કરવી જોઈએ જે લોકોને ઉશ્કેરવામાં કે તેમને દબાવવામાં માનતી હોય. આપણે એવી રાજનીતિ કરવી જોઈએ જેનાથી લોકોને આગળ વધવાનો મોકો મળે.

આ પહેલા રાહુલ ગાંધીએ BJP અને RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું, આજે RSS અને BJP ભારતની સંસ્થાઓને નિયંત્રિત કરી રહ્યા છે. તમામ સંસ્થાઓ પર તેમનું દબાણ છે. પ્રેસ પર પણ તેમનું દબાણ છે, ચૂંટણી પંચ પર તેમનું દબાણ છે. અગાઉ બે રાજકીય પક્ષો વચ્ચે જે લડાઈ થતી હતી, તેવી લડાઈ હવે રહી નથી. હવે ભારતમાં લોકશાહી નથી. EVM એક માત્ર તેનું પાસું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp