મારાથી ભૂલ થઈ, જેના કારણે મારી વહુ વિધવા બનીઃ કેન્દ્રીય મંત્રી

PC: punjabkesari.in

મેં એક ભૂલ કરીને મારા નશાના બંધાણી છોકરાના લગ્ન કર્યા, જેના કારણે આજે મારી વહુ વિધવા બની ગઈ. હવે બીજી કોઈ છોકરી વિધવા ન બને, તે માટે તમારી છોકરીઓના લગ્ન કોઈપણ નશાખોર સાથે ન કરો, પછી ભલે તે ગમે તેટલો મોટો હોદ્દો, પદ અને ગમે તેટલો પૈસાદાર પણ કેમ ન હોય.

ડ્રગ્સ સેવનની વિરુદ્ધ આ ટ્વીટ PM મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે કર્યું છે. કૌશલ કિશોર આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન છે. લખનઉના મોહનલાલ ગંજથી સાંસદ છે. આ ટ્વિટમાં BJP સાંસદે પોતાના પુત્રના મોતનો ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2020માં તેમના પુત્ર આકાશ કિશોરનું 28 વર્ષની વયે અવસાન થયું હતું. રિપોર્ટ્સ અનુસાર આકાશ કિશોરને દારૂની લત હતી. દારૂની લતને કારણે પુત્રના મૃત્યુ બાદ કૌશલ કિશોરે નશા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું, જે ત્યારથી સતત ચાલુ છે.

31 ડિસેમ્બર, 2022ની સવારે મંત્રી કૌશલ કિશોરે ટ્વીટ કરીને અપીલ કરી હતી કે છોકરીઓના લગ્ન નશો કરનારી વ્યક્તિ સાથે ન કરાવો.

વધુમાં, માદક દ્રવ્યોના સેવનથી થતી સમસ્યાઓનો ઉલ્લેખ કરતા મંત્રીએ લખ્યું કે, જો નશો ન કરતા કોઈ ગરીબ છોકરા સાથે લગ્ન કરશે તો ઓછામાં ઓછું છોકરીઓ સુરક્ષિત તો રહેશે અને શાંતિથી જીવશે, પરંતુ જેઓ નશો કરે છે, તેઓ ઘરમાં મારપીટ, લડાઈ, ઝઘડો, વિવાદ, અપશબ્દોનો ઉપયોગ કરશે. જેના કારણે પરિવારને સતત તકલીફ પડે છે અને મહિલાઓ અને બાળકોને સૌથી વધુ આવી તકલીફ પડે છે. આનાથી બચવા માટે, દરેકને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ તેમની છોકરીઓના લગ્ન એવા છોકરાઓ સાથે જ કરે જેઓ નશાના બંધાણી ન હોય. હું છોકરીઓને પણ વિનંતી કરું છું કે છોકરીઓએ નશાનો બંધાણી હોય તેવા છોકરાઓ સાથે લગ્ન કરવાની ના પાડવી જોઈએ. એવા છોકરાઓ સાથે જ લગ્ન કરો, જેઓ નશો કરતા નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત એક અહેવાલ મુજબ, તાજેતરમાં એક નશા મુક્તિ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, તેઓ પોતે સાંસદ હોવા છતાં અને તેમની પત્ની ધારાસભ્ય હોવા છતાં તેઓ તેમના પુત્રનો જીવ બચાવી શક્યા નથી, તો સામાન્ય જનતા કેવી રીતે કરી શકે? તેમણે કહ્યું હતું કે, મારો પુત્ર (આકાશ કિશોર) તેના મિત્રો સાથે દારૂ પીવાની લત ધરાવતો હતો. તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે ખરાબ આદત છોડી દેશે એમ ધારી 6 મહિના પછી તેના લગ્ન કરાવ્યા. જો કે, લગ્ન પછી તેણે ફરીથી દારૂ પીવાનું શરૂ કર્યું અને આખરે તેનું મૃત્યુ થયું. બે વર્ષ પહેલા 19 ઓક્ટોબરે આકાશનું અવસાન થયું ત્યારે તેનો પુત્ર માંડ બે વર્ષનો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે સમગ્ર દેશને નશા મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો છે, આ માટે તેઓ સતત સક્રિય છે. તેમણે કહ્યું છે કે, જ્યાં સુધી ભારત નશાથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી નશા વિરુદ્ધ આંદોલન કરતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp