26th January selfie contest

હૈદરાબાદના છેલ્લા નિઝામનું તુર્કીમાં નિધન, દેશની માટીમાં થશે અંતિમ સંસ્કાર

PC: siasat.com

મીર બરકત અલી ખાન સિદ્દીકી મુકરમ જાહ બહાદુરને હૈદરાબાદના આઠમાં અને છેલ્લા નિઝામ કહેવામાં આવતા હતા. તે લાંબા સમયથી તુર્કીમાં રહી રહ્યા હતા. તેમણે ચાર લગ્ન કર્યા હતા. હૈદરાબાદમાં હજુ પણ તેમના નામ પર અપાર સંપત્તિ છે.

હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાનના પૌત્ર અને નિઝામ મીર બરકત અલી ખાન સિદ્દીકી મુકરમ જાહનું તુર્કીમાં અવસાન થઈ ગયું. તેઓ 89 વર્ષના હતા. મુકરમ જાહ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેઓ શાહી પરિવારના આઠમા વંશજ હતા. મુકરમ જાહના કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમને એ જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે, નવાબ મીર બરકત અલી ખાન મુકરમ જાહ બહાદુર, હૈદરાબાદના આઠમા નિઝામનું ગઈકાલે મોડી રાત્રે 10.30 વાગ્યે ઈસ્તાંબુલમાં નિધન થયું છે.'

રિપોર્ટ મુજબ, મુકરમ જાહના અંતિમ સંસ્કાર ભારતમાં જ થશે. આ તેમની છેલ્લી ઈચ્છા હતી. તેમના વારસદારો મંગળવારે એટલે કે, 17 જાન્યુઆરીના રોજ તેમના પાર્થિવ દેહ સાથે હૈદરાબાદ આવશે. જે બાદ તેમના પાર્થિવ દેહને ચૌમહલ્લા પેલેસમાં લઈ જવામાં આવશે અને અંતિમ સંસ્કારની વિધિઓ પૂર્ણ કર્યા બાદ તેમને અસફ જાહી પરિવારના મકબરામાં દફનાવવામાં આવશે.

કેવી રીતે મળી ગાદી?

મુકરમ જાહને ચૌમહલ્લા પેલેસમાં આઠમા નિઝામ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને તેમના દાદા નિઝામ ઉસ્માન અલી ખાને 14 જૂન, 1954ના રોજ તેમના અનુગામી જાહેર કરવામાં આવ્યા અને તેમને સત્તાવાર રીતે 1971 સુધી હૈદરાબાદના પ્રિન્સ કહેવામાં આવ્યા. ઉસ્માન અલી ખાને મુકરમ જાહને આઠમાં નિઝામ જાહેર કરવાની પ્રક્રિયામાં તેમના પુત્રોને બાજુમાં મૂકી દીધા હતા. મુકરમ જાહ તેમના દાદાના હૃદયની ખૂબ નજીક હતા. 24 ફેબ્રુઆરી, 1967ના રોજ, હૈદરાબાદના છેલ્લા પૂર્વ શાસકના મૃત્યુ પછી, મુકરમ જાહ આઠમા નિઝામ ગાડી પર બેઠા.

માતા તુર્કીના રાજકુમારી હતા

મુકરમ જાહના હૈદરાબાદના આઠમા અને છેલ્લા નિઝામ તરીકે તેમના ઉત્તરાધિકારીને ભારત સરકારે પણ સૈદ્ધાંતિક રીતે માન્યતા આપી હતી. મુકરમ જાહનો જન્મ 6 ઓક્ટોબર 1933ના રોજ મીર હિમાયત અલી ખાન ઉર્ફે આઝમ જહા બહાદુરના ઘરે થયો હતો. જે મીર ઉસ્માન અલી ખાનના પહેલા પુત્ર હતા. તેમની માતા તુર્કીની રાજકુમારી હતી, તેઓ તુર્કીના છેલ્લા સુલતાન અબ્દુલ મજીદ બીજાની પુત્રી હતી.

ચાર લગ્ન કર્યા હતા

મુકરમ જાહે પહેલા લગ્ન તુર્કીની રાજકુમારી એસરા સાથે કર્યા હતા, જેમનાથી તેમને બે બાળકો છે, પ્રિન્સ અઝમત અલી ખાન અને પ્રિન્સેસ શેખ્યાર. પછી તેમણે ઓસ્ટ્રેલિયાની મિસ હેલેન સિમોન્સ સાથે લગ્ન કર્યા, જેમનાથી તેમને એક પુત્ર, પ્રિન્સ એલેકજેન્ડર આઝમ ખાન છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે લંડનમાં છે. ત્યારબાદ તેણે મનોલ્યા ઓનુર સાથે લગ્ન કર્યા, જેમનાથી એક પુત્રી નીલોફર છે. તેમની ચોથી પત્ની જમીલા બૌલારસ છે. તેમની પુત્રી ઝરીન ઉન્નીસા બેગમ છે.

મુકરમ જાહ બહાદુરની પાસે હૈદરાબાદમાં ફલકનુમા પેલેસ, ખિલવત પેલેસ, કિંગ કોટી અને ચિરન પેલેસ જેવી સંપત્તિઓ છે, જે જુબલી હિલ્સમાં KBR નેશનલ પાર્કના મધ્યમાં આવેલું છે. સંપત્તિની જાળવણી તેમની પહેલી પૂર્વ પત્ની, પ્રિન્સેસ એસરા કરે છે, જે ક્યારેક ક્યારેક ફલકનુમા પેલેસમાં હૈદરાબાદ આવે છે અને રહે છે, જેને તાજ ફલકનુમા પેલેસમાં બદલી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp