શરદ પવારે પ્રફૂલ પટેલની પાર્ટીમાંથી કાઢતા પટેલે NCPના નવા પ્રમુખ જાહેર કરી દીધા

મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલો ડ્રામા હજુ પણ અટક્યો નથી. રવિવારે થયેલા ઘટનાક્રમ બાદ NCPના બે જૂથ (શરદ અને અજીત) એકબીજા પર હુમલાવર છે. શરદ પવારની NCPએ બાગી નેતાઓ પર કાર્યવાહી કરી અને બીજી તરફ પાર્ટી પર પોતાનો દાવો કરનારા અજીત પવાર ગ્રુપે શરદ પવારના નજીકના લોકોને પદ પરથી હટાવી દીધા છે. આ સાથે જ એવી પણ જાહેરાત કરવામાં આવી કે, BJP-શિવસેના અને અજીત ગ્રુપે મળીને મહાયુતિ બનાવી છે. મહાયુતિ બનવા સાથે જ શરદ પવાર જૂથના નજીકના લોકો સાઇડટ્રેક થઈ ગયા. જોકે, હજુ સુધી માત્ર જયંત પાટિલનું નામ જ સામે આવ્યું છે. સુનીલ તટકરે જ્યારે નવી નિયુક્તિઓ કરશે તો અન્ય નામ પણ સામે આવશે. સોમવારે સાંજે થયેલી પ્રેસ કોન્ફ્રેન્સમાં અજીત ગ્રુપના નેતા પ્રફૂલ પટેલે પાર્ટી પર દાવો કરતા જયંત પાટીલને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા અને કહ્યું- કોઇને પણ અયોગ્ય સાબિત કરવાનો અધિકાર સ્પીકરની પાસે છે.
પ્રેસ કોન્ફ્રેન્સમાં પ્રફુલ પટેલે કહ્યું કે, અમે જયંત પાટિલને નિયુક્ત કર્યા હતા. અમે તેમને NCPના મહારાષ્ટ્ર અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. આજે મેં તેમને આધિકારીકરીતે જાણકારી આપી દીધી છે કે તેમને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે અને હું સુનીલ તટકરેને NCPના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરું છું. તેમણે કહ્યું કે, જયંત પાટિલે તાત્કાલિક સુનીલ તટકરેને કાર્યભાર સોંપી દેવો જોઈએ. મહારાષ્ટ્રમાંથી તમામ નિર્ણયો સંપૂર્ણરીતે સુનીલ તટકરે લેશે. આધિકારીકરીતે સુનીલ તટકરે મહારાષ્ટ્રના પ્રભારી છે. હવે તમામ નિયુક્તિઓ અને નિર્ણય સુનીલ તટકરે દ્વારા લેવામાં આવશે.
આ સાથે જ અજીત પવાર NCPના વિધિમંડળના નેતા હશે. તેઓ આધિકારીકરીતે NCPના એસેમ્બલીમાં લીડર રહેશે. જે પણ બદલાવ કરવાના હતા તે અમે કરી દીધા છે. એસેમ્બલી સેશન થવાનું છે, તે પહેલા તમામ જરૂરી લીગલ બદલાવ અમે કરી દીધા છે. સૌથી વધુ ધારાસભ્ય અમારા એટલે કે NCP પાર્ટી સાથે છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે રાજ્યના વિકાસ માટે કામ કરીશું.
કોઈપણ ધારાસભ્યને અયોગ્ય જાહેર કરવાનું કામ પાર્ટી અથવા ચૂંટણી આયોગ નથી કરી શકતું. એવુ માત્ર વિધાનસભા અધ્યક્ષ જ કરી શકે છે. સુનીલ તટકરેએ જાણકારી આપી છે કે, 5 જુલાઈએ એમઈટી સંસ્થામાં બેઠક બોલાવવામાં આવી છે. તમામને ત્યાં ઉપસ્થિત રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. છગન ભુજબળે કહ્યું કે, પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓએ અજીત પવારના નેતૃત્વનું સમર્થન કર્યું છે. પ્રફૂલ પટેલની આધિકારીક નિયુક્તિ થઈ ગઈ છે. કાર્યસમિતિ દ્વારા નિર્ણય લેવામાં નથી આવતો. તમે પ્રફૂલ પટેલને એમ જ હટાવી ના શકો.
NCP શરદ પવાર જૂથ તરફથી પ્રફૂલ પટેલ, સુનીલ તટકરેને કાઢી મુકવામાં આવ્યા છે. તેમજ, જયંત પાટિલે વિજય દેશમુખ, નરેન્દ્ર રાણે અને શિવાજીરાવ ગરજેને પણ પાર્ટીમાંથી કાઢી મુક્યા છે. આ ઉપરાંત, નવ નેતા જે અજીત પવારની સાથે શપથ ગ્રહણમાં સામેલ હતા, તેમને અયોગ્ય જાહેર કરવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
આ કાર્યવાહી બાદ પ્રફૂલ પટેલનું રિએક્શન આવ્યું અને તેમણે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને જયંત પાટિલને પદ પરથી હટાવી દેવાની જાણકારી આપી. મહારાષ્ટ્રના રાજકારણમાં NCPના બનેલા બે જૂથોમાં સતત પ્રેસ કોન્ફ્રેન્સ કરવામાં આવી રહી છે. આ પહેલા શરદ પવારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી અને તેમણે પ્રફૂલ પટેલ પર હુમલો કર્યો હતો. શરદ પવારે કહ્યું હતું- રાજ્યમાં અમારું સંગઠન મજબૂત છે. અજીત પવારનો નિર્ણય તેનો અંગત નિર્ણય છે. તેની વાતોનું કોઈ મહત્ત્વ નથી. અમે લોકો સંઘર્ષ કરીશું. અમે ફરીથી પાર્ટીને ઊભી કરીશું. લોકોનું સમર્થન અમારી સાથે છે. જનતાનો પ્રેમ બની રહ્યો તો આખી તસવીર બદલાઈ જશે. NCP અમારી સાથે છે. સત્તાનો મિસ્યૂઝ થઈ રહ્યો છે.
શરદ પવારે કહ્યું હતું કે, મારા માટે આ કોઈ નવી સ્થિતિ નથી. આ મેં અગાઉ પણ જોયુ છે. 1980માં મારી સાથે 69 ધારાસભ્યો હતા. હું કોઇક કામથી વિદેશ ગયો હતો અને જ્યારે પાછો આવ્યો તો માત્ર 5 ધારાસભ્યો મારી સાથે હતા. બાકીએ મને છોડી દીધો. પરંતુ, અમે લડ્યા અને બીજી ચૂંટણીમાં બહુમતથી ચૂંટાયા અને જેમણે મને છોડ્યો તે ચૂંટણી હારી ગયા.
અજીત પવારને લઇને શરદ પવારે કહ્યું કે, અજીત પર કેન્દ્રીય એજન્સીઓનું દબાણ હતું કે નહીં, તે અંગે મારી પાસે કોઈ જાણકારી નથી પરંતુ, મેં NCP નેતાઓ વિરુદ્ધ PM મોદીનું ભાષણ સાંભળ્યું છે. તેઓ અમારા કેટલાક સહયોગીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની વાત કરી રહ્યા હતા. પરંતુ, તેમનું નિવેદન અને આજની તસવીર એકદમ અલગ છે. શરદ પવારે પ્રફૂલ પટેલ પર પણ હુમલો કર્યો અને કહ્યું કે- તેઓ ભાગ્યશાળી છે અને તેમને બધુ જ થાળીમાં મળી જાય છે. તેઓ માત્ર નામાંકન દાખલ કરે છે અને રાજ્યસભામાં મોકલી આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp