અંજુના લગ્ન પર સીમા હૈદરે કહ્યું- 'ત્યાં જો ખબર પડી કે તમે હિન્દૂ છોકરા સાથે...'

સચિનને મળવા પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની ચર્ચાઓની વચ્ચે પોતાના ફેસબુક મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન પહોંચેલી અંજુએ તેની સાથે લગ્ન કરી લીધા છે. અંજુએ લગ્ન કરવા પહેલા પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. અંજુએ ઇસ્લામ સ્વીકારી અને પોતાનું નામ ફાતિમા રાખ્યું છે.
નિકાહનામાના સોગંદપત્રમાં, અંજુએ પોતાની ઇચ્છાથી ઇસ્લામ અપનાવવાની અને નસરુલ્લાને તેનો કાયદેસર પતિ માનવાની વાત કરી છે. આ પહેલા સીમા હૈદરે એક TV ઈન્ટરવ્યુમાં અંજુના પાકિસ્તાન જવા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે, જ્યાં માણસ બધું જ કરી શકે છે. સીમા હૈદર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને નેપાળ થઈને ભારત આવી છે અને ATS સીમાની પૂછપરછ કરી રહી છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન સીમા હૈદરને એવું પૂછવામાં આવ્યું કે, ભારતની અંજુ પાકિસ્તાની છોકરાના પ્રેમમાં સરહદ પાર કરી ગઈ છે. જોકે, તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને પછી પાકિસ્તાન ગઈ છે. તમારું તેના વિશે શું કહેશો?
આના જવાબમાં સીમાએ કહ્યું, 'તે (અંજુ) ભારતમાં રહેતી હતી. ભારત એક એવો દેશ છે, જ્યાં એક માણસ બધું જ કરી શકે છે. જ્યારે પાકિસ્તાન એક એવો દેશ છે, જ્યાં જો કોઈને ખબર પડે કે, સીમા બહાર ગઈ છે અથવા કંઈક કરી રહી છે, તો તે મારા માટે ખૂબ જ ખરાબ થયું હોત. જો હૈદરને ખબર પડી ગઈ હોત કે, હું એક હિન્દુ છોકરાના પ્રેમમાં છું, તો તે મને મારી નાખતે.'
જ્યારે સીમાને પૂછવામાં આવ્યું કે, તેઓ ભારત અને પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિમાં શું તફાવત જુએ છે? તેના જવાબમાં સીમાએ કહ્યું, 'સિંધ અને બલોચમાં મહિલાઓનું કોઈ સન્માન નથી. સિંધ પ્રદેશમાં અમારી ઉંમરની કોઈ પણ છોકરી ભણેલી ગણેલી નથી. ભૂલથી પણ માથા પરથી દુપટ્ટો સરકી ગયો હોય તો પણ તેઓ અમારી સાથે ગાળો બોલીને ખરાબ વ્યવહાર કરે છે. ત્યાં ઘણી પાબંદી છે. ઘરની બહાર નીકળતી વખતે આંખો સુધી બુરખો પહેરવો પડે છે. જ્યારે ભારતમાં મને અહીં ઘણું સન્માન મળી રહ્યું છે, અહીંયાના લોકો ઘણા સારા છે. મહિલાઓને ઘણું સન્માન મળે છે અહીંયા.'
અંજુ થોમસે પાકિસ્તાનમાં તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લા સાથે લગ્ન કરતા પહેલા ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ ફાતિમા રાખ્યું. રિપોર્ટ અનુસાર, બંનેએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લાની કોર્ટમાં કાયદેસરના લગ્ન કર્યા હતા. પાકિસ્તાનના મલકંદ ડિવિઝનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ નાસિર મહેમૂદ સત્તીએ અંજુ અને નસરુલ્લાના લગ્નની સાબિતી આપી છે.
પોલીસ અધિકારીએ કહ્યું છે કે, અંજુએ ઈસ્લામ અપનાવ્યા પછી પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ નાસિર મેહમૂદ સત્તીએ એમ પણ કહ્યું છે કે, લગ્ન કાર્ય પછી અંજુને પોલીસ સુરક્ષા હેઠળ કોર્ટમાંથી ઘરે મોકલી દેવામાં આવી છે.
પાકિસ્તાની એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, અંજુ અને નસરુલ્લાએ પાકિસ્તાની કાયદાની કલમ 164 હેઠળ નિવેદન નોંધ્યું છે, જેમાં કહ્યું છે કે, તેઓએ પોતાની મરજીથી લગ્ન પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય અંજુએ કોર્ટને કહ્યું છે કે, તે પોતાની મરજીથી પાકિસ્તાન આવી છે અને અહીં ખૂબ જ ખુશ છે. પોલીસે એ વાતની સાબિતી આપી છે કે, અંજુ 22 જુલાઈના રોજ વાઘા બોર્ડરથી પાકિસ્તાન પહોંચી હતી. રાવલપિંડી આવીને નસરુલ્લા અંજુને તેના ઘરે લઇ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp