- National
- પત્ની સાથે ફોન પર વાત કર્યા બાદ આત્મહત્યા, ધર્મ પરિવર્તનનું દબાણ હતું: પરિવાર
પત્ની સાથે ફોન પર વાત કર્યા બાદ આત્મહત્યા, ધર્મ પરિવર્તનનું દબાણ હતું: પરિવાર
UPના મેરઠમાં એક હિન્દુ યુવકની આત્મહત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મહત્વની વાત એ છે કે, 4 વર્ષ પહેલા આ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આરોપ એ છે કે ત્યારથી સાસરિયાં તેના પર ધર્મ પરિવર્તન માટે સતત દબાણ કરી રહ્યા હતા. આ દબાણને કારણે ઘણા સમયથી પતિ-પત્ની અલગ-અલગ રહેતા હતા, પરંતુ આત્મહત્યા કરતા પહેલા યુવકે તેની પત્ની સાથે 40 મિનિટ સુધી વાત કરી અને પછી જીવનનો અંત આણ્યો હતો. તેને એક બાળક પણ છે.

ઘટના મેરઠના નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારની ચિત્રકૂટ કોલોનીની છે, જ્યાં દુષ્યંત નામનો યુવક DJનું કામ કરતો હતો. 4 વર્ષ પહેલા દુષ્યંતની મુલાકાત ફરહા નામની મુસ્લિમ યુવતી સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમપ્રકરણ ચાલ્યું અને પછી પરિવારના સભ્યો વિરુદ્ધ જઈને બંનેએ લગ્ન કરી લીધા. દુષ્યંતના સંબંધીઓના જણાવ્યા અનુસાર, બંને લાંબા સમયથી અલગ રહેતા હતા. પરિવારનો આરોપ છે કે, લગ્ન બાદ દુષ્યંતના સાસરિયાં તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા.
આ દબાણને કારણે બંનેને અલગ પણ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન દુષ્યંત ઘણી વખત દેવબંદ પણ ગયો હતો. આ દબાણને કારણે દુષ્યંત લાંબા સમયથી ડિપ્રેશનમાં ચાલી રહ્યો હતો. મરતા પહેલા દુષ્યંતે તેની પત્ની ફરાહને ફોન પણ કર્યો હતો અને બંને વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી, પરંતુ તે પછી પણ જ્યારે વાત ન બની તો દુષ્યંતે પોતાની જિંદગીનો અંત આણી લીધો હતો.

દુષ્યંતે ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ મામલે હિન્દુ સંગઠનો પણ સક્રિય થયા છે. મેરઠના હિન્દુ સંગઠનના લોકોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. આ મામલે હિન્દુ જાગરણ મંચના પૂર્વ મહાનગર પ્રમુખ સચિન સિરોહીએ પણ કડક કાર્યવાહીની માંગ કરી હતી અને સમગ્ર મામલાની તપાસની માંગ કરી હતી. આ સાથે તેણે પત્નીના પરિવાર પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જ્યારે, પરિવારના સભ્યોએ કોઈ અરજી આપી નથી. પોલીસ અધિકારીઓની વાત માનીએ તો ધર્માંતરણના દબાણ જેવા આક્ષેપો તો થાય છે, પરંતુ હજુ સુધી પરિવારજનોએ કોઈ અરજી લખીને આપી નથી. જો આ પ્રકારની કોઈ અરજી આવશે તો આરોપોની તપાસ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે.

