કુનો નેશનલ પાર્ક નજીક બેરોજગારી, ગરીબી અને ભૂખમરો, કુપોષણમાં નંબર-1

PC: keralakaumudi.com

નામિબિયાથી લાવવામાં આવેલા અને કુનો નેશનલ પાર્કમાં  રાખવામાં આવેલા ચિત્તાઓની તસવીરો જોઈને દરેકને આનંદ થયો. સરકારે એવો પણ દાવો કર્યો હતો કે ચિત્તાના આગમનથી કુનો નેશનલ પાર્કની નજીકના ગામમાં રહેતા લોકોનું જીવન બદલાઈ જશે, પરંતુ અત્યારે નેશનલ પાર્કની આસપાસના ગામો અત્યંત ગરીબી, ગંદકી, ખરાબ રસ્તા, પાયાની સુવિધાઓના અભાવથી પીડાય છે અને કેટલાક ગામોમાં કુપોષિત બાળકો પણ છે. આવી સ્થિતિમાં, ગામના લોકોનું કહેવું છે કે ચિત્તાના આગમનને કારણે તેમના જીવનમાં કદાચ જ પરિવર્તન આવે.

 આજ તકના એક ગ્રાઉન્ડ રિપોર્ટમાં કહેવાયું છે કે નેશનલ પાર્કની નજીક આવેલા ગામડાઓમાં લોકો પાસે રોજગારીનો અભાવ છે. નેશનલ પાર્કથી 10 કિ,મી દુર આવેલા મોનાવર ગરીબી, બેરોજગારી અને પ્રાથમિક સુવિધાઓના અભાવથી લોકો પરેશાન છે. ગામમાં કાચા મકાનો છે.

ગામ લોકોએ કહ્યુ કે, અહીં આસપાસ રોજગારીનું કોઇ સાધન નથી એટલે મજૂરી કરવા બહાર જવું પડે છે. ગામના લોકોએ કહ્યું છે કે સરકારને અમારી માંગ છે કે, હવે ચિત્તાને લાવ્યા છો તો કામ ધંધો મળે એવું પણ કઇંક કરો. અહીં રહેતા લોકોની હાલત એવી છે કે ઘણી વખતે રાત્રે ભૂખ્યા સુઇ જવું પડે છે.

ગામની અંદર જઈને જોવામાં આવ્યું કે અહીં રહેતી સહરિયા જાતિ અત્યંત ગરીબીમાં જીવે છે. એક બાળક ભૂખથી રડતું હતું,  એક યુવકે કહ્યું કે ગામમાં લોકોની હાલત દયનીય છે. તેણે કહ્યું કે ગામમાં ભૂખમરો એટલે કે બાળકોમાં કુપોષણ ઓછું થયું છે પરંતુ સંપૂર્ણપણે નાબૂદ થયું નથી. પાડોશમાં રહેતું એક બાળક કુપોષિત છે, જેને લઈને પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા છે.

તાજેતરમાં જ મધ્યપ્રદેશ વિધાનસભામાં સરકારે જણાવ્યું હતું કે શ્યોપુર જિલ્લામાં 21 હજારથી વધુ બાળકો કુપોષિત છે. કુપોષણના મામલામાં સમગ્ર મધ્યપ્રદેશમાં શ્યોપુર પ્રથમ નંબર પર છે. કદાચ આ જ કારણ છે કે ગામમાં રહેતા લોકોને એવું લાગે છે કે ગામમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવી એ ચિત્તાકરતાં પણ વધુ જરૂરી છે. ગામના યુવાનો કહે છે કે ચિત્તાના આગમનથી તેમના જીવનમાં બહુ ફરક નહીં પડે.

વિસ્તારના ગઢી મોનાવર તરફ જતો આ રસ્તો એટલો ખરાબ છે કે વાહનોની સાથે હાડકા પણ તુટી શકે. ગામ તરફ જતા આ રસ્તાનું અંતર કુનોના રોડથી માત્ર 1 કિલોમીટરનું છે, પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જરૂર પડ્યે એમ્બ્યુલન્સ અહીં પહોંચી શકતી નથી.  ગામના લોકોનું કહેવું છે કે,ઘણી વખત સગર્ભા સ્ત્રીઓને આ રસ્તા પરથી બાઇક પર કે ખાટલા પર લઈ જવી પડે છે કારણ કે અહીં એમ્બુયલન્સ આવી શકતી નથી.

આ માત્ર એક ગામડાનું ચિત્ર નથી.કુનો નેશનલ પાર્કથી વિસ્થાપિત સહરિયા આદિજાતિના અન્ય ગામ પરોંદરમાં, લોકો અરાજકતા વચ્ચે જીવવા માટે મજબૂર છે. હવે સરકારનો દાવો છે કે ચિત્તાઓના આગમનને કારણે આ વિસ્તારમાં બદલાવ આવશે. પરંતુ સત્ય એ પણ છે કે આ પરિવર્તન આવતા ઘણો સમય લાગશે. હાલમાં, કુનો નેશનલ પાર્કની આસપાસ આવેલા ડઝનબંધ ગામોમાં લોકો બદતર હાલતમાં જીવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp