બાગેશ્વર ધામમાં દર્શન કરતા પહેલા મહિલાનું મોત, પતિએ કહ્યું- ભભૂતિથી સારી થઇ જતી

PC: twitter.com

આ દિવસોમાં મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ધાર્મિક મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મહાકુંભમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ દિવ્ય ચમત્કારિક દરબારનું આયોજન કરી રહ્યા છે. આ દૈવી ચમત્કારિક દરબારમાં 15 ફેબ્રુઆરીના રોજ ભારે ભીડ વચ્ચે એક બીમાર મહિલા પોતાની પીડા સાથે દર્શન કરવા પહોંચી હતી, તેની અરજીનો નંબર આવે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. તે ખૂબ જ બીમાર હતી.

મૃતક મહિલાનું નામ નીલમ દેવી છે, જે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની રહેવાસી છે. મહિલાના પતિ દેવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, તે બીમાર હતી અને હું તેની સાથે રોજ પરિક્રમા કરતો હતો, પરંતુ વચ્ચે વચ્ચે તેની તબિયત ખરાબ થઇ જતી હતી, ગઈકાલે (14 ફેબ્રુઆરી) પણ બીમાર પડી હતી, 15મીએ સવારે તેની તબિયત સારી હતી.

દેવેન્દ્ર સિંહે કહ્યું કે 15 ફેબ્રુઆરીના રોજ હું મારી અરજી લઈને નીલમ દેવીને સાથે લઈને બાગેશ્વર ધામના દરબારમાં પહોંચ્યો હતો. નીલમે સવારે પંડાલમાં ખાવાનું પણ ખાધું હતું, પરંતુ સાંજ થતા સુધીમાં તેની તબિયત અચાનક બગડી ગઈ હતી.ત્યાર પછી નીલમ દેવીનું અવસાન થઇ ગયું હતું. પતિ દેવેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે, નીલમ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતી.

દેવેન્દ્ર સિંહે કહ્યું કે, જ્યારે અમે બાગેશ્વર ધામ વિશે સાંભળ્યું ત્યારે અમે અહીં આવ્યા પછી દરરોજ પરિક્રમા કરતા હતા, જ્યારે પણ પત્નીની તબિયત બગડતી ત્યારે સન્યાસી બાબા તેને ભભૂતિ આપીને સાજી કરી દેતા હતા. પતિએ કહ્યું કે, સન્યાસી બાબા બધું બરાબર કરી દેતા હતા, દિલ્હીના ડૉક્ટરો પણ આશ્ચર્યમાં હતા કે, તે કેવી રીતે ચાલી રહી હતી. 8 મહિનાથી તો તે આરામથી ખાતી હતી, હરતી-ફરતી હતી, પરંતુ અચાનક તેની તબિયત બગડી અને તેનું મૃત્યુ થઇ ગયું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામમાં 13 ફેબ્રુઆરીથી ધર્મ મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ શરૂ થયો છે, જે 18 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના ખ્યાતનામ કથાકારો અને બાબાઓ આવવાની પ્રક્રિયા ચાલી રહી છે. બાગેશ્વર ધામમાં 18 ફેબ્રુઆરીએ 121 દીકરીઓના લગ્ન થવાના છે. દેશભરમાંથી ભક્તો અહીં પહોંચી રહ્યા છે. અનેક રાજનેતાઓ પણ પહોંચી રહ્યા છે.

બાગેશ્વર ધામમાં ચાલી રહેલા 'ધાર્મિક મહાકુંભ'માં પહોંચ્યા બાદ મનોજ તિવારીએ સ્ટેજ પર ભોજપુરી ગીતો ગાયા હતા. તેમણે મંચ પરથી બાગેશ્વર ધામનો મહિમા ગાયો અને સંભળાવ્યો. બાગેશ્વર ધામ પહોંચેલા ભક્તો તેમના ગીતો સાંભળીને ઉત્સાહિત થઈ ગયા હતા. મનોજ તિવારીએ કહ્યું કે, તેમણે બાગેશ્વર ધામ પાસેથી ભારતની સંસ્કૃતિ ફેલાવવા માટે માનતા માની હતી.

હિન્દુ રાષ્ટ્રની વાત પર મનોજ તિવારીએ કહ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સત્ય સનાતનને આ રીતે આગળ લઈ જવાનું ચાલુ રાખવું જોઈએ. હિંદુ રાષ્ટ્ર અંગે તેમના વિચારો સારા છે. આ વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એટલા માટે BJPની સાથે કોંગ્રેસ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. 13 ફેબ્રુઆરીએ પૂર્વ CM કમલનાથ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળવા માટે છતરપુરના બાગેશ્વર ધામ પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp