કોંગ્રેસના MLAએ બસ રોકીને કરી મુસાફરોની ગણતરી તો 60ના બદલે નીકળ્યા ડબલ, બોલ્યા..

PC: divyabhaskar.co.in

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ST બસની ફરિયાદ ઘણી વખત સામે આવે છે. જેના કારણે મુસાફરોને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે. શાળા-કૉલજે જતા વિદ્યાર્થીઓને પણ STની અનિયમિયતાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઇને દાંતાના કોંગસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ રિયાલિટી ચેક કર્યું હતું. તેમણે પાલનપુર થી અમીરગઢ જતી બસને અધવચ્ચે જ રોકીને મુસાફર ગણતા 60ની ક્ષમતા સામે ઘેટાં-બકરા સમાન 120 મુસાફર મળતા સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, શાળા-કૉલેજમાં ભણવા જતા દીકરા-દીકરીઓને નાછૂટકે બસોમાં ઘેટાં-બકરાની જેમ ભરાવું પડે છે. હવે તો આ સરકારને શરમ આવવી જોઇએ.

બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં બસની અનિયમિયતાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દાંતા અને અમીરગઢના અંતરિયાળ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે પાલનપુર આવતા હોય છે અને ST બસો અનિયમિત અને પૂરતા પ્રમાણમાં બસની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરેલી બસમાં ઊભા રહીને મુસાફરી કરવી પડે છે. ST બસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓએ દાંતાના કોંગેસના ધારાસભ્ય કાંતિ ખરાડીને રજૂઆત કરી હતી.

રજૂઆતના પગલે ધારાસભ્ય કાંતિ ખરાડીએ ST વિભાગ અને સરકારમાં રજૂઆત કરી હતી. જો કે, વિદ્યાર્થીઓની આ સમસ્યાનું નિરાકરણ ન આવતા ધારાસભ્યએ ST બસમાં પોતે નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું. વિદ્યાર્થીઓની રજૂઆતનું કંઇ નિરાકરણ ન આવતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પાલનપુરથી અમીરગઢ જતી ST બસને અધવચ્ચે રોકી હતી અને અંદર જઇને મુસાફર ગણ્યા હતા. ધારાસભ્યના આ રિયાલિટી ચેકમાં બસમાં 60ની ક્ષમતા સામે 120 મુસાફર જોવા મળ્યા હતા.

ધારાસભ્ય કાંતિ ખરાડીએ ST વિભાગને સૂચનાઓ આપી હોવા છતા બસની કોઇ વ્યવસ્થા ન થતા તેમણે સરકાર અને ST વિભાગ પર જોરદાર પ્રહાર કર્યા હતા. આ મામલે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતા મારા વિસ્તારમાં બસો કાપવામાં આવે છે, એ બસોનું કાયદેસર લિસ્ટ બનાવીને મેં DCને મોકલી આપી હતી. છૂટાછવાયા વિસ્તારમાંથી દીકરા, દીકરીઓ પાલનપુરમાં અભ્યાસ માટે આવે છે, તેમ છતા બસો કાપવામાં આવે છે. તંત્રએ નિર્ણય ન લેતા મારે પોતે જ નિરીક્ષણ કરવું પડ્યું.

કાંતિ ખરાડીએ આગળ જણાવ્યું કે, મેં રોડ ઉપર જઇને બસમાં ચેક કરતા મને જાણવા મળ્યું હતું કે એક બસની અંદર 60 મુસાફરની જગ્યા 120 જેટલા મુસાફરની સંખ્યા મેં પોતે ગણી છે. સાચી હકીકત બહાર આવે એ માટે મેં આ રિયાલિટી ચેક કર્યું. વિસ્તારમાં બસો સમયસર આવતી નથી. સંખ્યા અને વસ્તી પ્રમાણે બસો મૂકવામાં પણ આવતી નથી.

ક્યાંક આવે તો પણ બસો ઓછી આવે છે જેથી ભણવા જતા દીકરા, દીકરીઓ નછૂટકે બસોમાં ઘેટાં-બકરાની જેમ ભરાવું પડે છે. જો એક બસમાં 60ના બદલે 120 જેટલી સંખ્યા હોય તો સરકારને શરમ આવવી જોઇએ. આટલી રજૂઆત કરવા છતા તંત્રની આંખો નથી ખૂલતી, પણ હવે આવું ન થવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, છતાં સ્થિતિ આવી જ છે. ST અમારી સલામત સવારીના સૂત્ર સાથે ચાલતી ST બસ જોખમી સવારી લઇને નીકળે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp